________________
ઉયન્તગિરિનાં જિનમંદિરો
ગિરનારની પાજ
જયસિંહદેવ સિદ્ધરાજના સમય સુધી ગિરનાર પર ચડવા માટે પગથિયાં નહોતાં બંધાયાં. સમકાલિક લેખક સોમપ્રભાચાર્યના કથન અનુસાર યાત્રાર્થે આવેલો રાજા કુમારપાળ ડુંગર ન ચડી શકતાં ખેદ પામી તેણે ત્યાં પાજ બંધાવવાનો નિર્ણય કર્યો. તે માટે કવિ શ્રીપાલના પુત્ર સિદ્ધપાલની મંત્રણાથી શ્રીમાલી રાણિગના પુત્ર આંબાકની સોરઠના દંડનાયકરૂપે નિયુકિત કરી. (પુરાતન પ્રબંધ સંગ્રહ અનુસાર રાણિગને સજ્જન, અંબાક, અને ધવલ એમ ત્રણ પુત્રો હતા. અને આમાંનો સજ્જન તે સુપ્રસિદ્ધ દંડનાયક સજ્જન હોવાનો સંભવ છે.) વિજયસેનસૂરિ પણ પ્રસ્તુત પાજ કુમારપાળ-નિયુકત સોરઠના દંડનાયક અંબાક દ્વારા સં ૧૨૨૦માં થયાનું કહે છે. (અંબાકના) બંધુ ધવલે ત્યાં અંતરે અંતરે પરબ બેસાડેલી તેવું પણ તેઓ નોંધે છે. જિનપ્રભસૂરિ (જેઓ વિજયસેનસૂરિને અક્ષરશ: અનુસરે છે તેમના) કથન અનુસાર પણ પ્રસ્તુત પાજ સં ૧૨૨૦ (ઈ. સ. ૧૧૬૪)માં બંધાઈ હતી; પણ ગિરનાર ચઢતાં રસ્તે આવતા ખબુતરી ખાણ પાસેના આંબાકના બે લેખોમાં પાજ કરાવ્યાની સં ૧૨૨૨ / અને સં૰ ૧૨૨૩(ઈ. સ૰૧૧૬૬ અને ૧૧૬૭)ની સાલ આપેલી છે. સંભવ છે કે ક્રામની શરૂઆત સં૰ ૧૨૨૦માં થઈ ચૂકી હોય ને પૂર્ણાહૂતિ સં ૧૨૨૩માં થઈ હોય. આખરે આ કામ મોટું અને દીર્ઘ સમય માગી લે તેવું હતું. આ પાજ કેટલે સુધી બાંધી હશે તે નિશ્ચયપૂર્વક કહેવું કઠિન છે. કોઈ કોઈ પ્રબંધમાં, અને ગિરનાર સંબંધી ૧૫મા શતકની એક તીર્થમાળામાં સાંકળીયાળી પાજ (મંત્રીશ્વર ઉદયનના પુત્ર) બાહડે (વાગ્ભટ્ટ) કરાવી હોવાનું કહ્યું છે, તો કોઈક પરિપાટી મુખ્ય (જૂનાગઢ તરફ્ની) પાજને જ બાહડ નિર્મિત ઠરાવે છે, જેનો આધાર ચતુરશીતિ પ્રબંધ, કુમારપાલ પ્રબોધ પ્રબંધ, અને સોમતિલક સૂરિના કુમારપાળ દેવ ચરિત્ર સરખા ૧૪મા શતકના પ્રબંધો જણાય છે, પણ તે વાતને સમકાલિક અભિલેખીય અને પ્રાચીનતર ગ્રંથસ્થ પ્રમાણોનું સમર્થન નથી. (એક તર્ક એવો છે કે સાંકળીયાળી પાજમાં સાંકળી ગામથી શરૂ થતા ગિરનારના ચઢાણે જે પાજ બંધાઈ તેનો ઉલ્લેખ વિવક્ષિત છે.)
૧૫
૧૫મા શતકના બે ચૈત્યપરિપાટીકારો અનુસાર ઉપરની (ગૌમુખી ગંગાથી) અંબાજીના મંદિરની પાજ ચિતર સાહે કરાવેલી. એ પછી હાથી પગલાના લેખ અનુસાર ગિરનારની (સમસ્ત) પાજનો ઉદ્ધાર દીવના શ્રીમાળી શ્રેષ્ઠી માનસંગ મેઘજીએ સં૰ ૧૬૮૩ (ઈ. સ૰ ૧૬૨૭)માં કરાવેલો, અને સં૰ ૧૬૮૬(ઈ સ૦ ૧૬૩૦)માં સહસાવન તરફ જવાના પગથિયાં સંતોકરામ જેચંદે કરાવ્યાં છે; જ્યારે અત્યારે મુખ્ય પાજનાં જે પગથિયાં થયાં છે તે જૂનાગઢના ડૉ. ત્રિભુવનદાસ મોતીચંદ્રે સં. ૧૯૯૮(ઈ. સ. ૧૯૪૨)માં (પાંચ ટૂક સુધી) કરાવેલાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org