________________
ઉપોદ્યાત
ગુજરાતના જિનાલયોની યોજના અંતર્ગત પાંચમા ગ્રંથ સ્વરૂપે વડોદરા જિલ્લાનાં જિનાલયો ગ્રંથ પ્રકાશિત કરતાં અને આનંદ અનુભવીએ છીએ.
ગુજરાત રાજયમાં જૈનધર્મનો પ્રભાવ વિશેષ રૂપે પ્રસર્યો છે અને તેને કારણે ગુજરાતની ભૂમિ ઉપર અનેકવિધ શાસનપ્રભાવનાના કાર્યો થયા છે. આ હરિભદ્રસૂરિ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ, સમ્રાટ અકબર બાદશાહ પ્રતિબોધક આચાર્યશ્રી હીરસૂરિ મ.સા. ઉપાધ્યાય યશોવિજયજી જેવા અનેક પ્રભાવશાળી આચાર્યોની વિહારભૂમિ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ મહારાજ, વસ્તુપાલ-તેજપાલ, મુંજાલ મહેતા, ઉદામહેતા જેવા અનેક બાહોશ મંત્રીઓની કુશળ દષ્ટિથી સંરક્ષિત અનેક જૈન શ્રેષ્ઠિઓ અને પંડિતોથી સિંચાયેલ આ ભૂમિ જૈનધર્મના વિવિધ પ્રભાવશાળી કાર્યોથી મંડિત છે. આ ભૂમિ ઉપર તીર્થાધિરાજ શત્રુંજય, ગિરિરાજ ઉજ્જયંતગિરિ તારંગાતીર્થ, પાવાગઢ જેવા વિશિષ્ટ તીર્થો આવેલા છે તેથી પણ આ ભૂમિ જગતમાં વિખ્યાત છે. ગુર્જરદેશનો ઇતિહાસ ભવ્ય અને ઉજ્જવળ છે. આ પ્રદેશના લોકોમાં ધર્મની ભાવના ખૂબ જ વિશિષ્ટ રીતે પનપેલી છે. સંતમહાત્માઓના ઉપદેશથી ભવ્ય બની છે. રાજયના તમામ જિલ્લાઓમાં અનેક જિનાલયો નિર્મિત થયાં છે. આ જિનાલયોનો ઇતિહાસ વિશિષ્ટ છે. અહીંના પ્રત્યેક જિનાલયો સાથે કોઈને કોઈ અવિસ્મરણીય ઘટના જોડાયેલી છે. જે અનેક અનેક વર્ષો સુધી અનેક લોકોને પ્રેરણા આપનારી બની છે. આ તમામ ઇતિહાસ સચવાઈ રહે અને તેના દ્વારા ભાવિપેઢીને પ્રેરણા મળતી રહે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.
વડોદરા જિલ્લો પણ શાસન પ્રભાવનાના કાર્યોમાં અગ્રેસર રહ્યો છે. નાના નાના ગામો સુધી પ્રસરેલ જૈનધર્મ અને જિનાલયો તેની સાક્ષી પૂરે છે. જિનાલયો અને શ્રાવકોની ભક્તિએ સમગ્ર પ્રદેશમાં જૈનધર્મની જ્યોતને પ્રજવલિત રાખી છે. આવા અનેક પ્રસંગો અને તેની નોંધને સુરક્ષિત રાખવાનો પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે.
આ કાર્ય શ્રીમતી પારૂલબેને અને તેમના સહયોગી બહેનોએ ખૂબ જ મહેનત અને ખંતથી કર્યું છે. આ કાર્ય કરવા માટે બહેનોએ સ્વયં તે ગામોની મુલાકાત લીધી છે. જિનાલયોનાં