________________
વડોદરાનાં જિનાલયો વિદ્યામંદિરમાં ગોઠવવામાં આવ્યું.
વડોદરાએ જૈન સાધુ સમાજને ત્રણ વીર રત્નો આપ્યા છે. શ્રીમદ્ પ્રવર્તકજી મહારાજ સાહેબ અર્થાત્ શ્રીમદ્ કાન્તિવિજયજી મહારાજ સાહેબ, શ્રીમદ્ મુનિ હંસવિજયજી મહારાજ સાહેબ તથા શ્રીમદ્ મુનિ વલ્લભવિજયજી મહારાજ સાહેબના જન્મથી વડોદરા વીરપુરુષોનું ક્ષેત્ર અર્થાત્ વીરક્ષેત્ર તરીકે ખ્યાતિ પામ્યું હતું.
શ્રીમદ્દ પ્રવર્તકજી મહારાજ સાહેબ ઉર્ફે શ્રી કાન્તિવિજયજી મહારાજ સાહેબ શ્રી આત્મારામજી મ. સા.ના શિષ્ય હતા અને તેઓએ વડોદરામાં રહી પ્રાચીન ઐતિહાસિક સાહિત્યની ઘણી શોધખોળ કરી હતી. તે સમયે પ્રાપ્ત થયેલા જીર્ણ પ્રાચીન પુસ્તકોનાં સમારકામ તેમજ અસલી તાડપત્રો વગેરે લેખો મેળવી અહીંના જ્ઞાનમંદિરમાં ગોઠવેલ છે.
શ્રીમદ્ મુનિ હંસવિજયજીએ શ્રી કાન્તિવિજયજી મ. સા. ની સાથે જ દીક્ષા લઈ ઘણાજીવોને તાર્યા છે.
શ્રીમદ્ મુનિ વલ્લભવિજયજી મ. સાહેબે શ્રીમદ્ પ્રવર્તકવિજયજી મ. સાહેબની સાથે રહી, પોતાની વ્યાખ્યાન વક્તા તરીકેની શ્રેષ્ઠતાથી અન્ય ધર્મી તેમજ ઉંચા અમલદારોના દિલ જીતી લીધાં હતાં અને જૈન વિદ્યાર્થીઓ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયરૂપી વૃક્ષની રોપણી કરી હતી.
આત્મારામજી મ. સાહેબના આ ત્રણેય શિષ્યોએ પોતાના ગુરુનું નામ અમર કરી દીધું. વડોદરાના જૈન જ્ઞાનમંદિર સાથે તેઓશ્રીનું જ નામ જોડવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓશ્રીના નામ સાથે જોડાયેલી એક પાઠશાળા આજે પણ જૈન ધર્મના સૂત્ર-સિદ્ધાંતોનું સિંચન બાળવર્ગમાં કરી રહી છે.
વિ. સં. ૧૯૬૩માં શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ મુંબઈ દ્વારા પ્રકાશિત “જૈન શ્વેતાંબર ડિરેક્ટરી”માં કુલ ૧૬ જિનાલયો દર્શાવ્યાં છે. સં. ૧૯૭૩માં શ્રી જૈન એસોસીએશન ઓફ બરોડા દ્વારા પ્રકાશિત “શ્રી વડોદરા જૈન મંદિરાવલી”માં કુલ ૧૪ જિનાલયો દર્શાવ્યાં છે. વિ. સં. ૨૦૧૦માં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા પ્રકાશિત જૈન તીર્થ સર્વસંગ્રહમાં કુલ ૧૮ જિનાલયો દર્શાવ્યાં છે. આજે સ્થળ મુલાકાત બાદ કુલ ૬૭ જિનાલયો માલુમ પડ્યાં છે.
વડોદરામાં નરસિંહજીની પોળના જિનાલયમાં શ્રી દાદા પાર્શ્વનાથ પ્રભુની અતિ પ્રાચીન પ્રગટ પ્રભાવી પ્રતિમા બિરાજમાન છે. જેમ પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથ, ખંભાતના શ્રી સ્તંભન પાર્શ્વનાથનો વિશેષ મહિમા છે તેમ વડોદરામાં આ શ્રી દાદા પાર્શ્વનાથનો મહિમા છે. સત્તરમા સૈકામાં મહોપાધ્યાય ધર્મસાગરના પ્રશિષ્ય શ્રી રાજસાગરજીએ શ્રી દાદા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ નવિન ભક્તામર સ્તોત્રમાં કરી છે. મૂળ કાષ્ટમય દેરાસર હતું જેનો મંત્રી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ મળે છે.
મામાની પોળના શ્રી કલ્યાણ પાર્શ્વનાથ (જીરાવલા પાર્શ્વનાથ)નું જિનાલય પણ