________________
આરસીતીર્થ આરાસાણ
૧૫
ખરકમાં હાલ તો સં. ૧૩૨૩(ઈ. સ. ૧૨૬૭)નો નંદીશ્વરદ્વીપનો પટ્ટ મૂકેલો છે. ચોકીને સં ૧૩૧૦(ઈ. સ. ૧૨૫૪)માં પૂર્વ-પશ્ચિમ બાજુએ બબ્બે પદ વધારી તેમાં પછીથી ડાબે પડખે કોરણીવાળી ખંડયુકત અંધ છિદ્રવાળી જાળી ભરી તેના આધારે કલ્યાણત્રય(સં. ૧૩૪૩ | ઈ. સ. ૧૨૮૭)નો ખંડ તેમ જ અન્ય કેટલીક પ્રતિમાઓ, અને જમણી બાજુ નાની દેરી કરી તેમાં દેવી અંબિકાની પ્રતિષ્ઠા કરી છે. આજે પ્રચલિત સાંપ્રદાયિક લોકવાયકા પ્રમાણે અંબાજીના શાપ પછી વિમલસાહે એમની સ્થાપના નેમિનાથના દ્વારે કરી, પણ નેમિનાથનું મંદિર તો વિમલસાહથી સોએક સાલ બાદનું, પાસિલ શ્રાવકનું કરાવેલું છે, અને અંબિકાની કુલિકા તો છેક ૧૩મા શતકના ઉત્તરાર્ધમાં બની છે ! વળી, પ્રતિમા બ્રાહ્મણીય મત અનુસારની દુર્ગા-અંબિકાની નહીં, પણ આમ્રલબ્ધિધારી જૈન યક્ષી અંબિકાની છે. પ્રસ્તુત અંબિકા અરિષ્ટનેમિની શાસનદેવી હોઈ, તે કારણસર તેની પ્રતિષ્ઠા પાછલા કાળે આવેલા વિચારથી કરી છે. ચોકીના આ વધારાથી તેના દેખાવની સુંદરતાને કેટલીક જફા પહોંચી છે, અને છચોકીમાં પ્રકાશ કમ થઈ ગયો છે.
છચોકીમાંથી નીચે ઊતરતાં જ મંદિરના, શ્રાવિકા હાંસીએ બનાવેલ ભવ્ય મેઘનાદ મંડપમાં પ્રવેશ થાય છે : (ચિત્ર-૨૯). મંડપના ધીંગા સ્તંભો કોરણીથી નખશીખ શણગારેલા છે : (જુઓ ચિત્ર-૨૯). મંડપનો વચલો કરોટક (મુખ્ય ગોળ છત) અહીંનાં મંદિરોમાં સૌથી મોટો, લગભગ ૨૧ ફીટના વ્યાસનો છે. તેમાં ગજતાલ અને ખંડવાળાં કોલના સમૂહ પછી વચ્ચે બહુ જ સરસ ઝીણા કામના કોલની રચિત લમ્બન (કિંવા પદ્મશિલા) કરેલી છે : (ચિત્ર-૩૦). વચ્ચે એક ગજલાલુને બદલે જિનના કલ્યાણકો દર્શાવતી પટ્ટિકા કરેલી છે. આ મહાવિતાનને અકબરી યુગમાં રંગ કરેલો છે. પીળા પડી ગયેલ આરસ પર રંગીન હાથીદાંત જેવું કામ હોય તેવો ત્યાં ભાસ થાય છે. મંદિરની દેવકુલિકાઓમાં પૂર્વપશ્ચિમે મોટા ભદ્રપ્રાસાદો કરેલાં છે, જેમાં વિશાળકાય પાર્શ્વનાથ (પશ્ચિમ) અને આદિનાથનાં બિંબ છે. આમાં પાર્શ્વનાથનું બિંબ અસલી, ૧૨મા શતકનું હોવા વિશે એની શૈલી પરથી અનુમાન થઈ શકે છે. સંભવ છે કે આ બન્ને ભદ્રપ્રાસાદો મેઘનાદ મંડપની સાથે બન્યા હોય અને બાકીની દેવકુલિકાઓ પછીથી ૧૩મા શતકના આખરી ચરણમાં ઉમેરાઈ હોય. ૧૩મા સૈકાની પશ્ચિમ બાજુએ દક્ષિણ છેડે આવેલ દેવકુલિકા પર ઘાટીલું શિખર કર્યું છે, જેના પર જાલની આભૂષા પણ કંડારી છે : (ચિત્ર-૨૮ ડાબી બાજુનું શિખર).
પશાલાનાં સ્તંભો અને વિતાનો તદ્દન સાદાં છે. મેઘમંડપને પટ્ટશાલા અને તેની પાછળ રહેલ બલાનક સાથે સાંકળી લેવામાં આવ્યો છે. બલાનકની મુખચોકીના મોરામાં સુંદર તિલક તોરણ લગાવેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org