________________
વડોદરાનાં જિનાલયો
૪૩
તેમજ પુષ્પમાળા ગ્રહણ કરીને ઊભેલી પરીઓની કૃતિઓથી શોભતા આરસના જિનાલયમાં કોતરણી પણ સુંદર છે. છતમાં પણ સુંદર કોતરણી છે. વળી, દિવાલ પર મોટી ફ્રેમમાં ઋષિમંડળ યંત્ર તેમજ સિદ્ધચક્ર યંત્ર ઉપસાવેલ છે. ઉપરાંત દિવાલ પર સિદ્ધાચલ, ગિરનાર-સહસાવન, આબુ, સમેતશિખર, અષ્ટાપદ, તારંગા, ચંપાપુરી, પાવાપુરી, નંદીશ્વર દ્વીપ તેમજ સમવસરણના સુંદર પટો પણ છે. સુભદ્રા સતીના જીવનના બે પ્રસંગોના પટ તેમજ શ્રી શત્રુંજય મહાતીર્થના વિશાળ પટના દર્શન થાય છે. કાચમાં પાવાપુરીના જલમંદિરની સુંદર પ્રતિકૃતિ પણ છે. એક ગોખલામાં કોતરણી કરીને શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ઉપસાવી છે તેમજ સુંદર સુવર્ણ રંગથી કોતરણીમાં રંગકામ કરેલું જોવા મળે છે. ખૂબ જ સુંદર કળા-કારીગરીથી યુક્ત એવા રંગમંડપમાં તાંબાની બે કથરોટમાં બે યંત્રો – ઋષિમંડળ યંત્ર અને સિદ્ધચક્ર યંત્ર પણ બિરાજમાન છે.
ગર્ભદ્વારની ઉપરના ભાગમાં શ્રી નેમિનાથ ભગવાનની જાન તેમજ પશુપોકારનું દ્રશ્ય ચિત્રિત કરેલું જોવા મળે છે તેમજ મેરૂશિખર પર થતાં જન્માભિષેકનો પ્રસંગ પણ ચિત્રિત કરેલો છે. શ્રી મહાવીરસ્વામી ભગવાનના ૧૧ ગણધરોના ચિત્રો કાચની ફ્રેમમાં છે તેમજ નાના ગોખની રચનામાં શ્રી ગૌતમસ્વામીના દર્શન થાય છે. તાંબાના પતરા પર અષ્ટાપદની પ્રતિકૃતિ પણ છે.
ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૧૨" ની પ્રતિમા સહિત કુલ ૫ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. *
લગભગ પચાસેક વર્ષથી વધુ સમયથી અત્રે આ દેરાસર છે, જેની વર્ષગાંઠ તિથિ અંગે દેરાસરની સંપૂર્ણ સારસંભાળ રાખતા શ્રી જયપ્રકાશભાઈ જે. ચુડગરને કોઈ માહિતી પ્રાપ્ત થયેલ નથી.
(૨૪) શ્રી વાસુપૂજયસ્વામી જિનાલય (સં. ૨૦૫૪)
ભાલેરાવ ટેકરી, જી. પી. ઓ. પાછળ, રાવપુરા. રાવપુરા રોડ પર જી. પી. ઓ. ની પાછળ બે માળનું દેરાસર આવેલ છે.
ત્રણ ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામી ભગવાનની પરિકર સહિત ૫૧" ની પ્રતિમા બિરાજમાન છે. ડાબી તરફના ગભારામાં શ્રી જીરાઉલા પાર્શ્વનાથ ભગવાનની ૩૯" ની અને જમણી તરફના ગભારામાં શ્રી આદિનાથ ભગવાનની ૩૫" ની પ્રતિમા બિરાજમાન છે. બંને પ્રતિમા પાછળ ભામંડલ છે.
ભોંયરામાં શ્રી સિમંધરસ્વામી ભગવાનની ૪૧" ની, શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની ૩૧" ની અને શ્રી નેમનાથ ભગવાનની ૩૧" ની પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસરમાં એક ગુરુમૂર્તિ, તેમની પાદુકા, પંચધાતુના સહગ્નકુટ અને ધાતુના શ્રી અષ્ટાપદની રચના કરવામાં આવી છે.
શ્રી ઘંટાકર્ણ મહાવીર, શ્રી નાકોડા ભૈરવનાથ, શ્રી પંચાંગુલી દેવી, શ્રી ચકેશ્વરી દેવી,