________________
વડોદરાનાં જિનાલયો
દ્વારપાળની કૃતિ ઉપસાવેલ છે. રંગમંડપમાં શ્રી પાવાપુરી, શ્રી શત્રુંજય, શ્રી ગિરનાર આદિ તીર્થના ચિત્રિત પટ છે. કાચથી ઉપસાવેલ શ્રી સિદ્ધચક્રજીનો પટ પણ છે. રંગમંડપમાં ઘણા ખાલી ગોખલા છે. કહે છે કે ત્યાંથી પ્રભુજીની પ્રતિમા ગામની નજીકમાં જ આવેલ સુમેરૂ તીર્થમાં બિરાજમાન કરેલ છે. ગભારાની બહાર બે ગોખલામાં અધિષ્ઠાયક દેવ-દેવીની પ્રતિમાજી છે.
૯૮
પીત્તળની જાળીવાળા એક ગર્ભદ્વારની બારસાખ રંગીન છે. ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની આરસ પ્રતિમા ૨૫" ની બિરાજમાન છે. ૫ પાષાણ પ્રતિમાઓ તથા ૪ ધાતુ પ્રતિમાઓ છે. ૪ જોડ આરસનાં પગલાં પણ છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખ નીચે મુજબ છે.
‘સંવત ૧૮૫૧ વર્ષે વૈશાખ સુદ ૬ તીથૌ ચંદ્રે તપાગચ્છે શ્રી વિજયજિનેન્દ્રસૂરિ રાજ્યે શ્રી મહ્યાનગર વાસ્તવ્ય શ્રીમાલી જ્ઞાતીય વૃદ્ધ શાખાયાં શ્રેષ્ટિ સોમાલજી. .
આ જ દેરાસરના પરિસરમાં આવેલ મોટા ભોંયરામાં શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાનની ઊંચી પ્રતિમા બિરાજમાન હતી, જે હાલ સુમેરૂ તીર્થમાં મૂળનાયક તરીકે બિરાજમાન છે.
ચોકમાં આવેલ ઉપાશ્રયમાં શ્રી માણિભદ્રવીરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. પૂ. ઉદયરત્ન મહારાજ સાહેબ અહીં કાળધર્મ પામેલ અને તેમના દેહનો અગ્નિસંસ્કાર ગામ બહાર એક તળાવ પાસે કરવામાં આવેલ, જે સ્થાને તેઓનાં પગલાં પણ સ્થાપિત કરવામાં આવેલ પરંતુ હાલ ત્યાંથી લાવીને અહીં દેરાસરના પરિસરમાં પધરાવવામાં આવેલ છે.
વિ. સં. ૨૦૨૯માં જીર્ણોદ્ધાર થયેલ આ દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૬ છે. શેઠ શ્રી ઝવેરચંદ નેમચંદ પરિવારના સભ્યો દર વર્ષે ધ્વજા ચઢાવે છે તથા લાડવાની પ્રભાવના પણ કરવામાં આવે છે.
પ્રાચીન સમયમાં મહ્યાનગર નામથી પ્રચલિત આજના મિયાગામમાં હાલ માત્ર ૪ જૈન કુટુંબોની વસ્તી છે. ગામમાંથી છેલ્લા ૫૦ વર્ષમાં ૫ થી ૬ બહેનોએ દીક્ષા ગ્રહણ કરેલ છે. ગામમાં અન્ય જિનાલયો પણ હતાં પરંતુ હાલ એક પ્રતિમા રાખી, ત્યાંની બીજી બધી જ પ્રતિમાઓ ગામની નજીક બનેલ શ્રી સુમેરૂ તીર્થમાં પધરાવવામાં આવેલ છે.
ઐતિહાસિક સંદર્ભ
સંવત ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૩૪ પાષાણ પ્રતિમાઓ તથા ૯ ધાતુ પ્રતિમાઓ હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૩૪ પાષાણ પ્રતિમાઓ તથા ૯ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે સંવત ૧૮૫૧માં દેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ છે. શેઠ સોમચંદ કસ્તુરચંદ તેનો વહીવટ કરતા હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખની સંવત ૧૮૫૧ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
આ જિનાલયનો સમય સં. ૧૮૫૧નો છે.