________________
ઉજ્જન્તગિરિનાં જિનમંદિરો
મૂકેલાં પુષ્પો પોયણાની જાતિનાં છે અને વચ્ચે ‘પદ્મકેસર’’ કર્યું છે.
મૂલપ્રાસાદના ગર્ભસૂત્રે પશ્ચિમે પણ ભદ્રપ્રાસાદ છે, પણ તેનું મોવાળ ખુલ્લું છે. ચૈત્યપરિપાટીકાર તેને શત્રુંજયાવતારનો પ્રાસાદ કહે છે. તેના નિર્માતા વિષે જાણવા નથી મળતું; અને શિલ્પની દષ્ટિએ તેમાં કશું ધ્યાન ખેંચે તેવું નથી. (આ ત્રણે ભદ્રપ્રાસાદો અહીંની અન્ય દેવકુલિકાઓના મુકાબલે ઘણા મોટા છે.) બાકી રહી તે દેવકુલિકાઓમાં ખાસ ધ્યાન ખેંચે તેવું કશું નથી. સિવાય પશ્ચિમ તેમ જ ઉત્તર બાજુની દેરીઓના ગભારાનાં અને તેને લગતી પટ્ટશાલાઓનાં વિતાનો. તેમાં ભમતીના વાયવ્ય ભાગની પટ્ટશાલાનાં વિતાનો તો ૧૫મા શતકના વિતાનસર્જનની પરાકાષ્ઠા દાખવી રહે છે. આમાંથી દશેક જેટલા ચુનંદા નમૂનાઓ અહીં મૂળ ચિત્રો સાથે જોઈશું. ચિત્ર-૧૧માં દર્શાવેલ સમતલ વિતાનમાં વચ્ચે કમલપુષ્પ કરી, ફરતી બે પટ્ટીઓમાં સદાસોહાગણ જેવાં ભાસતાં છ પાંખડીવાળાં ફૂલોની હાર કાઢી છે (જેવાં ફૂલો પછીથી અમદાવાદની રાણી રૂપમતીની મસ્જિદ તથા સુપ્રસિદ્ધ અડાલજની ઈ. સ૰ ૧૫૦૧માં બંધાયેલી વાવમાં જોવા મળે છે.) ચિત્ર-૧૭માં સમતલ પટ્ટમાં ગોલાકૃતિ કોલની પ્રતિક્રમમાં હારો કરી, તેમાં ગાળે ગાળે પડતા ચોકમાં આગળ કહ્યા તે છ પાંખડીવાળાં ફૂલો છાંટેલાં છે. ઘણાંખરાં ફૂલો ખંડિત થઈ ગયાં છે, પણ નીચેના ભાગમાં જે થોડાં બચ્યાં છે તે તેનાં ઘાટીલાપણા અને સજીવતાને છતાં કરે છે. ચિત્ર-૧૮ની છત ચિત્ર-૧૭ને મળતી જ છે, પણ તેમાં ગાળાઓમાં કમળનાં પુષ્પો કાઢ્યાં છે અને કોલની હારો પ્રતિક્રમમાં નહીં પણ એકસૂત્રમાં કાઢેલી છે. બન્ને છતો પોતપોતાની રીતે સુંદર છે. (ચિત્ર-૧૮ વાળી છતનું તળિયેથી દેખાતું પૂર્ણદર્શન ચિત્ર-૧૯માં આપ્યું છે.)
૨૫
આ પછીથી છત(ચિત્ર-૨૦)માં એક પંક્તિમાં પાંચ, એવી ચાર હારોમાં પંચમંડા કોલ કર્યા છે અને ગાળામાં ઊંડા ટાંકણે ઉપસાવેલ, વલયપટ્ટી વચ્ચે, મોટાં કમળપુષ્પો કોર્યાં છે. તેના પછી ચિત્ર-૨૧માં આપેલ છત લકકડકામમાં જ હોય તેવી ફૂલ અને ગજનેત્ર ભાતની ઝીણી ગૂંથણી બતાવી રહે છે. ત્યાર બાદના નમૂનામાં (ચિત્ર-૨૨) પહોળી કિનારીમાં બહુ જ સુરેખ અને સપ્રમાણ ચોરસ ખંડોમાં, ચોકોર પંચખંડા ૧૨ કોલ કર્યાં છે. ૧૫મી શતાબ્દીના મેવાડનાં મંદિરોમાં આને મળતી ભાતો જોવા મળે છે, પણ આટલી સ્વચ્છતા અને આટલી પૂર્ણતાને તે દૃષ્ટાંતો આંબતાં જણાતાં નથી.
ઉપરના પ્રકારનું એક વિશેષ આગળ વધેલું દૃષ્ટાંત હવે જોઈએ. અહીં અસલ રચનામાં તેરખંડા નાભિં ંદમાં કરેલી ત્રણ લૂમાઓ (લાંબસાઓ) એક હારમાં, એવી ત્રણ હાર હશે; પણ તેના કેવળ બે જ ટુકડા બચ્યા છે, જેમાંથી એક (ચિત્ર-૨૩) રજૂ કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org