________________
વડોદરાનાં જિનાલયો
૧૨૩
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૧ પાષાણ પ્રતિમા તથા ૬ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે ૧૯૯૧માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ ચંદુલાલ કિલાભાઈ તેનો વહીવટ કરતા હતા. આ ભવ્ય દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૯૯૧નો છે.
ગામ : માસર રોડ તાલુકો : પાદરા
૩૨. શ્રી શાંતિનાથ પ્રભુનું ગૃહ ચૈત્ય (સં. ૧૯૭૦) પાદરાથી ૨૯ કિ. મી.ના અંતરે આવેલા માસર રોડ ગામમાં બજાર મધ્યે મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું પશ્ચિમાભિમુખ, છાપરાબંધી, સંઘનું ઘરદેરાસર એક મકાનમાં પહેલા માળે આવેલ છે.
દેરાસરના રંગમંડપમાં પ્રવેશતાં જમણી બાજુની દિવાલે શ્રી શત્રુંજય તીર્થ પટ તેમજ ડાબી બાજુની દિવાલે શ્રી જયસિંહસૂરીશ્વરજીએ કાગળ ઉપર શ્રી નવપદ યંત્રનો જાતે દોરેલો ફોટો મઢેલો છે. " ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૩" ની પ્રતિમા સહિત ૫ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક ભગવાન ગોખમાં પધરાવેલ છે અને તેની ઉપર શિખરની રચના કરી ધ્વજા ચઢાવેલ છે. મૂળનાયકની પ્રતિમા ઉપર “સં. ૧૫૮૪ શ્રી શાંતિનાથ બિંબ” એ પ્રમાણેનું લખાણ સ્પષ્ટ વાંચી શકાય છે.
અહીં નીચે ભોંયતળીયાનો ઉપાશ્રય તરીકે ઉપયોગ થાય છે.
ઐતિહાસિક સંદર્ભ
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. ૨ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે લગભગ સંવત ૧૯૭૦માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ ચંદુલાલ કિલાભાઈ તેનો વહીવટ કરતા હતા. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૯૭૦નો છે.