SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો - ૨૧૫ પૂરતું ખર્ચ કરીને તારંગાના સમગ્ર સ્થાપત્યનો આ કલાસંતર્પક દૃષ્ટિએ જીર્ણોદ્ધાર કરાવ્યો. આજે તારંગાનાં આ શિલ્પ-સ્થાપત્યો કળાપ્રેમી યાત્રિકોને માટે મુખ્ય આકર્ષણરૂપ બન્યાં છે તેનું કારણ જીર્ણોદ્ધારને પ્રતાપે તેમને પ્રાપ્ત થયેલો નવો અવતાર છે. ગિરનાર અને કુંભારિયાનાં મંદિરોનો પુનરુદ્ધાર પણ મૂળ સ્થાનની સુંદરતા અને ભવ્યતાને પ્રગટ કરી બતાવે તે રીતે થયેલો છે. ધંધુકામાં બંધાયેલ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર અને અમદાવાદમાં શાંતિનાથની પોળમાં આવેલા શ્રી શાંતિનાથના દેરાસરના જીર્ણોદ્ધારને પણ કસ્તુરભાઈની કળાદષ્ટિનો લાભ મળેલો છે. કસ્તુરભાઈએ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે પચાસ વર્ષ કાર્ય કર્યું. તે દરમ્યાન ટ્રસ્ટની આર્થિક સ્થિતિ તો સધ્ધર થઈ જ પરંતુ તેનાં નાણાંનો વિનિયોગ ધર્મ અને કળાનાં રોચક સમન્વયરૂપ તીર્થોના જીર્ણોદ્ધારમાં કર્યો. તે તેમનું આ ક્ષેત્રમાં મોટું પ્રદાન છે. નવાં મંદિરો બાંધવા કરતાં પ્રાચીન કળાનો સમુદ્ધાર થાય તે રીતે તેનું સમારકામ કરવા ઉપર તેમણે ભાર મૂક્યો તે કેટલું બધું વાજબી પગલું હતું ! પેઢીનાં વહીવટ અને વ્યવસ્થાનાં અંગોને પણ તેમણે વધુ ચેતનવાળાં બનાવ્યાં. ભારતના કોઈ પણ મોટા શહેરને માટે, અમદાવાદ શહેર અદેખાઈનો વિષય બને તેવી ઉત્તમ કોટિની સંસ્થાઓ સ્થાપવામાં શ્રી કસ્તુરભાઈનો સક્રિય પ્રયત્ન જોવા મળે છે. અટીરા, પી.આર.એલ, લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, સ્કૂલ ઑફ આર્કિટેકચર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અને વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર–અમદાવાદની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી સંસ્થાઓ છે. ઈ. સ. ૧૯૩૫માં અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ. આનંદશંકર ધ્રુવની તેના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી. કસ્તુરભાઈની સંચાલક સમિતિ (governing body)ના પ્રમુખ તરીકે પસંદગી થઈ. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત અનેક શૈક્ષણિક સંસ્થાઓએ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની શૈક્ષણિક આબોહવાને પુષ્ટ કરવામાં બહુમૂલ્ય ફાળો અર્પણ કર્યો છે. - કસ્તુરભાઈની પ્રિય આકાંક્ષા પાર પાડનારી “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર' સંસ્થાની સ્થાપના ઈ. સ. ૧૯૫૦માં થયેલી. તેનું વિશાળ ઉદ્યાન ધરાવતું રૂપકડું મકાન ૧૯૬૩માં બંધાયેલું જે આગબોટ ઘાટના અનોખા સ્થાપત્યથી જુદું તરી આવે છે. તેનું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યું હતું. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ સંસ્થાને ૧૦,૦૦૦ હસ્તપ્રતો અને ૭,૦૦૦ પુસ્તકોની અત્યંત મૂલ્યવાન ભેટ આપેલી. આજે આ સંસ્થા પાસે ૪૫,૦૦૦ જેટલી હસ્તપ્રતો એકત્ર થયેલી છે. સંસ્કૃત, પાલિ, જૂની ગુજરાતી અને જૂની હિંદી ભાષામાં ભારતીય સંસ્કૃતિ, ધર્મ-તત્ત્વજ્ઞાન, જ્યોતિષ, વ્યાકરણ, છંદ ભાષા ઇત્યાદિ વિવિધ વિષયોનાં સોથી સાતસો વર્ષ જૂનાં પુસ્તકોની એ હસ્તપ્રતો છે. વળી, સંસ્થાનું મુખ્ય આકર્ષણ સાંસ્કૃતિક સંગ્રહાલય છે. કસ્તુરભાઈ અને તેમનાં કુટુંબીજનો તરફથી ભેટ મળેલી સંખ્યાબંધ પુરાવસ્તુઓ તેમાં સંગ્રહેલી છે. સુંદર ચિત્રો, શિલ્પો, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy