________________
૧૮૬
વડોદરાનાં જિનાલયો
ધર્મચક્ર, ત્રિશલા માતાના ૧૪ સ્વપ્નો, ધર્મચક્ર, શ્રી કેશરીયા, શ્રી તારંગા, શ્રી રાણકપુર, શ્રી શત્રુંજય મહાતીર્થ આદિ તીર્થપટો છે બહાર દેવકુલિકામાં શ્રી માણિભદ્રવીરની મૂર્તિ બિરાજમાન છે.
રંગમંડપ મોટો અને આરસની ફરસવાળો છે. રંગમંડપમાં થાંભલાઓ વચ્ચે કમાન તથા ઉપર ઘુમ્મટમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનના ૨૭ ભવ અને છેલ્લા ભવના પાંચ કલ્યાણાંકનાં સુંદર ચિત્રો બનાવેલ છે. મુખ્ય પ્રવેશદ્વારની ઉપર ત્રિશલા માતાનાં ચૌદ સ્વપ્નો સુંદર પટ પત્થર પર ઉપસાવેલાં છે. રંગમંડપમાં ગોખલામાં શ્રી ગૌતમસ્વામી અને શ્રી હીરસૂરિ મ. સા. ની આરસ પ્રતિમા છે. જેની આજુબાજુ ત્રણ આરસનાં પગલાં તથા એક બાજુ દેવીની મૂર્તિ છે. શ્રી હીરસૂરી મ. સા. ની પ્રતિમા પરના લખાણ પરથી જાણી શકાય છે કે પ્રતિષ્ઠા સં. ૧૬૬૪ના મહા સુદ-૧૦ ગંધાર સંઘ વડે શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં થયેલી છે. રંગમંડપમાં બે દિશામાં બે દ્વાર છે તથા આજુબાજુની દિવાલ પર વિવિધ તીર્થનાં સુંદર રંગીન પટ છે જેમાં શ્રી શત્રુંજય અને શ્રી ગિરનાર તીર્થના દિવાલ પર ઉપસાવેલ પટ છે. ગભારાની બહારના ગોખલામાં યક્ષ-યક્ષિણીની મૂર્તિ છે.
કાષ્ઠનાં બનેલાં ત્રણ ગર્ભદ્વાર પૈકી દરેકની બારસાખ રંગીન કોતરણીવાળી તથા જાળીવાળી છે. મુખ્ય બારસાખની ઉપરની દિવાલમાં ઇન્દ્ર મહારાજા દ્વારા જન્માભિષેકનો પ્રસંગ ચિત્રિત છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની ૩૧" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર પલાઠીની બે બાજુ ઉપર લેખ છે. એક બાજુના લેખમાં નીચે મુજબ વાંચી શકાય છે. “સં. ૧૬૪૧ વર્ષે દ્વિતીય વૈશાખ વદી ૩ રવિ. . . .
. . . .” બીજી બાજુના લેખમાં નીચે મુજબ વાંચી શકાય છે. “શ્રી મહાવીર પ્રતિષ્ઠિત વિજયમાન રાજયે હીરવિજયસૂરિ. . . . . . . . . ” પ્રતિમાની પાછળ તથા ઉપર છતમાં સુંદર કાચકામ કરેલ છે. દરેક ભગવાનનાં નામ પણ કાચકામમાં કાચથી જ ઉપસાવેલ છે. ગભારામાં ૧૩ પાષાણ પ્રતિમાઓ તથા ૮ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
ઉપર શિખરમાં ગભારો છે જેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. ગભારામાં સંવત ૧૬૬૪ વર્ષે માઘ સુદ ૧૦ શ્રી વિજયસેનસૂરિ વડે પ્રતિષ્ઠા કરાવ્યાનું લખાણ છે. ગભારામાં ૧૦ આરસ પ્રતિમા અને શ્રી આબુ તથા શ્રી શિખરજીનો પટ છે.
દેરાસરના નીચેના મુખ્ય પ્રવેશદ્વારની બરોબર ઉપરના માળ પર અગાશીમાં અન્ય એક ગભારો છે જેમાં ત્રણ ગઢ પર બે ચૌમુખી પ્રતિમા બિરાજમાન છે. ત્રીજા ગઢ પર ચોતરફ શ્રી શાંતિનાથ ભગવાનની ૩ આરસ પ્રતિમા ૧૩" ની અને ગર્ભદ્વારા સન્મુખની પ્રતિમા ૧૧" ની એમ કુલ ચાર પ્રતિમા બિરાજમાન છે તથા ત્રણ ગઢની છેક ઉપરના ભાગમાં મધ્યમાં શ્રી આદીશ્વર ભગવાનની ચૌમુખી એવી ચાર પ્રતિમા ૭" ની બિરાજમાન છે. અહીં ઉપરના ઘુમ્મટના ભાગમાં શ્રી નેમિનાથ ભગવાનની જાનનું દશ્ય ચિત્રિત છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૩ છે. જે નિમિત્તે ધ્વજારોપણનો મહોત્સવ થાય છે. આ દિવસે શ્રીસંઘજમણ રાખવામાં આવે છે. દેરાસરની જમણી બાજુ એક માળનો છાપરાબંધી ઉપાશ્રય છે. એક ભાઈઓનો અને એક બહેનોનો ઉપાશ્રય છે. જ્ઞાન ભંડાર છે જેમાં