________________
પાટણનાં જિનાલયો
૧૭૭
હવે મુનિસુવ્રતસ્વામીના જિનાલયમાં જઈએ તો ત્યાં અષ્ટકોણીય રંગમંડપના થાંભલે પરીઓ છે. જમણી બાજુની દીવાલે આરસમાં કોતરેલ શત્રુંજય પટ છે.
ત્રણ ગર્ભદ્વારયુક્ત ગભારામાં ભગવાનની જમણી બાજુ પ્રકાશ માટે જાળિયું છે. અહીં ૧૭’ ઊંચાઈ ધરાવતી શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા મૂળનાયક તરીકે વાઘગાન કરતી પરીઓની નકશીકામવાળી રજતછત્રીમાં બિરાજમાન છે. અહીં કુલ ત્રણ આરસપ્રતિમા તથા ઓગણીસ ધાતુપ્રતિમા છે. મૂળનાયકની પ્રતિમા પરના લેખમાં : “સં ૧૬૭૦ વર્ષે વૈશાખ સુદ ૩ કુંવરજી નામ્ના શ્રેયાર્થં શ્રી મુનિસુવ્રત વૃદ્ધશાખીય સા૰ પઉમતી સુત સ...... શ્રી વિજયસેનસૂરિભિ :” લખાણ વાંચી શકાય છે.
ઐતિહાસિક સંદર્ભ
આ સંયુક્ત જિનાલય પૈકી મનમોહન પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ સં ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. ત્યારબાદ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પણ મનમોહન પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે. સં ૧૮૨૧માં ઉપા૰ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં ત્રણ જિનાલયોનો ઉલ્લેખ થયો છે તે પૈકી આ જિનાલયનો પણ સમાવેશ થાય છે.
સં. ૧૯૫૯માં પં′ હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં મનમોહન પાર્શ્વનાથના જિનાલયની સાથે મુનિસુવ્રતસ્વામીના જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ વાર મળે છે.
ત્યારબાદ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મુનિસુવ્રતસ્વામીના જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં સાત આરસપ્રતિમા અને પચાસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં ૨૦૦૮માં તથા સં ૨૦૧૮માં મુનિસુવ્રતસ્વામી અને મનમોહન પાર્શ્વનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ થયેલો છે.
જિનાલયનો વહીવટ રાજમહેલ રોડ પર રહેતા શ્રી રાજેન્દ્રભાઈ રમણલાલ શાહ તથા મુંબઈનિવાસી રસિકલાલ અંબાલાલ શાહ હસ્તક છે.
મૂળનાયક મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા પર સં. ૧૬૭૦નો લેખ છે. ભોંયરામાંના મનમોહન પાર્શ્વનાથનો ઉલ્લેખ સં ૧૭૨૯માં સૌ પ્રથમ વાર મળે છે. જયારે મુનિસુવ્રતસ્વામીનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૫૯માં મળે છે. તે સંદર્ભમાં મુનિસુવ્રતસ્વામીનું જિનાલય સં. ૧૯૫૯ પૂર્વેનું છે. તથા મનમોહન પાર્શ્વનાથ સં. ૧૭૨૯ પૂર્વેના સમયના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org