________________
૧૭૪
વડોદરાનાં જિનાલયો
ગામ - અંકલેશ્વર તાલુકો - અંકલેશ્વર.
૨૩. શ્રી અલૌકિક પાર્શ્વનાથ જિનાલય (સં. ૨૦૪૩)
ભરૂચથી ૯ કિ.મી.ના અંતરે આવેલાં અંકલેશ્વરમાં જી. આઈ. ડી. સી. ની નવી કોલોનીમાં શ્રી અલૌકિક પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી દેરાસર આવેલું છે. નૂતન, આરસમઢિત દેરાસર છે. દેરાસરની સ્થિતિ સારી છે.
પ્રવેશ કરતાં પહેલાં ઓટલાની બંને બાજુ બે ઊભેલાં દ્વારપાળની કૃતિ છે અને ઓટલા પર બે મધ્યમ કદના હાથી પર મહાવતની કૃતિ છે. મોટું લાકડાનું બે બારણાંવાળું પ્રવેશદ્વાર છે.
રંગમંડપ ચોરસ છે. બંને બાજુ બે અલગ પ્રવેશદ્વાર પણ છે. રંગમંડપમાં ડાબી બાજુ ગોખલામાં શ્રી મહાલક્ષ્મી દેવી, શ્રી ચક્રેશ્વરી દેવી અને ગભારાની બહાર ગોખમાં શ્રી પાર્શ્વયક્ષ, શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ બિરાજમાન છે.
ગર્ભદ્વારની ઉપરની દિવાલ પરનો લેખ છે જે નીચે મુજબ છે.
“શાસનસમ્રાટ દિવાકર અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભગવન્ત શ્રી ગુણસાગરસૂરીશ્વરના પુનિત આર્શીવાદથી તેઓની નિશ્રામાં તત્ આજ્ઞાવર્તીની સા. ભ. પ. પૂ. નરેન્દ્રજી મ. સા. ની શિષ્યા બા. બ્ર. શ્રી ચારૂલતાશ્રીજી મ. સા. ની શિષ્યા પ. પૂ. અમીપૂર્ણાશ્રીજી મ. સા. ની પ્રેરણાથી ૨૦૪૩ના પોષ વદી-૨ તા. ૧૬-૧-૧૯૮૭ના શુક્રવારે આ જિનબિંબોની પ્રતિષ્ઠા ભારે ઉલ્લાસપૂર્વક થયેલ છે. પ્રથમ અમીપૂર્ણાશ્રીજી આદિ ૩ ઠાણાની નિશ્રામાં આ મહોત્સવ થયેલ છે.
ગર્ભદ્વાર એક છે. ગભારો ચોરસ અને મધ્યમ કદનો છે. મૂળનાયક શ્રી અલૌકિક પાર્શ્વનાથ ભગવાનની ૧૩" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. દેરાસરમાં ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે.
“મુંબઈ, મલાડ, ગોરેગાંવ સંઘે ઈદમ શ્રી પાર્શ્વનાથ જિનબિંબ પ્રતિષ્ઠાપિતું. શાસન અચલગચ્છીય દિવાકર.
અંજનશલાકા મહોત્સવ. પ. પૂ. આ. ભગવન્ત શ્રી ગુણસાગરસૂરીશ્વરૈઃ કારાપિત ચ. ' બાજુની અન્ય પ્રતિમા પરના લેખમાં “કાર્તિક કૃષ્ણા ૨૦૪૨” વાંચી શકાય છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ પોષ વદ ૨ છે. તે નિમિત્તે ધ્વજારોપણનો મહોત્સવ થાય છે. આ માટે ચઢાવો બોલવામાં આવે છે. આ દિવસે શ્રીસંઘજમણ રાખવામાં આવે છે અને પ્રભાવના થાય છે. જ્ઞાન-ભંડાર છે જેમાં ૧૦૦ જેટલાં પુસ્તકો છે. ઉપાશ્રય અને દેરાસરનો વહીવટ શ્રી અચલગચ્છ જૈન સંઘના હસ્તક છે.
જિનાલયનો સમય સં. ૨૦૪૩નો છે.