________________
વડોદરાનાં જિનાલયો
૧૦૫
ગામ : ડભોઈ તાલુકો : ડભોઈ
૧૮. શ્રી શામળા પાર્શ્વનાથ જિનાલય ડભોઈ ગામમાં જૈન વાળા વિસ્તારમાં શામળાજીની શેરીમાં ઘુમ્મટબંધ, આરસનું, ૨ માળનું, ભોંયરા સહિત શ્રી શામળા પાર્શ્વનાથજીનું જિનાલય આવેલું છે.
શેરીમાં ડાબી બાજુના પ્રવશેદ્વારમાંથી આશરે ૪ પગથિયાં ચઢતાં જિનાલયના પ્રાંગણમાં પ્રવેશ થાય છે જ્યાં જમણી બાજુ ઑફિસ આવેલી છે. ૯ પગથિયાં ચઢતાં ખુલ્લો ચોક આવે છે જયાં હીરવિજયસૂરીનાં પગલાંની દેરી, સંઘ સ્થાપિત પેઢીની નવી ઑફિસ, કેસર-સુખડની રૂમ આવેલ છે.
જમણી બાજુથી જિનાલયની લાંબી શૃંગારચોકીમાં પ્રવેશ થાય છે જયાં ૮ પત્થરના રંગકામવાળા સ્તંભો આવેલા છે. જિનાલયમાં પ્રવેશ માટેના ૩ દ્વાર આવેલ છે જે પૈકી મુખ્ય દ્વાર પત્થરની બારસાખવાળું બે બાજુ દ્વારપાળના શિલ્પ સહિતનું છે. પત્થરની ફૂલ કારીગરીવાળી રંગકામ કરેલી કમાનો તેમજ એક બાજુ બે મોટા અરીસા આવેલાં છે. | મુખ્ય પ્રવેશદ્વાર કાષ્ઠ ઉપર પિત્તળજડિત તેમજ આજુબાજુના બે દ્વાર કાષ્ઠના સાદી કોતરણીવાળા છે. રંગમંડપમાં આરસના કોતરણીમય સ્તંભો ઉપર પત્થરના વાજિંત્રો વગાડતાં રંગીન નારીશિલ્પો છે તેમજ વચ્ચેની ચોકીમાં મોટું ઝુમ્મર અને આજુબાજુ કાચની હાંડીઓ લટકાવેલ છે. વળી કાચના દ્વારવાળા એક ગોખલામાં સોનેરી રંગકામયુક્ત શ્રી મણિભદ્રવીરની કાષ્ઠની મૂર્તિ તથા શ્રી ચક્રેશ્વરી દેવીની આરસ પ્રતિમા છે. વળી, આરસના ગોખલામાં શ્રી ગૌતમસ્વામીની આરસ પ્રતિમા, શ્રી ધરણેન્દ્ર દેવની આરસ પ્રતિમા તથા દક્ષિણાવર્ત શંખ બિરાજમાન છે. તદુપરાંત ગોખલામાં શ્રી પદ્માવતી દેવી, શ્રી યશોવિજયજી મ. સા. ની આરસ પ્રતિમા બિરાજમાન છે.
૩ ગર્ભદ્વારવાળા ગભારા પૈકી મુખ્ય ગભારામાં ૩૯" ની મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથની પ્રતિમા બિરાજમાન છે તેમજ બંને બાજુ ગભારે શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન છે. જિનાલયમાં ૨૫ પાષાણ પ્રતિમાઓ (જેમાં ૨૧ પદ્માસન, ૪ કાઉસગ્ગ મુદ્રામાં), ૩૫ ધાતુ પ્રતિમાઓ (જેમાં ૮ ચાંદીના) તથા ૧ જોડ પગલાં બિરાજમાન છે.
ગૂઢમંડપમાં જમણી બાજુથી ૧૪ પત્થરના પગથિયાં ઊતરતાં ભોંયરું આવે છે જેના એક દ્વારમાંથી પ્રવેશતાં આપણી ડાબી બાજુ જર્મન-સિલ્વરના સળિયાવાળી જાળીના ગભારામાં ૩૫" ની મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૪ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. પ્રભુની જમણી બાજુ આરસનો માતૃકા પટ તેમજ ડાબી બાજુ આરસનો ૨૦ તીર્થંકર પટ દિવાલમાં જડેલા છે.
આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલ છે તેમજ વર્ષગાંઠ તિથિ માગશર સુદ ૬ છે.