________________
આરસીતીર્થ આરાસણ
(૫) સંભવનાથ (મૂળ શાંતિનાથ) જિનાલય નેમિનાથના મંદિરથી લગભગ ૨૫૦ કદમ પશ્ચિમોત્તરે સમૂહનું છેલ્લું અને કાળની દષ્ટિએ પણ આખરી મંદિર આવેલું છે. હાલ તે સંભવનાથના મંદિર તરીકે ઓળખાય છે, પણ ચૈત્યપરિપાટીઓમાંથી જે તારવણી નીકળે છે તે પરથી તે મૂળે શાંતિનાથ ભગવાનનું હોવું જોઈએ.
આ મંદિરને અન્ય મંદિરોની જેમ દેવકુલિકાઓના પરિવારનો વિસ્તાર નથી, તેમ છચોકી પણ અનુપસ્થિત છે. નાની જગતી ફરતો પ્રાકાર કરી, તેની અંદર મૂલપ્રાસાદ, ગૂઢમંડપ અને પછી સીધો રંગમંડપ જ કર્યો છે. મંડોવરના વેદીબંધ પર ભદ્રાદિ ભાગે જૈન દેવદેવીઓનાં રૂપ કર્યા છે. મૂલપ્રાસાદ સૌષ્ઠવપૂર્ણ છે. તેના સુઘડ શિખર પર ૧૩મા શતકના પૂર્વાર્ધમાં હોય તેવી જાલક્રિયા દષ્ટિગોચર થાય છે. (ચિત્ર-૩૨). ગૂઢમંડપ પણ ઘાટીલો છે અને તેમાં અંદર ભીંતમાં ગોખલાઓ કરેલા છે. ગૂઢમંડપને પ્રવેશ ત્રણે બાજુએ કર્યા છે. મુખ્ય પ્રવેશદ્વારના ઉત્તરંગ પર શિખરિકાઓનો શોભનપટ્ટ કર્યો છે. રંગમંડપના સ્તંભો તેમ જ કરાટક કોરણી વગરના સાદા છે. સમગ્ર રીતે જોતાં સાદા આયોજન અને ઉદયવાળા આ મંદિરની શૈલી તેરમા શતકના પૂર્વાર્ધથી પ્રાચીન જણાતી નથી. સંભવ છે કે તે વસ્તુપાળ-તેજપાળે કરાવેલું નહીં તોયે તેમના જમાનાનું હોય.
આરાસણનાં મંદિરો આવેલાં છે તે સ્થાન ટેકરીઓ અને વનસ્પતિના આચ્છાદનથી શોભાયમાન છે. સ્વચ્છ હવા અને ખુલ્લાપણાને લીધે વાતાવરણ આહલાદજનક છે. અહીંયાત્રિકોને ઊતરવા માટે કેટલીક પ્રાથમિક સગવડો છે અને હવે તો તે પ્રવાસીઓનું પણ ધામ બન્યું હોઈ, વિશેષ સુવિધાઓનું નિર્માણ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા થઈ ચૂકયું છે.
ચિત્રસૂચિ : ૧. આરાસણ (કુંભારિઆ) : નેમિનાથ જિનાલય (આ૦ ઈસ. ૧૧૩૫ થી ઈ. સ. ૧૨૮૨). ૨. શાંતિનાથ (મૂળ આદિનાથ) જિનાલય. (મૂળ આ સં. ૧૮૭ | ઈસ. ૧૦૩૧; પુનરુદ્ધાર આ ઈ.
સ. ૧૦૮૧-૮૨). ૩. મહાવીરસ્વામીનું મંદિર : (આ સં. ૧૧૧૮ | આ૦ ઈ. સ. ૧૦૬૨). ૪. લોટણ પાર્શ્વનાથનું મંદિર : (આ. સં. ૧૧૬૧ | આ૦ ઈ. સ. ૧૧૦૫). ૫. મહાવીરસ્વામીના મંદિરનો મૂલપ્રાસાદ : (આ.સં. ૧૧૧૮ | આ૦ ઈ. સ. ૧૦૬૨).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org