________________
વડોદરાનાં જિનાલયો ઐતિહાસિક દ્રષ્ટિએ અતિપ્રાચીન છે. પાવાગઢ પર્વત ઉપર બાવન જિનાલય હતું, જેના મૂળનાયક શ્રી જીરાવલા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સંવત ૧૧૧૨માં વૈશાખ સુદ ૫ ના રોજ શ્રી ગુણસાગરસૂરિએ કરી હતી. પાવગઢના પતન પછી કેટલાક સમય પછી આ જ પ્રતિમા વડોદરામાં પ્રગટ થઈ હતી. લોકવાયકા મુજબ એક બ્રાહ્મણને સ્વપ્ન દ્વારા સૂચન થવા છતાં તેનું રહસ્ય ન સમજાયું હોઈ તેણે કોઈ પ્રયત્ન કર્યો નહીં પરંતુ તે જ સમયે જૈનાચાર્ય શ્રી શાન્તિસાગરસૂરિને પણ સૂચન થતાં વડોદરાના શ્રી સંઘના મોવડીઓ ગાંધી દુર્લભદાસ ઝવેરચંદ વગેરે એકઠા થયા અને બ્રાહ્મણના મકાનમાંથી આ પ્રાચીન પ્રતિમા પ્રગટ થઈ. સારથી વિનાના રથમાં પ્રભુ પ્રતિમાને બેસાડી રથ ચલાવવામાં આવ્યો. મામાની પોળના દરવાજા આગળ આવી રથ અટકવાથી દરવાજા ખોલાવતાં હાલ જે સ્થળે જિનાલય છે ત્યાં રથ અટક્યો. સંવત ૧૮૮૯માં મૂર્તિના પ્રાગટીકરણ બાદ સંવત ૧૮૯૬માં શિખરબંધી જિનાલયનું બાંધકામ પૂર્ણ થતાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. જો કે આજે તે શ્રી કલ્યાણ પાર્શ્વનાથ તરીકે પ્રતિષ્ઠિત છે.
મહેતા પોળમાં ચાંપાનેર દરવાજા પાસેનું શ્રી નેમનાથનું જિનાલય પણ આશરે ૭૦૦ થી ૮૦૦ વર્ષ પ્રાચીન છે. જો કે ખૂબ જ જીર્ણ થઈ જવાથી મૂળ પાયાથી આરસનું જિનાલય તૈયાર કરાવી સં. ૨૦૦૮માં શ્રી વિજય વલ્લભસૂરિજી મ. સા. ની નિશ્રામાં પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવી.
આ ઉપરાંત મામાની પોળમાં શ્રી મહાવીરસ્વામીનું, કોઠી પોળમાં શ્રી શાંતિનાથનું, સુલતાનપુરામાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું, પટોડીયા પોળમાં શ્રી મનમોહન પાર્શ્વનાથનું, પીપળા શેરીમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું તેમજ ઘડિયાળી પોળમાં શ્રી આદિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રી ચંદ્રપ્રભસ્વામીનાં જિનાલયો પણ ઘણાં પ્રાચીન છે. પરંતુ આ દરેક જિનાલયો જે પ્રાચીન કાષ્ઠમય હતાં તેમનો જીર્ણોદ્ધાર કરાવી આરસનાં બનાવી દેવાયાં છે તેથી પ્રાચીન કારીગરીના કોઈ વિશિષ્ટ નમૂના આજે આ જિનાલયોમાં ઉપલબ્ધ નથી. માત્ર ચમત્કારી, પ્રભાવી, આલાદક એવી પ્રાચીન પ્રતિમાઓ જ તેની પ્રાચીનતાની સાક્ષીરૂપે હાજર છે. વળી, વડોદરામાં જૈન કુટુંબોની સારી એવી વસ્તી અને આજના જાગૃત વહીવટદારોના જિનાલયના સુંદર સંચાલન દ્વારા પણ જિનાલયોની દેખભાળનો પ્રશ્ન અહીં ઉભવ્યો નથી.
પંચમ કાળમાં મોક્ષમાર્ગના મુખ્ય બે જ આલંબનો આપણી સમક્ષ હાજર છે–જિનબિંબ અને જિનાગમ. વડોદરાને આવા પ્રાચીન જિનબિંબ અને શ્રી આત્મારામજી જ્ઞાનમંદિરમાં સંગ્રહિત પ્રાચીન જૈન શ્રતનો મોટો ભંડાર બંને હાથવગા જ ઉપલબ્ધ છે. આવી ભવ્ય પરંપરાને જાળવી ભવ્ય જીવો સુકૃતનું ભાથુ બાંધવા દ્વારા સ્વાત્માને હળવો કરે એ જ પ્રાર્થના સાથે શ્રી અરિહંત પરમાત્માને શીશ ઝૂકાવી વંદના.