________________
વડોદરાનાં જિનાલયો
૨૧૩ પગથિયાં ચઢીને દેરાસરના પ્રવેશદ્વારની આજુબાજુ બે દેરી છે જેમાં શ્રી માણિભદ્રવીર અને શ્રી ઘંટાકર્ણવીરની પ્રતિમા બિરાજમાન છે.
ત્રણ પ્રવેશદ્વારમાંથી રંગમંડપમાં પ્રવેશ થાય છે જ્યાં નવગ્રહનો પટ, ગોખલામાં યક્ષયક્ષિણી, શ્રી ગૌતમસ્વામી અને સામે પૂ. આ. શ્રી નેમિસૂરીશ્વરજીની પ્રતિમા છે. એક બાજુ દેરીમાં શ્રી ચક્રેશ્વરી દેવી, શ્રી લક્ષ્મી દેવી અને શ્રી સરસ્વતી દેવી તથા બીજી બાજુ દેરીમાં શ્રી પદ્માવતી દેવી અને શ્રી અંબિકા દેવીની પ્રતિમા બિરાજમાન છે.
ત્રણ ગર્ભદ્વારવાળા ગભારાની બહારના ભાગમાં ૨૪ તીર્થંકર પરમાત્માની પ્રતિમાજી ક્રમસર બિરાજમાન છે. ગભારામાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનની ૨૧" ની પ્રતિમા | બિરાજમાન છે. જિનાલયમાં કુલ ૨૫ પાષાણ પ્રતિમાઓ જેમાં ગભારામાં ૧૩ અને રંગમંડપમાં ૧૨ પ્રતિમા તથા ૮ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
ભોંયરું મુખ્ય દેરાસરનાં પગથિયાંની નીચેના ભાગમાં ભોયરું બનાવેલું છે. અત્રે ભરૂચના અશ્વાવબોધ તીર્થના ભોંયરામાં બનાવેલા ભક્તામર મંદિર જેવું મંદિર બનાવવામાં આવ્યું છે. રંગમંડપમાં ત્રણે દિશામાં શ્રી ભક્તામર સ્તોત્રની ૪૪ ગાથાના પટ લગાવેલાં છે તેમજ પ્રવેશદ્વાર પાસે જ બેડીયુક્ત પૂ. આ. શ્રી માનતુંગસૂરિજીની ઊભી પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ પ્રતિમાની સામે રંગમંડપના છેક અંદરના ભાગમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૪૧" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ અને ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
દેરાસરની પેઢીની ઑફિસની બાજુમાં એક ઓરડામાં શ્રી સિદ્ધાચલ, શ્રી સમેતશિખર, શ્રી ગિરનાર અને શ્રી અષ્ટાપદ તીર્થના પટ છે જયાં કારતક પૂનમના દિવસે સમગ્ર જૈન શહેરીજનો દર્શનાર્થે આવે છે.
દેરાસરની સામે સોસાયટીના એક પ્લોટમાં નાની દેવકુલિકા છે જ્યાં આજુબાજુ શ્રી નાકોડા ભૈરવ દેવ અને શ્રી સર્વમંગલ જિવંતિકા દેવીની પ્રતિમા બિરાજમાન છે તેમજ વચ્ચે ઓરડામાં ૭ ગુરુમૂર્તિઓ બિરાજમાન છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા વદ ૭ છે. તે નિમિત્તે ચઢાવો બોલીને ધ્વજારોહણ કરવામાં આવે છે.
અહીં શ્રાવક-શ્રાવિકાનો ૧-૧ ઉપાશ્રય તેમજ પાઠશાળા છે.