________________
૬૮
પાટણનાં જિનાલયો સહિત દેવીની શિલ્પાકૃતિઓ છે. પ્રવેશચોકીની ઉપરની છતમાં પણ રંગીન ચિત્રકામ છે. જિનાલયના જર્મન-સિલ્વરના કોતરણીવાળા મુખ્ય પ્રવેશદ્વાર પર “સંવત ૧૯૮૩ના અષાડ સુદ ૩ સ્વરૂપચંદ મગનચંદ તરફથી' એમ લખેલું છે.
રંગમંડપમાં પ્રવેશતાં જ ઘુમ્મટની છતમાં કરેલું રંગકામ તથા ચિત્રકામ મનને હરી લે છે. તેમાં પાર્શ્વનાથના દસ ભવોનું ચિત્રાંકન છે. થાંભલાઓ ઉપર વાજિંત્રો સાથે સ્ત્રીઓની મૂર્તિ કંડારવામાં આવેલી છે. એક દીવાલ પર પથ્થરનો ઉપસાવેલ શત્રુંજયનો પટ છે. તેની નીચે ભીંતમાં નેમનાથની જાનનાં દશ્યો કોતરવામાં આવેલાં છે. અહીં દીવાલોમાં વિવિધ ગોખલાઓ છે જેમાં પદ્માવતીદેવીની શ્યામ મૂર્તિ, અંબિકાદેવીની મૂર્તિ, પદ્માવતીદેવીની અન્ય એક સફેદ આરસની મૂર્તિ તથા પાર્શ્વયક્ષની શ્યામ મૂર્તિ તથા ગૌતમસ્વામી તરીકે ઓળખાતી મૂર્તિ છે.
ગૌતમસ્વામીની મૂર્તિ પર “સં. ૧૨૯૧ વર્ષે પોષ વદી ૮ શ્રી ભ..રાજ સૂરીણાં મૂર્તિ બાઈ ખતૂક્યા કારિતા ' મુજબનો લેખ છે. આ લેખ સ્પષ્ટ કરે છે કે ગૌતમસ્વામીની મૂર્તિ તરીકે ઓળખાતી આ મૂર્તિ ખરેખર તો મહારાજસાહેબની છે અને સં૧૨૯૧માં ખતૂયાબાઈ દ્વારા બનાવવામાં આવી છે. વળી, ગર્ભગૃહની બહાર ડાબી બાજુના ગોખમાંની પદ્માવતીદેવીની શ્યામ મૂર્તિ વિશિષ્ટ છે. સામાન્યતઃ મૂર્તિની આંખો સામે જોતી હોય છે. આ મૂર્તિની આંખો તીરછી નજરે જોતી માલૂમ પડે છે. તે ગભારામાં રહેલ મૂળનાયક શામળા પાર્શ્વનાથને જ જોઈ રહેલી જણાય છે. જાણે કે પ્રભુ સિવાય અન્ય કશામાં પણ દેવીને રસ જ નથી !
ત્રણ ગર્ભદ્વાર પૈકી ચાંદીના નકશીકામયુક્ત મુખ્ય ગર્ભદ્વારની બારસાખ પર પથ્થરમાં શિલ્પાકૃતિઓ છે. અન્ય બે દ્વારે પિત્તળના નકશીકામયુક્ત થાંભલાઓ પર રંગીન ટોડલા અને તેની પર પરીઓની શિલ્પાકૃતિઓ છે.
ગભારામાંની કોઈપણ પ્રતિમા પર લેખ નથી. કોતરણીયુક્ત ચાંદીની છત્રીમાં બિરાજમાન મૂળનાયકની પ્રતિમા કસોટીના પથ્થરની, પરિકર વિનાની શ્યામ રંગની છે. અહીં અન્ય નવ પ્રતિમાઓમાંથી પાંચ પ્રતિમા શ્યામ આરસની બનેલી છે. તથા ચાળીસ ધાતુપ્રતિમા છે. પાર્શ્વયક્ષ અને પદ્માવતીદેવીની મૂર્તિઓ પણ શ્યામ છે ! તેથી આ શામળા પાર્શ્વનાથના જિનાલયનું નામ ખરે જ, સાર્થક છે ! વળી, શ્વેત, શ્યામના સંયોજને કરી ગર્ભગૃહ અતિ રમણીય લાગે છે.
સં. ૧૯૭૩ અને સં. ૨૦૪૯માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે.
મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથની પ્રતિમા કસોટી પથ્થરની બનેલી છે. સ્થાનિક કથા પ્રમાણે કુમારપાળ રાજાના સમયની આ પ્રતિમા છે. રાજા કુમારપાળ અહીં સ્નાત્ર ભણાવતા.
ઐતિહાસિક સંદર્ભ શામળા પાર્શ્વનાથના આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં જોવા મળે છે. ઢંઢેરવાડાના શામળા પાર્શ્વનાથના આ જિનાલયનો સં. ૧૬૪૮માં, સં. ૧૭૨૯માં, સં૧૭૭૭માં, સં. ૧૮૨૧માં, સં૧૯૫૯માં અને ત્યારબાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org