________________
૧૦૨
વડોદરાનાં જિનાલયો અશ્વ, સિંહ આદિ પશુઓની કૃતિ ઉપસાવેલ છે. મધ્યમાં દ્વારપાળ છે. મુખ્ય પ્રવેશદ્વારથી રંગમંડપમાં પ્રવેશ થાય છે.
દેરાસરના રંગમંડપમાં શ્રાવક જીવનના આચારોને પાળતાં ઐતિહાસિક દ્રષ્ટાંતોના જીવનના પ્રસંગો, તીર્થંકર પરમાત્માના ઉપસર્ગો, જીવનચરિત્રને દર્શાવતા આશરે ત્રીસેક પટ તથા તીર્થના પટ છે જેમાં શ્રી સમેતશિખર, શ્રી તારંગા, શ્રી શત્રુંજય, શ્રી ચંપાપુરી, શ્રી પાવાપુરી, શ્રી અષ્ટાપદ તથા શ્રી ભોપાવર છે. વળી અહીંથી ભોંયરામાં જવાનાં પગથિયાં છે જયાં કાષ્ઠનો કોતરણીવાળો દરવાજો છે.
૩ ગર્ભદ્વારવાળા ગભારામાં ૧૫" ની મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનની પ્રતિમા સહિત ૧૬ પાષાણ તથા ૨૭ ધાતુ પ્રતિમાઓ અત્રે બિરાજમાન છે.
રંગમંડપમાં આવેલ કાષ્ઠના દરવાજામાંથી ૧૨ પગથિયાં ઉતરતાં ભોંયરામાં પ્રવેશ થાય છે. જર્મન-સિલ્વરના કઠેડાના આધારે નીચે ઊતરતાં રંગમંડપમાં ઈટાલીયન ટાઈલ્સ ચોટાડેલી દેખાય છે. નર્મદા નદીમાંથી નીકળેલ અતિ પ્રાચીન અને ચમત્કારિક એવી શ્રી આદિનાથ પ્રભુની ૩૯" ની પ્રતિમા બિરાજમાન છે જેની આજુબાજુ શ્રી મલ્લિનાથ ભગવાન અને વિશિષ્ટ પરિકરમાં શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૩ છે જે નિમિત્તે ચઢાવો બોલીને ધ્વજા ચઢાવવામાં આવે છે અને શ્રી સંઘસ્વામી વાત્સલ્ય થાય છે.
આ જ વિસ્તારમાં શ્રાવક શ્રાવિકાનો ૩ માળનો ઉપાશ્રય આવેલ છે. અહીં જ્ઞાન ભંડાર તેમજ આયંબિલશાળા પણ છે. ગામમાં હાલ ૩૫ જૈન કુટુંબો રહે છે તેમજ છેલ્લા ૫૦ વર્ષમાં ગામની ૩ બહેનોએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
ઐતિહાસિક સંદર્ભ સંવત ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૨૦ પાષાણ પ્રતિમાઓ તથા ૪૬ ધાતુ પ્રતિમાઓ હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૧૯ પાષાણ પ્રતિમાઓ તથા ૨૯ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે લગભગ સંવત ૧૮૦૦માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ પ્રેમચંદ બેચરદાસ તેનો વહીવટ કરતા હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખની સંવત ૧૮૦૫ છે. એક જ્ઞાનભંડાર અને ભોંયરામાં પ્રતિમાજીનો ઉલ્લેખ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
આ જિનાલયનો સમય સં. ૧૮૦૦ આસપાસનો છે.