________________
વડોદરાનાં જિનાલયો
૨૦૭
(૧૪) શ્રી નેમિનાથ જિનાલય
પરોલી. તા. ઘોઘંબા ઘોઘંબાથી ૪ કિ. મી., વેજલપુર ગામથી ૧૮ કિ. મી. તેમજ પાવાગઢથી ૨૦ કિ. મી.ના અંતરે આવેલા પરોલી ગામમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનનું આરસનું શિખરબંધી દેરાસર આવેલું છે.
ઊંચી દિવાલથી આરક્ષિત ચોકમાં એક બાજુ કેસરની રૂમ તેમજ બીજી બાજું દેરાસર છે. ૩ પગથિયાં ચઢતાં ઓટલો આવે છે જ્યાં ૩ પ્રવેશદ્વાર છે, જેની બારસાખ ઉપર શ્રી નેમિનાથ ભગવાનની જાનનું કોતરકામ તેમજ શિલ્પ જોવા મળે છે. રંગમંડપમાં બીજા બે દ્વાર છે. રંગમંડપમાં વિવિધ તીર્થપટ તેમજ શ્રી નેમિનાથ ભગવાનની જાનનું ચિત્રકામ જોવા મળે છે.
ગોખમાં યક્ષ-યક્ષિણીની પ્રતિમા છે તથા ગભારાને ફરતે પ્રદક્ષિણાની જગ્યામાં તીર્થકર પરમાત્માના જીવનચરિત્રના અંશો તેમજ કાચ પર શ્રી નેમિનાથ ભગવાનના નવ ભવનું સુંદર ચિત્રકામ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્ય મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની ૨૫" ની પરિકરયુક્ત શ્યામવર્ણી પ્રતિમા સહિત ૪ પાષાણ પ્રતિમાઓ તેમજ ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસરની બે બાજુ બે દેરી છે જ્યાં જમણી બાજુ લક્ષ્મી, નારાયણ અને ગણેશજી તેમજ ડાબી બાજુ હનુમાનજી અને શંકરજીની મૂર્તિ છે. દેરી પર ત્રિકોણાકાર ધ્વજા છે.
આ દેરાસરનો જીર્ણોદ્ધાર વિ. સં. ૨૦૩૧માં થયેલો છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા વદ ૧૧ છે. તે નિમિત્તે સંઘ તરફથી સ્વામીવાત્સલ્યનું આયોજન કરવામાં આવે છે. તેમજ જશવંતલાલ મણીલાલ શાહ પરિવાર તરફથી દર વર્ષે ધ્વજારોહણ કરવામાં આવે છે.
ગામમાં એક ધર્મશાળા (૨૦ ખંડની સુવિધાવાળી) તેમજ એક ભોજનશાળા છે.
વિશેષ :- આ દેરાસર આશરે ૫૦૦ વર્ષ પ્રાચીન છે. જેનાં પ્રતિમાજી ધનેશ્વરથી નીકળ્યાં હતાં. લોકવાયકા મુજબ છાણી ગામના રહેવાસી ધર્મનિષ્ઠ શ્રાવક શ્રી ગરબડદાસને રાત્રિના સમયે સ્વપ્નમાં જાણે પોતે નદીમાંથી પ્રભુજી બહાર કાઢી રહ્યાં છે તેવું દેખાયું અને વડીલોને હકીકત જણાવતાં તપાસ શરૂ કરી. પરોલીમાંથી પસાર થતી નદીના કિનારેથી પ્રભુજીની પ્રતિમા પ્રગટ થઈ અને બળદને ગાડાં જોડી ગાડામાં પ્રભુજીની પ્રતિમા પધરાવી ગાડું છુટું મૂક્યું. બળદ
જ્યાં આપમેળે અટકી જાય ત્યાં દેરાસર બનાવવું એવો નિર્ણય થતાં પરોલી ગામમાં કથિત સ્થળે સદર જિનાલયનું નિર્માણ થયું હતું.