________________
વડોદરાની જૈન પરંપરા
વિશ્વામિત્રી નદીના તટ પર વસેલા વડોદરાનું પ્રાચીન નામ વટપદ્ર હતું. પૂ. શ્રી હરિભદ્રસૂરિ રચિત “ઉપદેશપદમાં વટપદ્રના સત્યવાદી સત્ય નામના વણિક શ્રાવકની કથા પરથી તેમજ સં. ૮૬૯માં લખાયેલા એક દાનપત્રમાં એક બ્રાહ્મણને વટપદ્ર ગામ દાનમાં આપ્યાની વિગતો પરથી અનુમાન કરી શકાય કે આ નગર આઠમા સૈકા પહેલાનું છે.
વિ. સં. ૧૧૮૫ આસપાસ આ. શ્રી દેવેન્દ્રસૂરિના શિષ્ય આ. શ્રી ભદ્રેશ્વરસૂરિના ઉપદેશથી ગુજરાતના મહામાત્ય શાંતુ મહેતાએ તેમના મંત્રી સજ્જનની રાહબરી હેઠળ વડઉદા (વડોદરા)માં મોટો રથયાત્રાનો મહોત્સવ કર્યો હતો. - ગુજરાત રાજ્યની રાજધાની પાટણ બની તે સમયે આ પ્રદેશનું સંચાલન પણ પાટણ નરેશના તાબા હેઠળ રહ્યું જેમાં શ્રી કુમારપાળના રાજ્ય શાસનકાળમાં તેમણે પોતાના ઉપકારી કટુક નામના વાણિયાને આ શહેર દાનમાં આપ્યું હતું. નરસિંહજીની પોળમાં આવેલું શ્રી દાદા પાર્શ્વનાથ (શ્રી ભીડભંજન પાર્શ્વનાથ)નું જિનાલય તેમનું બંધાવેલું છે. પાટણમાં કુમારપાળે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય હસ્તક અંજનશલાકા મહોત્સવ કર્યો હતો તેમાં વટપદ્રના રહેવાસી શેઠ કાન્હાએ પોતાના મંદિરના મૂળનાયકની અંજનશલાકા કરાવી હતી.
૧૩ મી સદી સુધી આખા ગુજરાત પર જૈન શાસનનો ડંકો વાગતો રહ્યો અને ૧૩મી થી ૧૭ મી સદી દરમિયાન મોગલોના આક્રમણ, ધર્મવિરોધ અને ધાર્મિક સ્થાનોમાં કરાતી તોડફોડમાં ઘણા મોટા નગરોનાં પ્રાચીન જિનાલયો પણ ભોગ બન્યાં. જેમાં પાવાગઢના બાવન જિનાલયનો ધ્વંસ થયો. ત્યાંના મૂળનાયક શ્રી કલ્યાણ પાર્શ્વનાથ (જીરાવલા પાર્શ્વનાથ) ભગવાનની પ્રતિમા વડોદરામાં સં. ૧૮૮૯માં પ્રગટ થઈ અને સં. ૧૮૯૬માં વડોદરામાં મામાની પોળમાં શિખરબંધી જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરવામાં આવી. તે સમયે વડોદરાનું આ પ્રથમ જ શિખરબંધી જિનાલય હતું.
૧૮ મી સદીમાં પેશ્વા સરકાર, મરાઠા સરકાર અને ગાયકવાડ સરકારનું શાસન બદલાતું રહ્યું. અંતે સયાજીરાવ ગાયકવાડ -ત્રીજા ના શાસનકાળમાં ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય પ્રત્યેના અપાર પ્રેમને કારણે વિશાળ હસ્તપ્રતોનો ભંડોળ અસ્તિત્વમાં આવ્યો. જેમાંથી કેટલુંક જૈન સાહિત્ય જ્ઞાનભંડારમાં સંગ્રહિત કરવામાં આવ્યું અને અન્ય કેટલુંક સાહિત્ય પ્રાચ્ય