________________
૧૭૬
પાટણનાં જિનાલયો
ઉપરના કલામય ઝરૂખા પર ઠરે. ત્યાંથી નીચે ઊતરતાં નજર શૃંગારચોકીની કોતરણી પર પડે અને જિનાલયમાં પ્રવેશવા દ્વાર ખોલીએ અને ઓટલા નીચે નજર પડે એટલે દર્શનાર્થીની નજર નાનાં બે પગથિયાં પરની દીવાલ પરના ફળ, ફૂલ અને પોપટ તથા નર્તકીશિલ્પોની કોતરણી પર ગયા વિના રહે નહિ.
શૃંગારચોકીની બારીક કોતરણી અને તેના થાંભલા પરના દ્વારપાળ, યક્ષ-યક્ષિણી તથા તેની ઉપરના ભાગે આવેલ નૃત્યાંગનાઓનાં મોટા શિલ્પો મનને મુગ્ધ કરે છે. સ્તંભોને જોડતા તોરણોની વચ્ચે મગરમુખી કમાન અને આજુબાજુની હાથી અને સિંહના શરીરથી બનતી કંમાન જોઈને આપણા પ્રાચીન કલા વારસાને આપણું મસ્તક નમ્યા વિના રહે નહિ. હવે ઉપર નજર કરી ઝરૂખાની કલાને મન ભરીને પીવાનું મન થાય જ. છેક ઉપરની પાળી પર વાઘ, સિંહ તથા હાથીનાં શિલ્પો છે. ઝરૂખે કોતરણીયુક્ત થાંભલા અને તેના પરની વાજિંત્ર વગાડતી પૂતળીઓ તથા કોતરણીયુક્ત કમાનો છે. ઝરૂખાની નીચેના સામેથી નજરે પડતા પંચકોણીય ઘુમ્મટ જેવા ભાગની કોતરણી ભાવવિભોર કરે તેવી છે. અહીં નૃત્યાંગનાઓ તથા ફૂલબુટ્ટાઓ છે. આજુબાજુ વાઘની રચના તથા તેની બાજુમાં પાંખો પ્રસારી બેઠેલી પરીઓ છે. સમગ્ર કોતરણી સુંદર રંગોમાં છે. (જુઓ ફોટોગ્રાફ નં ૨૬)
બહારથી જિનાલય આવું છે તે અંદરથી તો..... ? બારણું ખોલીને, બે પગથિયાં ચડી શૃંગારચોકીમાં ઊભા રહીએ એટલે મુખ્ય દરવાજાથી આજુબાજુની કોતરણીયુક્ત બારસાખવાળાં જાળિયાં જણાય. હવે સાદા લાકડાના દરવાજામાંથી અંદર પ્રવેશીએ એટલે અપેક્ષાથી અલગ પગથિયાં દેખાય. તેની એકબાજુ ભોંયરામાં જવાનો રસ્તો છે. તેની સામે પગથિયાં ચડતાં ખુલ્લી રૂમ જેવી જગ્યા છે. આ જગ્યા એટલે ઝરૂખાની પાછળનો ભાગ.
આઠ પગથિયાં નીચે ઊતરતાં ભોંયરું આવે. તેના અષ્ટકોણીય રંગમંડપ અને સુંદર ઘુમ્મટ નીચે ઊભા રહી એક ગર્ભદ્વારયુક્ત ગભારામાંના ૨૧” ઊંચાઈ ધરાવતા, મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી મનમોહન પાર્શ્વનાથ સાથે કુલ ચાર આરસપ્રતિમા અને કુલ ચોવીસ ધાતુપ્રતિમાના દર્શન કરી શકાય. અહીં એક ગણપતિ જેવી આરસની યક્ષમૂર્તિ છે. ગર્ભદ્વારનું હેન્ડલ જુઓ તો તે પણ કળાયેલ મયૂરનું ! ગભારામાં પ્રતિમા પાછળની દીવાલે ગુલાબી ફૂલની રચના સુંદ૨ છે. જમણી બાજુએ પ્રકાશ માટે જાળિયું છે. તેને વાદળી રંગનો કાચ હોવાથી આછા વાદળી રંગના પ્રકાશથી ભોંયરું દીપે છે. અહીં મૂળનાયકનો પ્રતિમાલેખ નથી.
ભોંયરાના દર્શન કરી ઉપર પાછા આવી, હવે આઠ પગથિયાં ચઢો એટલે ઉપરના જિનાલયમાં પ્રવેશ થાય. પ્રવેશદ્વારના થાંભલે સુંદર પાઘડી અને વસ્ત્રોમાં સજ્જ બે દ્વારપાળો, તેની ઉપરના ભાગે પુષ્પમાલા લઈને ઊભેલી નારીઓ, મગરમુખી કમાન ઉપરના ગ્રીવાભંગી કરતા મયૂરની રચના જોઈ શકાય. અહીંથી જિનાલયમાં જવાને બદલે સામે નજર કરીએ તો ઝરૂખાની પાછળના રૂમનો (રંગમંડપનો) આગળનો ભાગ આવી જ કોતરણીવાળો નજરે પડે. અહીં થાંભલા પર મરાઠી વેશભૂષામાં સજ્જ, હાથમાં પુષ્પગુચ્છ લઈને ઊભેલી બે નારીઓ નજરે પડે. તેની ઉપર કમળના ટોડલે બે વીણાવાદિનીઓ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org