________________
૩૨
રાજનગરનાં જિનાલયો લાખ માણસો પ્રતિષ્ઠામાં ભાગ લેવા આવ્યા હતા. અને કુલ ચાર લાખ માણસો પ્રતિષ્ઠા સમયે હાજર રહ્યા હતા. સૌની આગતા-સ્વાગતા, સૌની સંભાળ, ઉતારા, ભોજન અને અનુકૂળ સગવડો કરવી – એ ભારે મુશ્કેલ કાર્ય હતું. હઠીસિંહે નિયત કરેલા વારસદારો તેમજ પ્રેમાભાઈ શેઠ અને બીજા શેઠિયાઓએ આ સમયે ભારે સહકાર આપ્યો. જો કે બધી દેખરેખનો મુખ્ય ભાર હરકુંવર શેઠાણી ઉપર હતો. સંઘ માટે તૈયાર કરાવેલ તંબુ-રાવટીઓ ઊભા કરાવીને તથા વધારાના કલેકટરની મારફત અરજી કરી મિલિટરીનાં તંબુઓ મેળવીને દિલ્હી દરવાજાથી તે છેક શાહીબાગનાં મહેલ (આજનું રાજભવન) સુધી તંબુઓની હારો અને હારોથી પથરાયેલ જાણે એક નગર વસી ગયું! આ નવા નગરમાં સફાઈ રાખવાની વ્યવસ્થા થઈ, તથા જુદા જુદા વિભાગો માટે રસોડા ખોલ્યાં. એક લાખ માણસો માટે સગવડ કરવી એ એક ભગીરથ કાર્ય હતું. પ્રતિષ્ઠાની ધામધૂમ અતિ મોટા પાયા પર કરવામાં આવતાં તે પ્રસંગે પાંચેક લાખ રૂપિયાનો ખર્ચ થયાનું કહેવાય છે.
હઠીભાઈનું મંદિર આજે પણ અમદાવાદનાં સુંદર સ્થાપત્યોમાં ખૂબ જ મશહૂર છે. આશરે ૧૫૦ વર્ષ અગાઉ આ મંદિર બંધાયું છે. ગુજરાતનાં સલાટો પ્રાચીન રીત પ્રમાણે કામ કરવાનું ભૂલ્યા ન હતા, તે હઠીસિંહના આ મંદિરની બાંધણીએ સિદ્ધ કરી આપ્યું. આ મંદિર તે સમયના પ્રખ્યાત અને નિષ્ણાત સલાટ શ્રી પ્રેમચંદે બાંધ્યું હતું.
“જૈન તીર્થ સર્વસંગ્રહમાં હઠીસિંહના આ મંદિર વિશેની નોંધ કરવામાં આવી છે :
“આ મંદિરની બાંધણી નગરશેઠ શાંતિદાસે સરસપુરમાં બંધાવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિર જેવી છે એમ કહેવાય છે. આબુનાં જગવિખ્યાત મંદિરોના સફળ અનુકરણ રૂપે આની રચના થયેલી છે. મંદિરમાં એક માળ વાળો સુંદર મંડપ છે. વચલા મંડપ અને ગભારાની કોતરણી ઉત્તમ પ્રકારની છે. ઉપર માળ છે ને નીચે ભોંયરું છે. વિમાનનું કામ પણ ઘણું કળામય છે. મૂળમંદિરને ફરતી બાવન જિનાલયની શિખરબંધી દેરીઓ છે. બંને વચ્ચે ફરતો ચોક છે. મંદિરની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૧૨૬ ફ્લેટ અને બહારની શૃંગારચોકી સિવાય પૂર્વપશ્ચિમ લંબાઈ ૧૬૦ ફૂટ છે. મંદિરની બહારની દેવકુલિકાઓના ફરતા છજાના ટોડલે ટોડલે મૂકેલી આકૃતિઓ સુંદર અને લાવણ્યમયી છે. શિલ્પમાંની નૃત્યપૂતળીઓમાં થનગનાટભર્યા અંગમરોડની વહેતી રેખાઓ ઉલ્લાસભરી જોવાય છે. એમના મુખ ઉપર કમળ જેવી સુકુમારતા જણાય છે. ગુજરાતની સ્ત્રીઓનું આબેહૂબ સૌંદર્ય એમાં ઉતારેલું પ્રતીત થાય છે. એકબીજાથી તદ્દન ભિન્ન આકૃતિઓ વાદ્યસામગ્રી સાથે અવનવો ભાવ પ્રદર્શિત કરી રહી છે. ઠસ્સાદાર અલંકારો, સૌષ્ઠવ આકારો, નીતરતું સૌંદર્ય અને વૈવિધ્યભરી ભાતોની વિપુલતા અહીં જ્યાં-ત્યાં નિહાળાય છે. જાળીઓના વિવિધ પ્રકારો અહીં પુષ્કળ પ્રમાણમાં દેખાય છે. ખરેખર, ઉચ્ચ સંસ્કાર અને સુરુચિભરી કોરણીનો તો અહીં પાર નથી. ભારતના “નાટ્ય શાસ્ત્ર” માં ઉલ્લેખેલા નૃત્ય પ્રકારોનું દર્શન આ પૂતળીઓમાં થાય છે. મંદિરની ભીંત અને શિખર સુધીના ભાગમાં કળામય આકૃતિઓ કંડારી આ મંદિરને મનોહર બનાવી મૂક્યું છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org