________________
પાટણનાં જિનાલયો
| ગુજરાતનું આવું સ્વર્ગીય પાટણ નગર છેલ્લા રાજા કર્ણ વાઘેલા(સં. ૧૩૫૩થી સં. ૧૩પ૬)ના સમયમાં નાગર મંત્રીઓની અદૂરદર્શિતાથી અલ્લાઉદીનના સેનાપતિ મલિક કાકુરના હાથે જમીનદોસ્ત થયું અને ગુજરાત પરાધીનતાની બેડીમાં સદાકાળ માટે જકડાયું. કેટલાંયે મંદિરો અને મકાનો ભૂમિશાયી બન્યાં. ગુજરાતની લીલી વાડી આ પ્રચંડ ઝંઝાવાતથી વેરાન બની ગઈ. આ ઝંઝાવાતને જાણે વેગ આપતો હોય તેવો ભીષણ દુકાળ સં. ૧૩૭૭માં અહીં પડ્યો, એવી હકીકત “ખરતરગચ્છ ગુર્નાવલી'માંથી મળે છે. મુસલમાન સુલતાનોએ સં૧૪૬૮માં અહીંથી રાજગાદીને ખસેડી તે વર્ષે જ સ્થપાયેલા અમદાવાદમાં તેઓ લાવ્યા.
વિ. સં. ૧૩૭૧માં શત્રુંજય તીર્થના ઉદ્ધારક સંઘપતિ દેસલ શાહના પુત્ર સમરા શાહ પાટણમાં વસતા હતા. તેમણે એ વખતના અલફખાન નામના સૂબાને પોતાની કુશળતાથી પ્રસન્ન કર્યા હતા. એથી પણ સમજાય છે કે એ સમયે પાટણ હયાત હતું. વસ્તુતઃ તઘલખ ફિરોજશાહના રાજ્યકાળમાં પાટણમાં શાંતિ સ્થપાઈ અને નવા પાટણમાં જૈનોએ બેવડા વેગથી નવાં મંદિરો બંધાવવા માંડ્યાં. પાટણના કેટલાક મહોલ્લાઓનાં નામ જૂના પાટણનાં નામો ઉપરથી જ ઊતરી આવ્યાં છે.
પાટણનાં જિનાલયોની સવિસ્તર માહિતી પાટણની વિવિધ ચૈત્યપરિપાટીઓમાંથી પ્રાપ્ત થાય છે : જેમકે – સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટી, સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટી, સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટી, સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટી, સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટી, સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવન તથા સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિ.
સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સિત્તેર જિનાલયોની નોંધ મળે છે. સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કુલ ૧૬૩ જિનાલયો તથા સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કુલ ૧૯૯ જિનાલયોની નોંધ મળે છે. જયારે પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ૯૭ જિનાલયો, સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ૯૩ જિનાલયો, સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં ૮૫ જિનાલયો, સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં ૯૨ જિનાલયોની નોંધ મળે છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ૯૧ જિનાલયો હોવાનો નિર્દેશ છે, જ્યારે આજે પાટણમાં કુલ ૯૭ જિનાલયો વિદ્યમાન છે. - સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં પાટણમાં ઘરદેરાસરોની સંખ્યા ૧૨૭ હતી. માત્ર ફોફલિયાવાડામાં જ ૨૭ ઘરદેરાસરો વિદ્યમાન હતાં !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org