________________
વડોદરાનાં જિનાલયો
(૨૬) શ્રી આદીશ્વર ભગવાન જિનાલય (સં. ૧૯૩૨ ).
રંગમહેલ વાડી. રંગમહેલ વાડીમાં, એક માળનું ઘુમ્મટબંધી દેરાસર આવેલ છે. દેરાસરની બહાર ચાર ટોડલા પર વાજિંત્રોવાળી ચાર પૂતળીઓ, ઉપર ત્રણ તાપસ અને બે સિંહનાં પૂતળાં બેસાડેલાં છે. ત્રણેક પગથિયાં ચઢતાં શ્રી શત્રુંજય પટનું ચિત્રકામ કરેલ જોવા મળે છે.
પહેલા માળે એક ગર્ભદ્વારવાળા નાના ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૧૩" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ, ૩ સ્ફટીક પ્રતિમાઓ અને ૧૧ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર લેખ નીચે મુજબ કોતરવામાં આવ્યો છે. “સં. વ. ૧૯૭૫ શાકે સ. ૧૭૩૦ પ્રતઃ.......માઘ પંચમે... અમદાવાદ વાસી...” “૧૫૨૪ વૈશાખ સુદી 2 સિદ્ધિ વા શ્રીમાલ જ્ઞાતીય પાર્શ્વનાથ બિંબ જ્ઞાનસાગરસૂરી.”
દેરાસરની વર્ષગાંઠ તિથિ જેઠ વદ ર છે. તે નિમિત્તે ચઢાવો બોલી ઘુમ્મટ પર ધ્વજા ચઢાવાય છે. દેરાસરનો વહીવટ ટ્રસ્ટ હસ્તક છે. ટ્રસ્ટી શ્રી અજિતભાઈ ઝવેરી અને શ્રી ચંપાલાલ છે.
ઐતિહાસિક સંદર્ભ સંવત ૧૯૬૩ જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૩ પાષાણ પ્રતિમાઓ, ૩ સ્ફટીક પ્રતિમા અને ૧૧ ધાતુ પ્રતિમાઓ હતી.
સંવત ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો છે. ૩ પાષણ પ્રતિમાઓ, ૩ સ્ફટિક પ્રતિમા તથા ૧૨ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે સંવત ૧૯૩૨માં આ દેરાસર બંધાવ્યાની નોંધ છે.
આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૩૨માં થયેલી છે.
(૨૭) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ગૃહ ચૈત્ય (સં. ૨૦૧૧)
૨૩, પરિમલ પાર્ક, નિઝામપુરા. નિઝામપુરા, પરિમલ પાર્કમાં નં-૨૩માં શ્રી બીપીનભાઈના ઘરમાં આ ઘરદેરાસર આવેલું છે. બંગલામાં પ્રવેશતાં જમણી બાજુ કાચકામ યુક્ત શિખરબંધ દેરીમાં શ્રી ઘંટાકર્ણ વીરની મૂર્તિ છે. આગળ જતાં જમણી તરફ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિજીની મૂર્તિ બિરાજમાન છે.