________________
ઉજ્યન્તગિરિનાં જિનમંદિરો
મૂલનાયકરૂપે પ્રતિષ્ઠા કરી. મૂલનાયકની બાજુબાજુમાં આદિનાથ અને સંભવનાથના બિંબની પ્રતિષ્ઠા ઈ સ ૧૮૨૪ના જીર્ણોદ્વારમાં દૂર થઇ, તેને સ્થાને નવી રચના થઈ. જૂના ગૂઢમંડપની બહારની ભીંત પણ નવી કરી, પણ તેનો અંદરનો જૂનો ભાગ સદ્ભાગ્યે બચી ગયો છે. તેમાં રહેલો વચલો વીસેક ફૂટના વ્યાસનો વિશાળ કરોટક ચિત્ર-૩૪-૩૫માં રજૂ કર્યો છે. તેમાં નીચે રૂપકંઠ પછી ગજતાળુના ત્રણ થરો કરી, તેના પર નવખંડા કોલના ત્રણ થરો અને વચ્ચે મોટા પાનની, અણીદાર-જાળીદાર કોલના પાંચ થરવાળી, પુષ્પખચિત અને પદ્મકેસરયુકત બહુ જ સુંદર પદ્મશિલા કરેલી છે, જેની ગણના પશ્ચિમ ભારતના ૧૫મા સૈકાનાં સર્વોત્તમ ઉદાહરણોમાં થઈ શકે તેમ છે. એકંદરે તેનું કરોળિયાની જાળ જેવું કામ ખરતરવસહીના આવાં સમાન વિતાનોની પદ્મશિલાઓને બહુ જ મળતું આવે છે, અને આ બધી એક જ પરંપરાના કારીગરોની એકકાલીન કૃતિઓ છે.
૩૦
ગજપદકુંડ પાસે નવો કુંડ કરવા માટે ફોડેલી સુરંગમાં આ મંદિરના આગળના ભાગને નુકસાન થતાં કોચીનવાળા શેઠ જીવરાજ ધનજીએ, હાલ જે કાચની બારીઓવાળો રંગમંડપ છે, તે જૂનાને સ્થાને કરાવેલો છે. પૂર્ણસિંહ કોઠારીનું આ મંદિર અસલમાં બહારથી અને અંદરથી ખૂબ જ શોભાસંપન્ન હશે. દુ:ખની વાત એ છે કે, અજ્ઞાનમૂલક પુનરુદ્વારો અને પુરાવસ્તુ પ્રતિની ઉપેક્ષા-ઉદાસીનતાને કારણે એના મોટા ભાગના પુરાણા હિસ્સાનો દોઢસોએક વર્ષે વિલય થયો છે!
ગજપદકુંડ : ગજાગ્રપદકુંડ : ગર્યદપયકુંડ : ગર્યદમુકુંડ : હાથીપગલાનો કુંડ
જ્યારે દંડનાયક સજ્જનનું ‘‘કર્ણાયતન’” મંદિર પૂર્ણ થયું ત્યારે ઉત્તર બાજુની જગતીના કોટમાં ચોકીવાળું દ્વાર મૂકેલું. એનો હેતુ શું હશે? એ કાળે તો આજે ત્યાંથી નીચે દેખાય છે તેમાંનું એક પણ મંદિર બન્યું નહોતું. પ્રસ્તુત દ્વાર મૂકવાનું પ્રયોજન એ જણાય છે કે ત્યાંથી એક વાટ નીચે ખડકની પડખે પડતા નાગ-મોર-ઝરા તરફ જતી હતી. મધ્યકાળમાં યાત્રીઓ તેમાં સ્નાન કરીને નેમિનાથનું પૂજન કરવા જતા. નેમિનાથની જગતીના ઉત્તર દ્વારના એક સં ૧૨૧૫(ઈ. સ. ૧૧૫૯)ના લેખ અનુસાર ઠકુર સાલવાહણે આ ઝરા પર કુંડ બનાવ્યો અને તેની બાજુમાં અંબિકાદેવીની કુલિકા કરાવી. સંભવ છે કે હાથીપગલું તો તે કાળે પણ હોય અને તેને પ્રસ્તુત કુંડની અંદર સમાવી લેવામાં આવ્યું હોય. આ ગજપદકુંડ, ગજાગ્રપદકુંડ, ગણંદપયકુંડ કે ગયંદમુકુંડનો ઉલ્લેખ ૧૩મા શતકથી ૧૫મા શતક સુધી રચાયેલ ગિરનાર સંબંધી લગભગ તમામ જૈન સાહિત્યમાં મળે છે. ‘‘સ્કન્દપુરાણ’’ અંતર્ગત ‘‘પ્રભાસખંડ’’માં પણ તેનો ઉલ્લેખ છે. આ સાદો કુંડ આજે પણ (જીર્ણોદ્ધાર પામી) વિદ્યમાન છે, અને તેમાં આવતા ઝરણનું શીતલ જલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org