________________
૭૧
વડોદરાનાં જિનાલયો
રંગમંડપમાં મોટું ઝુમ્મર છે. રંગમંડપમાં શ્રી શત્રુંજય તીર્થ, શ્રી ગિરનાર તીર્થ, શ્રી સિદ્ધચક્રજી અને શ્રી સમેતશિખર તીર્થના પટ આરસમાં કોતરેલાં છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની ૩૯" ની પરિકર યુકત પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ અને ૪ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. ગર્ભગૃહમાં જમણી તરફ કમળ પર શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા અને ડાબી તરફ શ્રી સુધર્માસ્વામીની પ્રતિમા બિરાજમાન છે.
ગર્ભદ્વારની ડાબી બાજુ દિવાલ પર નીચે મુજબ લખેલ છે.
“શ્રી મહાવીરસ્વામી જિન પ્રાસાદ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ પૂજયપાદ પ્રવચન પ્રભાવક શ્રી આચાર્ય ભગવાન શ્રી મોહનસૂરીશ્વરજી મ. સા. પૂ. પા સિદ્ધાંતતિષ્ઠ આ. ભ. શ્રી વિ. પ્રતાપસૂરીશ્વરજી મ. સા. તથા પૂજયપાદ યુગદિવાકર આ. ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા. ની દિવ્યકૃપા વર્ષા અને પ. પૂ. સાહિત્ય કલારત્ન આ. વિ. યશોદેવસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. શતાવધાની આ. વિ. જયાનંદસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. પ્રવચન વિશારદ આ. શ્રી. કનકરત્નસૂરીશ્વરજી મ. સા.ના શુભ આશીર્વાદ સહ પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી મહાનંદવિજયજી ગણિવર પ. પૂ. પં. પ્રવર શ્રી સૂર્યોદયવિજયજી ગણિવર તથા પૂ. ગણિવર્ય શ્રી પૂર્ણાનંદવિજયજી પૂ. ગણિવર્ય શ્રી મહાબલવિજયજી, પૂ. મુનિવર શ્રી પદ્મવિજયજી મ. સા. પૂ. બાલમુનિ શ્રી રાજરત્નવિજયજી મહારાજ, પૂ. મુનિવર શ્રી કલાપૂર્ણવિજયજી મહારાજ, પ. પૂ. બાલમુનિ ધર્મવિજયજી, પૂજય મુનિ શ્રી મહાભદ્ર વિજયજી મ. પૂ. મુનિ શ્રી નંદવિજયજી મહારાજ આદિ વિશાળ સાધુ-સાધ્વી સમુદાયની નિશ્રામાં વીર સંવત ૨૫૧૨ વિક્રમ સંવત ૨૦૪૨ વૈશાખ સુદ ૧૦ તા. ૧૯-૫-૮૬ સોમવારે શુભ મુહૂર્ત શ્રી ઈંદ્રપુરી જૈન સંઘ તથા નવપદ સોસાયટી, મહાવીરસ્વામી જિનાલય ટ્રસ્ટ વડોદરાના ઉપક્રમે શ્રી મૂળનાયક મહાવીરસ્વામી પ્રભુજી પરિકર સહ આદિ જિનબિંબોનો પ્રતિષ્ઠા મહોત્સવ, ધ્વજ દંડ, કલશરોપણ, વિમાન દ્વારા જિનાલય ઉપર પુષ્પવર્ષા સાથે ધામધૂમથી ઉજવાયેલ છે.
જમણી બાજુ દ્વાર પાસે દિવાલ ઉપરના લખાણ પરથી જાણી શકાય કે, “આ. ભ. વિ. ધર્મસૂરીશ્વરના શુભ આશીર્વાદ સાથે અને પ. પૂ. પ્રવર શ્રી સૂર્યોદયવિજયજીગણિવર્યની પાવન પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રી મહાવીરસ્વામી જિનાલયનું નિર્માણ થયેલ છે. ”
રંગમંડપમાં ડાબી બાજુના દ્વારમાંથી ઉપરના માળે જઈ શકાય છે. ત્યાં શિખરમાં ગભારાની રચના છે. ગભારામાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની શ્યામ વર્ણની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસરની પ્રતિષ્ઠા આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રી જેઠમલજી ઝાબક પરિવાર દ્વારા કરવામાં આવી છે. * દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૧૦ છે. તે નિમિત્તે શ્રી દેવીચંદજી ફોજમલજી પરિવાર દ્વારા ધ્વજારોપણ થાય છે તેમજ પ્રભાવના અને જમણવાર થાય છે.