________________
પાટણનાં જિનાલયો
ઐતિહાસિક સંદર્ભ પાટણના શ્રી પંચાસરા પાર્શ્વનાથના ભવ્ય અને ઐતિહાસિક જિનાલયમાં મૂળનાયક શ્રી પંચાસરા પાર્શ્વનાથના શ્વેત વર્ણની પદ્માસનસ્થ પ્રતિમા નયનમનોહર છે.
અણહિલવાડ પાટણના સ્થાપક વનરાજે પોતાના ગુરુ શીલગુણસૂરિના આદેશથી પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું. એ ઘટના ઇતિહાસપ્રસિદ્ધ છે. વનરાજનો પિતા પંચાસરમાં રાજય કરતો હતો, તેથી આ મંદિરમાં પ્રતિષ્ઠિત પાર્શ્વનાથની મૂર્તિને પંચાસરા પાર્શ્વનાથ નામ આપવામાં આવ્યું હોય અથવા કેટલાક વિદ્વાનો માને છે તેમ, એ મૂર્તિ પંચાસરમાંથી લાવીને નવા પાટનગર પાટણમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હોય. પાટણની સ્થાપના સં. ૮૦૨માં થઈ હતી. એટલે ત્યાર પછી થોડા સમયમાં આ મંદિર બંધાયું હશે એમ અનુમાન કરવું વધારે પડતું નથી. એ રીતે ગુજરાતનાં જૂનામાં જૂનાં, વિદ્યમાન જૈન મંદિરોમાંનું એક તેને ગણવું જોઈએ; જો કે વખતોવખત તેના જીર્ણોદ્ધારો થયા હોવા જોઈએ. વિક્રમના ૧૩મા શતકમાં મંત્રી વસ્તુપાલે કરાવેલા જીર્ણોદ્ધારની હકીકત તત્કાલીન ઐતિહાસિક કાવ્યોમાંથી મળે છે. હમણાં જ થયેલા છેલ્લા જીર્ણોદ્ધાર પૂર્વે જે મંદિર હતું તેનું સ્થાપત્ય ૧૬મા સૈકાનું જણાતું હતું. વળી આ મંદિર સૌ પહેલાં તો જૂના પાટણમાં હશે. ત્યાંથી એ પ્રતિમાઓ આદિ નવા પાટણમાં ક્યારે લાવવામાં આવ્યા હશે એ વિશે પણ કંઈ આધારભૂત માહિતી મળતી નથી. વનરાજના ગુરુ શીલગુણસૂરિ નાગેન્દ્રગચ્છના ચૈત્યવાસી આચાર્ય હતા અને પંચાસરા પાર્શ્વનાથનું મંદિર સદીઓ સુધી નાગેન્દ્રગચ્છનું ચૈત્ય હતું એમ પ્રાપ્ત ઉલ્લેખો પરથી જણાય છે. ગુજરાતની રાજધાની પાટણના ઇતિહાસ સાથે સંકળાયેલું હોઈ, આ મંદિર એક વિશિષ્ટ ઐતિહાસિક અગત્ય ધરાવે છે.
પંચાસરા પાર્શ્વનાથના મંદિર વિશેનો પહેલો લિખિત ઉલ્લેખ, એ મંદિર બંધાયા પછી લગભગ ચારસો વર્ષ બાદ મળે છે. એ ઉલ્લેખ બૃહદ્ગચ્છના આચાર્ય શ્રી ચન્દ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિ દ્વારા સં. ૧૨૧૬ આસપાસ રચાયેલ પ્રાકૃત ચંદ્રપ્રભચરિતમાંથી છે. એની પ્રશસ્તિના ઉલ્લેખ પ્રમાણે જયસિંહદેવ અને કુમારપાળના મંત્રી પૃથ્વીપાલે પોતાનાં માતપિતાના શ્રેય અર્થે પંચાસર પાર્શ્વગૃહમાં મંડપની રચના કરાવી હતી :
जयसीहएव- सिरिकुमरवालनरनायगाण रज्जेसु । सिरीपुहइवालमंती अवितहनामो इमो विहिओ ॥ अह निन्नयकारावियजालिहरगच्छरिसहजिणभवणे । जमयकए जणणीए उण पंचासरपासगिहे ॥ चड्डावलीयंमि उ गच्छे मायामहीए सुहहेउं ।
अणहिल्लवाडयपुरे कराविया मंडवा जेण ॥१ અરિસિંહ એ ગુજરાતના સુપ્રસિદ્ધ મહામાત્ય વસ્તુપાલનો આશ્રિત કવિ હતો. તેણે સં. ૧૨૭૮ અને સં. ૧૨૮૭ની વચ્ચે વસ્તુપાલનાં સત્કૃત્યો વર્ણવતું સુકૃત સંકીર્તન નામે મહાકાવ્ય રચેલું છે. એ કાવ્યના પ્રથમ સર્ગના દસમા શ્લોકમાં પંચાસરા પાર્શ્વનાથના મંદિરનો ઉલ્લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org