________________
૧૪૬
પાટણનાં જિનાલયો
ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ શા. ગભરૂભાઈ ડાહ્યાભાઈ હસ્તક હતો.
આજે જિનાલયનો વહીવટ કનાશાના પાડામાં રહેતા શ્રી બાબુભાઈ કેશવલાલ શાહ તથા તેમના પુત્ર શ્રી શરદકુમાર બાબુલાલ શાહ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૫૭૬ પૂર્વેનું છે.
લીમડીનો પાડો
શાંતિનાથ (સં. ૧૬૪૮ આસપાસ) લીમડાના પાડા વિસ્તારમાં પ્રવેશીએ એટલે છેક અંદરના ખૂણે આરસ અને પથ્થરનું બનેલ શાંતિનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. સં૨૦૧૨માં પૂ. નેમિસૂરીશ્વરજીના પ્રશિષ્ય આ. શ્રી દેવસૂરીશ્વરજી હસ્તે આ જિનાલયનો જીર્ણોદ્ધાર થઈ પુન:પ્રતિષ્ઠા થઈ હતી. જિનાલયને પાયામાંથી જ નવું બનાવવામાં આવ્યું છે. જીર્ણોદ્ધારનું કાર્ય હજુ ચાલુ છે. આ જ સમયે શેઠ શ્રી સરૂપચંદ ઉત્તમચંદના ઘરદેરાસરની મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામી સમેત બાર ધાતુપ્રતિમાને આ જિનાલયમાં પધરાવવામાં આવી હતી.
જિનાલય તરફ દષ્ટિપાત કરતાં જ, તેના ઉપરના ભાગે શાંતિનાથના પૂર્વભવનો મેઘરથ રાજા અને કબૂતરવાળો પ્રસંગ નજરે પડે છે. નીચે ગુલાબી રંગના, પથ્થરના બે દ્વારપાળનાં શિલ્પો છે. કાષ્ઠના બનાવેલા ત્રણ નવીન પ્રવેશદ્વાર છે. રંગમંડપની બન્ને બાજુ પણ દ્વાર છે.
રંગમંડપમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ થયેલો છે. રંગમંડપના ઘુમ્મટમાં ચોવીસજિનપ્રતિમા, ઈન્દ્ર-ઇન્દ્રાણી તથા વિહંગનાં શિલ્પો છે. ફરસ આરસની છે. અહીં જે પ્રવેશદ્વાર છે તેના થાંભલા પર ચૌદ સ્વપ્ન અને પાંચ કલ્યાણકો તથા વીસ દેવીશિલ્પો છે. રંગમંડપમાં આવેલા બન્ને ગોખમાં એક એક જિનપ્રતિમા છે.
ગર્ભદ્વાર ત્રણ છે અને તેને ફરતે પ્રદક્ષિણા કરી શકાય તેવી જગ્યા છે. મૂળનાયક તરીકે શ્રી શાંતિનાથ ભગવાનની ૨૫” ઊંચાઈ ધરાવતી પ્રતિમા બિરાજમાન છે. જમણે ગભારે શ્રી સ્થંભન પાર્શ્વનાથ અને ડાબે ગભારે શ્રી શામળા પાર્શ્વનાથ છે. ગભારામાં કુલ તેર આરસપ્રતિમા, સડસઠ ધાતુપ્રતિમા તથા સ્ફટિકની એક પ્રતિમા છે જેમાં સરૂપચંદ શેઠના ઘરદેરાસરની પ્રતિમાઓનો પણ સમાવેશ થાય છે.
ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં થયેલો છે. ઉપરાંત તે સમયે ૧. પાર્શ્વનાથ (સારંગદોશીના ઘરે) તથા ૨. શાંતિનાથ (રાયચંદ દોશીના ઘરે) – એમ કુલ બે ઘરદેરાસરો પણ વિદ્યમાન હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org