SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ઉન્નગિરિનાં જિનમંદિરો ભમતીના બિલકુલ નૈઋત્ય ખૂણામાં રહેલો, કોલના ઘટતા ક્રમમાં ઊંડા ઊતરતા જતા ચાર થરોથી સર્જાતી ચાર ઉક્ષિપ્ત લૂમાઓના સંયોજનથી રચાતો આ પદ્મનાભ જાતિનો વિતાન સોલંકીયુગના કારીગરોને પણ સ્તબ્ધ કરી દે તેવો છે (ચિત્ર-૨૪). પ્રત્યેક લૂમાની નાભિમાંથી નીકળતાં પદ્મપુષ્પ, અને છતના વચલા, ઊંચકાઈ આવતા બિંદુમાં કરેલ કોમળ પાંખડીઓથી સર્જાતા કમળફૂલ, તેમજ કર્ણ ભાગે ગ્રાસનાં મુખો અને ભદ્ર ભાગે ચંપાના પાનથી સોહતો આ સુંદર વિતાન પંદરમા શતકનાં સર્જનોમાં તો બેજોડ કહી શકાય તેવો છે. કોલના થરોના ઊંડા ઊતરતા જતા વિન્યાસથી સર્જાતા એક નાભિછંદ જાતિના વિરલ વિતાનનું દષ્ટાંત ચિત્ર-૨૫માં જોવા મળશે. કોલના એક પછી એક, ક્ષયક્રમથી, અંદર ઊતરતા જતા કુલ ૧૧ જેટલા થરોથી સર્જાતા આ વિસ્તાનની તો સોલંકીકાળમાંયે જોડી નથી જડતી. મંત્રીશ્વર ઉદયનના પુત્ર આદ્મભટ્ટ દ્વારા નવનિર્મિત શકુનિકાવિહાર(ઈ. સ. ૧૧૬૬)માં આવા સિદ્ધાંત પર રચાયેલાં વિતાનો હતાં. (હાલ તે સૌ ભરૂચની જુમા મસ્જિદમાં છે.) પણ તેમાં પણ આટલા બધા થરો લેવાનું સાહસ શિલ્પીઓએ કર્યું હોય તેવું જાણમાં નથી. ઘડીમાં વાદળોના થરોને પેલે પાર રહેલ લોકાલોકનો પાર પામવા મથતો લાગે, તો ઘડીમાં પાતાળ-પાણીમાં શેવાળનાં બાઝેલા એક પછી એક થરને વીંધીને તળિયાને આંબવા યત્ન કરતો લાગે એવો આ વિતાન સમગ્ર ભારતમાં એક જ છે! વસ્તુપાલ-તેજપાલના સૂક્ષ્માતિસૂક્ષ્મ કોરણી કરનારા શિલ્પીઓ પણ જેનાં વખાણ કરે તેવો એક પદ્મનાભ જાતિનો ચેતોહર વિતાન ચિત્ર-૨૬માં રજૂ કર્યો છે. રચનામાં સૌ પહેલાં પાછળ ઉલ્લિખિત છ પાંખડીવાળાં, ચેતનથી ધબકતાં ફૂલોની કિનારી કરી (ચિત્ર-ર૭), અંદર ચોરસ છંદમાં ગજલાલુનો થર લઈ, વચલા ક્ષેત્રમાં ચાર દળવાળી ચાર બહુભંગી ક્ષિપ્તોક્લિપ્ત લૂમાઓના સંયોજનથી પ્રગટ થતાં આ મનોહર વિતાન(ચિત્ર-૨૬)નાં મૂળ તો સોલંકીકાળમાં છે, પણ દળદાર-ચોટદાર કલ્પનામાં તો આની સામે દેલવાડાની વિમલવસહીના સૂત્રધારો પણ એક કોર ઊભા રહી જાય, અને જોમનો ભોગ આપ્યા સિવાય નિપજાવેલી ઘાટની મુલાયમ સફાઈ અને તેમાં રહેલાં મોટાં કમળોની પાંખડીઓમાં સિફતથી ઉતારવામાં આવેલ કુમાશ અને સજીવતાની સામે તો આરાસણના આરસને મીણની જેમ પ્રયોજી ગયેલા લૂણવસહીના શિલ્પીઓ પણ ઘા ખાઈ જાય ! ગિરનાર પર કામ કરી ગયેલા આ શિલ્પીઓનો મુકાબલો એમના જમાનામાં ભારતમાં અન્ય કોઈ સ્થળના ગજધરો નહીં કરી શક્યા હોય, ૧૫મા શતકમાં આવું દિંગ થઈ જવાય તેવું કામ થઈ શકે તે માનવું મુશ્કેલ બને છે! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005601
Book TitleMahatirth Ujjayantgiri Girnar
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy