________________
૭૨
વડોદરાનાં જિનાલયો
દેરાસરનો વહીવટ શ્રી નવપદ સોસાયટી, મહાવીરસ્વામી જિનાલય ટ્રસ્ટ હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટી શ્રી ચંપાલાલ કેસરીમલ સંઘવી, શ્રી આસકરણભાઈ નેમીચંદ શાહ, શ્રી જેઠમલ ફોજમલ ઝાબક છે.
આ જિનાલયનો સમય સંવત ૨૦૪૨નો છે.
(૫૫) શ્રી વિમળનાથ જિનાલય (સંવત ૨૦૪૯)
૧૫, અંકુર સોસાયટી, પાણી ગેટની બહાર. પાણી ગેટની બહાર, ઉદ્યોગનગરની પાછળ, ૧૫, અંકુર સોસાયટીમાં બે માળનું ત્રણ નાના શિખરવાળું દેરાસર આવેલું છે. ઉપરના ભાગે ઉપાશ્રય છે.
કોતરકામવાળા પ્રવેશદ્વાર પાસે હાથીનું અંબાડીયુકત શિલ્પ છે. દ્વારની બારસાખ ઉપર શ્રી મહાલક્ષ્મી દેવી અને તેની આજુબાજુ કોતરકામવાળા નાના-નાના હાથી છે.
અહીં નીચે મુજબનો લેખ પ્રાપ્ત થાય છે.
“શ્રી વડોદરા અંકુર સોસાયટી મધ્યે વિમળનાથજી જિનાલયની અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તથા પૌષધ શાળા આંબિલ શાળાની પ્રતિષ્ઠા વિધિ વિ. સં. ૨૦૪૯ જેઠ વદ ૫ ને બુધવારે શુભ મુહૂર્તે શ્રી લબ્લિવિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત પ્રખર પ્રવચનકારક પૂ. આ. દેવ રાજયશ મહારાજ પૂ. મુનિ નંદિયશ મહારાજ, પૂ. મુ. વજયશવિજય મહારાજ પૂ. મુનિ દેવેશ વિ. મહારાજ, પૂ. મુનિ વિતરાગયશવિજય મહારાજ આદિની શુભ નિશ્રામાં ભવ્ય રથયાત્રા પંચકલ્યાણક મહોત્સવ પ્રતિદિનની નવકારશી પૂર્વક ઉજવાયેલ છે. આ શુભ પ્રસંગે પૂ. મુનિ ચંદ્રવિજયજી મ. પૂ. મુનિ નીતિવિજયજી મ. ઉપસ્થિત હતા. તથા અમારી વિનંતીથી પૂ. સા. સર્વોદયા શ્રી. પૂ. મ. સા...... (બેન મ. ) આદિ ૧૮ ઠાણા પધારેલ.”
સાદા રંગમંડપની મધ્યમાં ત્રણ શિખરયુક્ત આરસની દેરીમાં મૂળનાયક શ્રી વિમળનાથ ભગવાનની ૨૭" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ અને ૪ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસરની સ્થાપના વિ. સં. ૨૦૪૯માં આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રી મનોજભાઈ ચીનુભાઈ શાહ પરિવારના હસ્તે થયેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ જેઠ વદ પ છે. તે નિમિત્તે શ્રી નરેન્દ્રભાઈ ચીમનલાલ પરિવાર દ્વારા ધ્વજારોપણ થાય છે તેમજ પૂજા ભણાવવામાં આવે છે, પ્રભાવના તથા સ્વામી વાત્સલ્ય થાય છે.
દેરાસરની બાજુમાં આંબિલ શાળા છે. દેરાસરનો વહીવટ શ્રી વર્ધમાન જૈન સંઘ હસ્તક છે. દેરાસરનાં ટ્રસ્ટી શ્રી રસીકલાલ શાહ, શ્રી નવિનચંદ્ર શાહ છે.
આ જિનાલયનો સમય સંવત ૨૦૪૯નો છે.