________________
વડોદરાનાં જિનાલયો
૧૦૩
ગામ : સાધલી તાલુકો : સિનોર
૧૬. શ્રી કુંથુનાથ જિનાલય (સં. ૨૦૧૬) સિનોરથી ૨૦ કિ. મી.ના અંતરે સાધલી ગામમાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનનું એક શિખરવાળું, આરસયુક્ત જિનાલય આવેલું છે.
ત્રણ દરવાજા પૈકી મધ્ય દરવાજેથી ૧૫ પગથિયાં ચઢીને જિનાલયમાં પ્રવેશતાં લાંબો રંગમંડપ આવે છે જેમાં બંને બાજુ શ્રી શત્રુંજય, શ્રી સમેતશિખર, શ્રી ગિરનાર તથા શ્રી સિદ્ધચક્ર યંત્રના પટ છે. ગોખલામાં અધિષ્ઠાયક દેવ-દેવીઓની પ્રતિમાઓ બિરાજમાન છે. ઘુમ્મટના ભાગમાં આઠ દેવ-દેવીઓની આકૃતિઓ જોવા મળે છે.
એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્યે શ્રી કુંથુનાથ ભગવાનની ૧૩" ની અષ્ટપ્રતિહાર્ય પ્રતિમા સહિત કુલ ૪ પાષાણ પ્રતિમાઓ તથા ૧૩ ધાતુ પ્રતિમાઓ છે. પાષાણનાં પગલાં ૧ જોડ છે. હાલ દેરાસરનો જીર્ણોદ્ધારનું કામ ચાલતું હોવાથી બધાં પ્રતિમાજી પરોણા દાખલ કરેલ છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે. “સ્વસ્તિ શ્રી વિક્રમ સં. ૧૦૭૬ વર્ષે જેઠ શુક્લ . . . . . . . . તપાગચ્છીય. . .
| વિ. સં. ૨૦૧૬માં આ જિનાલયની સ્થાપના થઈ હતી. આ જિનાલયની વર્ષગાંઠ તિથિ માગશર સુદ ૬ છે. તે નિમિત્તે શ્રી સંઘ તરફથી ચઢાવો બોલીને ધ્વજા ચઢાવવામાં આવે છે. જિનાલયના જીર્ણોદ્ધારનું કામ હાલ ચાલુ છે જે પૂર્ણ થયેથી આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં પુન:પ્રતિષ્ઠા થનાર છે.
આશરે ૧૦ જૈન કુટુંબોની વસ્તી ધરાવતાં આ ગામમાં આ જ વિસ્તારમાં ધર્મવિહાર નામનો બે માળનો શ્રાવક-શ્રાવિકા બંનેના ઉપયોગ માટેનો ઉપાશ્રય આવેલ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. મૂળનાયક તરીકે શાંતિનાથ ભગવાનની ધાતુ પ્રતિમા હતી. શ્રી સંઘે સંવત ૧૯૮૪માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ અચલદાસ ગુલાબચંદ તેનો વહીવટ કરતા હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખની સંવત ૧૮૨૨ છે. દેરાસરની સ્થિતિ સાધારણ હતી.
હાલ શ્રી કુંથુનાથ જિનાલયનો સમય સં. ૨૦૧૬નો છે તે અગાઉ શ્રી શાંતિનાથ જિનાલયનો સમય સં. ૧૯૮૪નો છે.