________________
વડોદરાનાં જિનાલયો
૮૯
સંભવનાથ ભગવાનની પ્રતિમા પર સં. ૧૬૬૧ સ્પષ્ટ વાંચી શકાય છે.
૧૪ પગથિયાં ચઢતાં મકાનના ઉપરના ત્રીજા માળે પણ દેરાસર આવેલ છે, જેમાં ચારે બાજુ ખુલ્લી જગ્યામાં રંગમંડપ તેમજ વચ્ચે ઓરડીમાં સમવસરણ બનાવીને ચાર દ્વારવાળા ગભારામાં ચૌમુખજી શ્રી આદિનાથ, શ્રી વિમળનાથ, શ્રી અજિતનાથ તથા શ્રી ધર્મનાથ ભગવાનની પ" ની ધાતુની પ્રતિમાઓ બિરાજમાન છે. રંગમંડપમાં તીર્થંકર પરમાત્માના જીવનચરિત્ર દર્શાવતા અંશો, ઐતિહાસિક પ્રસંગો, વિવિધ તીર્થપટ છે.
દેરાસરનો જીર્ણોદ્ધાર થયેલ છે તેમજ ફાગણ સુદ ૫ ના રોજ વર્ષગાંઠ તિથિ આવે છે. રૂબરૂ મુલાકાત દરમિયાન દેરાસરની પ્રતિષ્ઠાની કંકોત્રી જોવા મળેલ, જેનું લખાણ નીચે મુજબ છે.
“શ્રી જિનાય નમઃ !
સ્વસ્તિ શ્રી મહાશુભસ્થાને પુજારાધે દેવગુરુ ભગતીકારક શ્રી જિન. આજ્ઞા પ્રતિપાલક મહામંત્ર સમારાધક શેઠજી સાહેબ શેઠ. . . . . વગેરે
શ્રી છાણીથી શીવલાલ પરષોત્તમદાસના પ્રણામ વાંચશોજી. વિનંતી વિશેષ કે અત્રે શ્રી સત્તરમા કુંથુનાથજી મહારાજને લખતે બીરાજવા સારુ નવીન દેરાસર તઈઆર કરાવ્યું છે. તેનું શુભ મહુરત સંવત ૧૯૪૪ના ફાગણ સુદી પ શુકરવારના સવારના ૭ ને ૨૧ મિનિટે પધારવાના છે તે સંબંધી ઓચ્છવનો વરઘોડો ફાગણ સુદી ૪ ગુરુવારનો છે માટે આપ સાહેબો સહકુંટુંબ સહિત ફાગણ સુદ ૩ બુધવારે અત્રે પધારશોજી. આપ સર્વે સાહેબોના પધારવાથી શ્રી જિનશાસનની ઉન્નતિ વિશેષ થશે. એ જ અરજ સંવત ૧૯૪૪ના . . . . . . . . . . . . * . . . વાર લી. સેવક . . .
ઐતિહાસિક સંદર્ભ * સંવત ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે . થયો છે. સંવત ૧૯૪૪માં આ ઘરદેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૧૧ ધાતુ પ્રતિમાઓ હતી. શેઠ બાપુલાલ શીવલાલે સં. ૧૯૪૪માં આ ઘરદેરાસર બંધાવ્યું હતું. કેસરીચંદ નગીનદાસ બાપુલાલ તેનો વહીવટ કરતા હતા. દેરાસરની સ્થિતિ સારી હતી.
આ જિનાલયનો સમય સં. ૧૯૪૪નો છે.