________________
આરસીતીર્થ આરાસણ
(ઈ. સ. ૧૨૭૦)ના લેખ પછીથી કે તે અરસામાં આબૂના ઈતિહાસ-પ્રસિદ્ધ પરમાર રાજા ધારાવર્ષદેવનું શાસન થયું હશે તેવું અભિલેખો પરથી જાણવા મળે છે.
૧૩મા શતકના અંત ભાગે થયેલા મુસ્લિમ આક્રમણનો આરાસણ પણ ભોગ બન્યું. એની દેવપ્રતિમાઓ ખંડિત થઈ; ને નગરનો પ્રાય: નાશ થયો જણાય છે. ૧૪મા શતકના પૂર્વાર્ધમાં ત્રિસંગમક(ત્રિશંગમક)ના રાણા મહિપાલદેવના આરાસણ પરના શાસન પછીથી ગામ તેમજ દેવમંદિરો ક્રમશ: ઉજ્જડ થયાં; છતાં ૧૫મા શતકમાં કોઈ કોઈ જૈન યાત્રીઓ આરાસણ આવતા હશે : પણ પછીથી ગામ ખાલી પડ્યું જણાય છે. છેક ૧૭મા શતકમાં તપગચ્છીય યુગપ્રધાનાચાર્ય જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિના શિષ્ય આચાર્ય વિજયસેનસૂરિ અને ખાસ કરીને વિજયદેવસૂરિની પ્રેરણાથી આરાસણતીર્થનો ઉદ્ધાર થયો. એ પછી તીર્થનો વહીવટ જુદા જુદા હાથમાં ફરી છેવટે દાંતાના સંઘ પાસેથી શેઠ આણંદજી કલ્યાણજી સં. ૧૯૭૬ (ઈ. સ. ૧૯૨૦)માં સંભાળી ધીરે ધીરે સ્થાનમાં સાક્સફાઈ તેમજ વ્યવસ્થા આણવાનું કાર્ય આરંભ્ય, જે આજ સુધી ચાલુ છે.
આરાસણતીર્થનો ઉલ્લેખ કરતાં સ્તવનો તથા ચૈત્યપરિપાટીઓમાં ત્યાંનાં પાંચ મંદિરોનો ઉલ્લેખ મળે છે : (૧) આદિનાથ, (૨) વીરનાથ, (૩) લોટણ-પાર્શ્વનાથ, (૪) નેમિનાથ, અને (૫) શાંતિનાથ. આજે આદિનાથ મૂળનાયક હોય તેવું કોઈ મંદિર નથી, અને વિદ્યમાન મંદિરોમાંનું છેલ્લું મંદિર સંભવનાથનું ગણાય છે; પણ સંભવનાથના મંદિરનો ચૈત્યપરિપાટીકારો ઉલ્લેખ કરતા નથી. આમ આ બે કિસ્સામાં મૂલનાયકમાં પરિવર્તન થવા છતાં પરિપાટીકારોએ વર્ણવેલા પાંચે મંદિરો સાંપ્રતકાળે વિદ્યમાન છે. એમાં નેમિનાથનું જિનાલય મંદિરોનાં આ સમૂહનું સૌથી મોટું અને મધ્યવતીં મંદિર હોઈ, આજે તો તેને જ તીર્થનું મુખ્ય મંદિર માનવામાં આવે છે. પ્રબંધાદિ સાહિત્યમાં પણ આરાસણીય નેમિનાથનાં ઈતિવૃત્ત આપવામાં આવ્યાં છે; પણ નિર્માણ-સમયની દષ્ટિએ તો તેનો ક્રમ ચોથો છે, જે વિષે અહીં આગળ ઉપર જોઈશું.
ડુંગરની ગાળી વચ્ચે શોભી રહેલાં કલાની મહૂલી શાં આ પાંચ જિનાલયોનો સ્થાનક્રમ નીચે મુજબ છે. આરસણમાં પ્રવેશતાં ઉત્તર-દક્ષિણ રસ્તાને અંતે સૌથી પહેલાં ભગવાન નેમિનાથનું મહામંદિર નજરે પડે છે : (ચિત્ર-૧). નેમિનાથના ભવનથી ઠીક ઠીક ઈશાનમાં અત્યારે શાંતિનાથનું કહેવાતું મંદિર આવે છે : (ચિત્ર-૨). પ્રસ્તુત મંદિરથી અગ્નિકોણમાં મહાવીર સ્વામીનું ચિત્ર-૩) મંદિર છે, અને તેની બાજુમાં પૂર્વ તરફ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે : (ચિત્ર-૪); જ્યારે સંભવનાથનું કહેવાતું મંદિર નેમિનાથના જિનાલયથી અને સારાયે સમૂહથી જરા દૂર, કંઈક વાયવ્ય કોણમાં આવેલું છે, આ પાંચે મંદિરો ઉત્તરાભિમુખ છે, જે વિશેષતા અહીં નોંધવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org