________________
૧૬૦
પાટણનાં જિનાલયો
કસુંબીયાવાડો શીતલનાથ - ગોડી પાર્શ્વનાથ (સં. ૧૬ ૧૩ પૂર્વે)
ચાંચરિયા વિસ્તારમાં આવેલા કસુંબીયાવાડા મધ્યે શ્રી શીતલનાથ તથા શ્રી ગોડી પાર્શ્વનાથનું આરસનું બનેલું, ધાબાબંધી, સંયુક્ત જિનાલય આવેલું છે. કસુંબીયાવાડામાં પ્રવેશતાં જિનાલયનો પાછળનો ભાગ (ભગવાનની પીઠાવાળી દીવાલ) પડે છે.
અહીંની ધાબાની પાળી ઉપર નારીનાં શિલ્પો, તેની નીચેની દીવાલ પર યક્ષ, તેની નીચે પાંખ પસારીને વિવિધ મુદ્રામાં ફૂલોના ગુચ્છા સાથે બેઠેલી પરીઓનાં શિલ્પો પણ ધ્યાન ખેંચે છે. જિનાલયમાં બે વર્ષ પહેલાં રંગકામ કર્યું હોવાથી જિનાલય અતિ સુંદર દીસે છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૫) સુંદર શિલ્પોથી શોભતી શૃંગારચોકી ઝીણી કોતરણીવાળી અને કમાનયુક્ત છે. ધાબાવાળા ભાગની પાળી ઉપર સિંહ તથા તાપસ વગેરેનાં શિલ્પો સુંદર દીસે છે. પ્રવેશદ્વાર પાસે ઝીણી કોતરણીમાં વિશિષ્ટ શિલ્પકારીગરી છે. અહીં ખેલ, રમતગમત અને પશુપંખીઓનાં શિલ્પો નાવીન્યયુક્ત છે જેમકે– રીંછનો ખેલ બતાવતો મદારી, હાથી, મલ્લકુસ્તી તથા વાંદરાનો ખેલ બતાવતો મદારી ઉપરાંત સર્પચક્ર, સિંહ, હાથી, પોપટ, ફળોની બાસ્કેટ તથા અનાનસની વચ્ચે ચક્ર અને તેની આજુબાજુ મોર – આ કોતરણી પર કરેલા રંગની મેળવણી ખૂબ જ સુંદર તથા લોકોનું ધ્યાન કેન્દ્રિત કરે તેવી છે. પ્રવેશદ્વાર પાસે પાર્ટિશન પર મહાવીરસ્વામી તથા ચંડકૌશિક નાગનો પ્રસંગ તથા અન્ય એક પાર્ટિશન પર ચંદનબાળાના હાથે ભગવાનના પારણાનું ચિત્રકામ છે. જિનાલયના આગળના ભાગમાં ઉપર ધાબાની પાળી પાસે ગૌમુખની રચના કરવામાં આવેલ છે કે જેમાંથી વરસાદનું પાણી ધાબામાં ભરાઈ ન રહેતાં નીચે પડે. અહીં ઉપરની દીવાલે વીણા વગાડતી નારીનાં શિલ્પો તથા ખૂણામાં હાથીનાં શિલ્પો છે.
જિનાલયના રંગમંડપમાં પ્રવેશવાના કુલ ત્રણ વાર છે. તે પૈકી મધ્યના પ્રવેશદ્વારે બન્ને બાજુ એક હાથમાં રૂમાલ અને બીજા હાથમાં ગુલદસ્તો રાખેલા દ્વારપાળનું શિલ્પ છે. પ્રવેશદ્વારની બાજુમાં જ એક નાની દેવકુલિકાની રચના કરવામાં આવેલ છે જેમાં શ્રી ગોડી પાર્શ્વનાથની ૧૯” ઊંચાઈ ધરાવતી પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં કુલ પાંચ આરસપ્રતિમા છે.
જિનાલયનો રંગમંડપ સાદો છે. અહીં પ્રવેશતાં જમણી બાજુ ગોખમાં ગોરૈયાવીરદાદાની મૂર્તિ છે. ડાબી બાજુ શત્રુંજય તીર્થનો ભીંત પર પથ્થર વડે ઉપસાવેલ પટ છે.
ગર્ભદ્વાર ત્રણ છે. ગર્ભદ્વારની બારસાખ પર કોતરણી તથા શિલ્પોની રચના છે. ગભારામાં શ્રી શીતલનાથની ૩૧” ઊંચાઈ ધરાવતી સપરિકર પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. અહીં દસ આરસપ્રતિમા છે જે પૈકી કાઉસ્સગ્નમુદ્રામાં એક પ્રતિમા છે અને અઠ્ઠાવીસ ધાતુપ્રતિમા છે. જમણે ગભારે શ્રી શાંતિનાથ તથા ડાબે ગભારે શ્રી ધર્મનાથ બિરાજમાન છે. મૂળનાયકની પાછળની દીવાલ ઉપરના ભાગમાં “સં. ૧૯૩૮ શ્રાવણ વદ પાંચમ' લખેલ છે.
આ જિનાલયમાંના ખેલ તથા રમતગમતના તેમજ પરીઓનાં શિલ્પો વિશિષ્ટ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org