________________
ઉજયન્તગિરિનાં જિનમંદિરો
૨૯
કે કલ્પપ્રદીપકાર જિનપ્રભસૂરિ પણ અહીં કુમારપાળ કારિત કોઈ મંદિર હોવા વિષે નોંધ લેતા નથી. મંત્રીશ્વર વસ્તુપાળની ૬ શિલાપ્રશસ્તિઓમાં, કે તેમના સમકાલિક પ્રશસ્તિકારો–આચાર્ય નરેન્દ્રપ્રભસૂરિ, ઉદયપ્રભસૂરિ, અરિસિંહ, અને બાલચંદ્ર, તેમજ રાજશેખરસૂરિ કે જિનહર્ષગણિ સરખા ઉત્તરકાલીન લેખકો જે સૌ વસ્તુપાલના સુકૃતોનું વિગતે વિવરણ કરે છે–તે સૌના લખાણમાં પણ ગિરનાર પર “કુમારવિહાર” હોવાની કે તેમાં વસ્તુપાલે કશું કરાવ્યાની નોંધ મળતી નથી; એટલું જ નહીં પણ તે પછી ૧૪માથી ૧૮મા શતક સુધીના તીર્થગંદનાકારો-ચૈત્યપરિપાટીકારો પણ ગિરનાર પર કુમારપાળ નિર્મિત મંદિર હોવાનો જરા સરખો પણ નિર્દેશ કરતા નથી. સોલંકીકાલીન તથા ઉત્તર મધ્યકાલીન લેખકોના સમર્થનનો સંપૂર્ણ અભાવ જોતાં આ મંદિરને કુમારપાળનું મંદિર કહેવું સમીચીન નથી. જેમ શત્રુંજય પર કુમારવિહાર હોવાની કિંવદંતી ૧૮મી-૧૯મી સદીથી પ્રચારમાં આવી, તેવું જ ગિરનારના આ મંદિરના સંબંધમાં પણ બન્યું જણાય છે.
ત્યારે આ મંદિર કોણે બંધાવ્યું? ૧૫મા શતકના ઉત્તરાર્ધમાં થયેલા ચૈત્યપરિપાટીકારો આ મંદિરને સાહ પૂનાનું કે પૂના કોઠારીનું શાંતિનાથનું ૭૨ જિનાલયવાળું મંદિર કહે છે. પ્રતિષ્ઠાસોમ સોમસૌભાગ્યકાવ્ય (સં. ૧૫૨૪, ઈ. સ. ૧૪૬૮)માં આ મંદિરને બેદર (બિદર) નગરના પૂર્ણસિંહ કોઠારી અને તેમના બંધુ રમણે કરાવ્યાનું કહે છે. રાણકપુરના ધરણવિહારમાં સં. ૧૫૦૭(ઈ. સ. ૧૪૫૧)માં સ્થાપેલ ગિરનારવાળા પટ્ટમાં “પૂનસવસહી” બતાવવામાં આવી છે. તેથી આ મંદિર તે સાલ પૂર્વે બંધાઈ ચૂકયું હોવું જોઈએ. આ મંદિરના અને સમરસિંહ-માલદેના(ઈ. સ. ૧૪૩૮)માં પ્રતિષ્ઠિત “કલ્યાણત્રય” મંદિરના પ્રતિષ્ઠાપક આચાર્ય એક જ (જિનકીર્તિસૂરિ) હોઈ, સંભવતયા આ પૂનસવસહી પણ ઈ. સ. ૧૪૩૮ના અરસામાં બની હોવી ઘટે. તેના પુરાણા અવશિષ્ટ ભાગની શૈલી પ્રસ્તુત અનુમાનનું સમર્થન કરે છે.
. આ મંદિરનો દુર્ભાગ્યે વધુ પડતો પુનરુદ્ધાર થઈ ગયેલો છે. બર્જેસના કથન અનુસાર ૧૯મી સદીના પ્રથમ ચરણમાં જૈનોએ આ મંદિરના પુનરુદ્ધારની શરૂઆત કરી, પણ જૂનાગઢના કોઈ શ્રીમંત મહેસરી શરાફે તેમાં શિવની સ્થાપના કરવાનો નિર્ણય કરતાં ઝઘડો થયેલો. શ્રાવકો આમરણાંત અનશન પર ઊતર્યા હતા. તે સમયે જૂનાગઢના નાગર ગૃહસ્થ ભગવાનલાલ મદનજી, જેઓ કાઠિયાવાડના નેટિવ એજન્ટ હતા, તેમણે તે મંદિર અસલમાં ભીમકુંડેશ્વર હોવાનું ઠરાવ્યું; પણ અમદાવાદથી તપાસ માટે આવેલ અન્ય એજન્ટ ઠાકરસી પુંજાશાએ દ્વારના ઉતરંગ (ઓતરંગ) પરથી મંગળમૂર્તિ રૂપે બિરાજેલ પદ્માસનસ્થ જિનની નિશાની પરથી મંદિર મૂળે જૈન હોવાનું સાબિત કરતાં ઝઘડાનો અંત આવ્યો અને ઈ. સ. ૧૮૨૪માં શેઠ પાંચા હંસરાજ જેઠાએ નવનિર્માણનું કાર્ય શરૂ કર્યું. ને સં૧૮૭૫(ઈ. સ. ૧૮૨૯)માં તપાગચ્છીય વિજયજિનેન્દ્રસૂરિએ અભિનંદનજિનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org