________________
૧૪
ઉત્તગિરિનાં જિનમંદિરો
સંપ્રતિરાજાના મંદિર અને વસ્તુપાલના મંદિરની વચ્ચેના ગાળામાંથી આગળ, ઉપલા ડુંગર તરફ જતાં, કોટનો પૂર્વ બાજુનો દરવાજો આવે છે, ત્યાંથી ઉપરની ટૂંકો તરફ જવાનો રસ્તો શરૂ થાય છે. થોડું ચડતાં જમણી બાજુ નીચે નજરે પડતું વસ્તુપાલવિહારની પાછળના ભાગે, ગુમાસ્તાનું અથવા વસ્તુપાળ-તેજપાળની માતાનું મનાતું, ઘૂમટીવાળું સંભવનાથનું મંદિર છે, જેને કચ્છના ગુલાબરાયે સમરાવી, જૂની કારીગરી કાઢી નાખી, નવીન રંગીન કાચનું જડતર કરાવેલું છે. ત્યાંથી પાજે પાજે ઉપર જતાં જોરાવરમલજીએ સમરાવેલ મંદિર અને તેની જમણી બાજુ દિગંબરોએ સં. ૧૯૫૩(ઈ. સ. ૧૮૫૭)માં કરાવેલું મંદિર છે. જોરાવરમલજીના મંદિરથી હેઠાણમાં રામતીની ગુફા આવેલી છે, જેમાં રામતીની ખડક પર કોરેલ આધુનિક પ્રતિમા છે. જોરાવરમલ્લજીના મંદિરને મૂકીને આગળ વધતાં ચૌમુખમંદિર આવે છે. તેની ઉત્તરમાં સહેજ નીચાણમાં માંગરોળવાળા શેઠ ધરમશી હેમચંદે સં. ૧૯૩૨ (ઈ.સ. ૧૮૭૬)માં સમરાવેલું, શાંતિનાથની પ્રતિભાવાળું મંદિર આવે છે. ત્યાંથી ઉપર ચડતાં ગૌમુખી ગંગાનો કુંડ, અને ૨૪ તીર્થકરોનાં પગલાં, અને ત્યાંથી થોડું આગળ ચઢતાં રથનેમિનું મંદિર, અને ત્યાંથી છેવટે ઉપર અંબાજીની ટૂક આવે છે. (અંબાજી તીર્થ આજે બ્રાહ્મણ સંપ્રદાય અધીન છે,) અંબાજીના શિખર પાછળ આજના કાળે ગોરખનાથ, ઓઘડનાથ, અને દત્તાત્રેયના નામે ઓળખાતી ટૂંકો આવેલી છે.
ગિરિ પર વર્તમાન અવસ્થિત જૈનમંદિરો અને પ્રાચીન યાત્રિકોએ વર્ણવેલ પરિસ્થિતિમાં બાહ્ય દષ્ટિથી ઘણો ફરક પડી ગયો છે. મુસ્લિમ આક્રમણો દરમિયાન થયેલા વિનાશ, અને પછીથી ૨૦મી સદી સુધીના પુનરુદ્ધારોએ ઘણી અસલી વાતોને વીસરાવી દીધી છે. મંદિરોમાં કેટલાં પુરાણાં છે, જૂના મંદિરોનો અસલી ભાગ કેટલા પ્રમાણમાં આજે મોજૂદ રહ્યો છે, તે સૌ વાતો પર અસ્પષ્ટતા વરતાય છે : અને એના નિર્માતાઓ, નિર્માણ-મિતિઓ, ઈત્યાદિ વિષયમાં બે-ત્રણ અપવાદ છોડતાં, આજે તો કેવળ અજ્ઞાન અને કિંવદંતીયુકત, નિરાધાર, ભ્રમમૂલક વાતો જ સાંભળવા-વાંચવામાં આવે છે : અને મોટે ભાગે જૈન-જૈનેતર લેખકો દ્વારા, પોતપોતાનાં ગિરનાર સંબંધી લેખનો-પુસ્તકોમાં, તેનો જ પ્રચાર થઈ રહ્યો છે. આ દયનીય-શોચનીય પરિસ્થિતિમાં વધારો કરતી વાત તે મૂલનાયકોની મૂર્તિઓમાં થયેલ પરિવર્તનો છે, પણ સદ્ભાગ્યે આ સંબંધી કેટલોક પ્રકાશ આ તીર્થ સાથે સંલગ્ન અભિલેખો અને એ સંબંધી આગળ કહ્યા તે રાસો, કલ્પો, પ્રબંધો, તીર્થમાળાઓ અને ચૈત્યપરિપાટીઓમાંથી મળે છે. આ સ્રોતોનાં ધ્યાનપૂર્વકના નિરીક્ષણ-પરીક્ષણ, તેમજ વિદ્યમાન મંદિરોની પ્રાચીન વાતો સાથે તુલના, એનાં શિલ્પ-સ્થાપત્યનાં વિશ્લેષણ-પરીક્ષણ આદિ સર્વ સાધનો કામે લગાડતાં ઘણાં નવાં ઐતિહાસિક તથ્યો નજર સામે આવે છે, અથવા તો જૂનાં ઢંકાયેલાં તથ્યો તાદશ બને છે. આ નવા ઉજાસના ટેકે ટેકે હવે તીર્થયાત્રા આરંભીશું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org