________________
૧૪૦
પાટણનાં જિનાલયો
નિહાળતાં “ઓહ ! કેવું ભવ્ય !” ઉદ્ગાર નીકળી જાય તેવી પથ્થરમાંની કોતરણી અને સુવર્ણ રંગ સહિત રંગકામ છે. ત્રણ ચોકીવાળા ત્રણ દ્વારના પ્રવેશદ્વારની શૃંગારચોકીના સ્થંભો ઉપરથી નીચે સુધી આખા સુંદર કોતરણીયુક્ત છે. આ સ્થંભ પર છેક નીચે ચારેબાજુ દેવમૂર્તિઓ, તેની ઉપર ચારેબાજુ તાપસ-સાધુમૂર્તિઓ તથા તેના ખૂણામાં વિવિધ ભંગીઓમાં ચાર પૂતળીઓ તથા પૂતળીઓના મુખને અડીને જ ચારેબાજુ એક એક નૃત્યાંગનાનાં શિલ્પો, તેની ઉપર કોતરણી અને પછી ઉપર ચારેબાજુ નાના હાથીઓનાં શિલ્પો તથા થાંભલાને જોડતાં મગરમુખી તોરણો અને તેની ઉપર વિવિધ વાજિંત્રો સાથેની પૂતળીઓનાં શિલ્પો જોતાં આંખ ધરાતી જ નથી. જિનાલયના ધાબાની પાળી ઉપર ફરતે તાપસની બેઠેલી અને ઊભી મૂર્તિઓ અને પરીઓનાં શિલ્પો છે. પાળીના દરેક ખૂણે સિંહ છે. પાળી ઉપર થોડા થોડે અંતરે સુંદર કૂંડાં છે. આ બધું જિનાલયની શોભામાં ઓર વધારો કરે છે.
મુખ્ય પ્રવેશદ્વારના નીચેના ભાગમાં બે નાના હાથી તથા તેની ઉપર મહાવત અને અંબાડીમાં બેઠેલ શ્રેષ્ઠીનું શિલ્પ સુંદર છે. દ્વારના સ્થંભ અને તેની મગરમુખી કમાનો પણ કલાત્મક છે. તોરણ પર ઘોડેસવારી કરતી હથિયારધારી બે નારીશિલ્પો નાવીન્યસભર છે. તેની નીચે બે હાથી અને નાની પૂતળીઓનાં શિલ્પો છે. બે બાજુ અન્ય બે દ્વાર છે જેના ઉપર પણ દેવીમૂર્તિઓ, હાથી તથા મયૂરનાં શિલ્પો તથા મગરમુખી તોરણ છે.
જિનાલયમાં પ્રવેશતાં હાંડી ઝુમ્મરોથી શોભતો મોટો રંગમંડપ નજરે પડે છે. અહીં કોતરણીવાળા સ્થંભો અને તેની દીવાલ પર અનેક ચિત્રોનું આલેખન મન મોહી લે છે. સ્થંભ પર સુંદર આભૂષણો અને કેશભૂષાવાળી આઠ પૂતળીઓ સોહે છે. રંગમંડપમાં પ્રવેશતાં બે બાજુ બે ગોખ જોવા મળે. ગોખમાં ફોટા છે. ડાબી બાજુના ગોખમાં સમેતશિખર, ગિરનારના પટ તથા જમણી બાજુ શત્રુંજયનો પટના ફ્રેમ મઢેલા ફોટા છે. ડાબી બાજુના ગોખની બાજુમાં મુંબઈના ચેમ્બરના જિનાલયના આદેશ્વરનો ફોટો તથા તેની બાજુમાં ધરણેન્દ્ર-પદ્માવતી સાથેનો પાર્શ્વનાથનો ફોટો છે. તેની બાજુમાં ધૂલેવાના સપરિકર કેસરિયાદાદાનો ફોટો છે. આ તમામ ફોટા ચિત્રિત થયેલા છે.
રંગમંડપમાં બે બાજુ બે દેવકુલિકાઓ છે. તેની ઉપર મોટા સિંહનાં શિલ્પો સહિતની મગરમુખી કમાનો છે. તેમાં બે હાથી પર શેઠ શેઠાણીનાં શિલ્પો, શિખર અને દર્શનીય જિનપ્રતિમા છે. થાંભલા પર ઊભા હોય તેવી મુદ્રાવાળી દેવ-દેવીની મૂર્તિઓ છે. અહીં સુવર્ણ રંગનો વિનિયોગ થયો હોવાથી તે ભવ્ય ભાસે છે.
જમણી બાજુની દેવકુલિકામાં ૩૮”ની ઊંચાઈવાળા આરસના મૂળનાયક શ્રી મહાવીરસ્વામી બિરાજે છે. પ્રતિમા સંપ્રતિકાલીન સમયની હોય તેવી છે. અહીં પાંચ આરસપ્રતિમા છે જે પૈકી બે કાઉસ્સગ્ગિયા છે. ધાતુપ્રતિમા દસ છે.
ડાબી બાજુની દેવકુલિકામાં મૂળનાયક તરીકે ૩૧”ની ઊંચાઈવાળા શ્રી આદેશ્વર બિરાજે છે. આ પ્રતિમા પણ સંપ્રતિકાલીન સમયની હોય તેવી છે. અહીં ત્રણ આરસપ્રતિમા અને સોળ ધાતુપ્રતિમા છે. ધાતુપ્રતિમાનાં એક કાઉસ્સગ્ગિયા ૨૭” ઊંચાઈવાળા છે !
મુખ્ય ગભારાની બહાર જમણી બાજુના એક ગોખમાં કાળા આરસના ગઠ્યક્ષ તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org