________________
વડોદરાનાં જિનાલયો
૨૫
થાંભલાઓની ચોકી છે. રંગમંડપમાં પહેલા વિભાગમાં ઉપર પત્થર વડે ઉપસાવેલ શ્રી શત્રુંજય તીર્થનો પટ છે. રંગમંડપમાં બીજા વિભાગમાં ગોખલામાં મુનિ શ્રી કાંતિવિજય મ. સા. ની આરસની મૂર્તિ છે. તેની ઉપરની દિવાલ પંચ કલ્યાણકના નાના ચિત્રોથી શણગારવામાં આવી છે. ત્રીજા વિભાગમાં નાના ચોકની ચારેબાજુ સ્તંભો અને સુંદર રંગકામથી સુશોભિત ઘુમ્મટ છે. ચોથા વિભાગમાં એક ગોખલામાં ત્રણ અને બીજા ગોખલામાં એક ભગવાનની પ્રતિમા છે.
ગર્ભદ્વારમાં ફૂલ અને વેલવાળી આકૃતિમાં સુંદર મીનાકામ કરેલ હોવાથી મનોહર લાગે છે. શ્યામ રંગની આરસની થાંભલી પર મીનાકામ દર્શનીય છે. ભગવાનની પાછળની દિવાલ પર રંગકામ કરી સુંદર વેલોનું કળા કારીગરીનું કામ કરેલ છે. ગભારામાં આરસનું પબાસન અને સુંદર છત્રી છે જેમાં સોનેરી-રૂપેરી રંગ પૂરેલ છે. ઉપર નાના ઘુમ્મટ બનાવ્યા છે.
ત્રણ ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનની ૨૧" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૧૭ પાષાણ પ્રતિમાઓ, ૧ ચૌમુખી પ્રતિમા અને ૩૮ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે તથા ૪ જોડ પગલાં છે.
ચોકની બીજી બાજુ એક ઓરડીમાં અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રવીરનું પ્રાચીન અને ચમત્કારિક સ્થાનક છે. -
મૂળનાયક ભગવાનની પ્રતિમા સંપ્રતિ મહારાજના સમયની હોવાનું માનવામાં આવે છે. સં. ૧૯૪૭માં પ્રસ્તુત જિનાલયનો જીર્ણોદ્વાર પૂર્ણ થયેથી આચાર્ય શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મ. સા. તથા પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ. સા. ની નિશ્રામાં પુન:પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૧૩ છે. તે નિમિત્તે પૂજા ભણાવાય છે. દેરાસરનો વહીવટ ટ્રસ્ટ હસ્તક છે. ટ્રસ્ટી ઉમાકાંતભાઈ શાહ, સુખલાલ શાહ અને ભગુભાઈ શાહ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૨૯ પાષાણ પ્રતિમાઓ તથા ૧૮ ધાતુ પ્રતિમાઓ હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો છે. ૧૮ પાષાણ પ્રતિમાઓ તથા ૪૭ ધાતુ પ્રતિમાઓ હતી. ૩ ગુરુમૂર્તિ અને ભોંયરામાં પ્રતિમાજીનો ઉલ્લેખ છે. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યાની નોંધ છે.
ટૂંકમાં આ જિનાલયનો સમય સંવત ૧૯૪૭ પૂર્વેનો છે. નિશ્ચિત સમય નક્કી કરવા વધુ સંશોધનની જરૂર છે.