________________
રાજનગરનાં જિનાલયો
૨૦૩
ગુજરાતના પ્રસિદ્ધ, લોકપ્રિય જૈન નાટ્યકાર શ્રી ડાહ્યાભાઈના પિતાશ્રી શેઠશ્રી ધોળશાજી દ્વારા અમદાવાદના કોટ્યાધિપતિ શેઠિયાઓ લાખો રૂપિયાનું ગુપ્ત દાન ગરીબોને અપાવતા. શેઠ હઠીસિંહ કેસરીસિંહ તરફથી શેઠ શ્રી ધોળશાજીને સ્પષ્ટ સૂચના હતી કે “પ્રથમ જૈન પછી બીજી હિન્દુ કોમો અને મુસલમાન આદિ અઢારે વર્ણમાં કોઈપણ દુઃખી માણસ ભૂખ્યો ન રહેવો જોઈએ.” અને એ માટે શેઠ હઠીસિંહ કેસરીસિંહે ધોળશાજી દ્વારા લાખો રૂપિયાની દાન-સરિતા વહેવડાવી હતી..
શેઠ હિમાભાઈ અને મગનભાઈ કરમચંદની સાથે મળીને પંચતીર્થનો સંઘ લઈ તે જાત્રાએ નીકળ્યા હતા. રસ્તામાં રોગચાળાની ખબર મળતાં પાછા આવ્યા. સં. ૧૯૦૧માં એમણે દિલ્હી દરવાજા બહાર મોટા મંદિરનું ખાત- મુહૂર્ત કર્યું. એ મંદિર પૂરું થાય તે પહેલાં એમનાં માતુશ્રી સુરજબાઈ માંદા પડ્યાં. તે સમય દરમ્યાન હઠીસિંહને હોઠે ફોલ્લી થઈ. ફોલ્લી વકરી અને માત્ર ચાર દિવસની માંદગીથી હઠીસિંહ સં૧૯૦૧ના શ્રાવણ મહિનામાં મૃત્યુ પામ્યાં. કહેવાય છે કે ત્રણ દિવસ સુધી લોકોની આંખમાં આંસુ દેખાતાં હતાં. એમ કહેવાય છે કે હઠીસિંહ તે સમયે એંશીથી નેવું લાખની મિલકત મૂકી ગયા હતા. હઠીસિંહના મરણ પછી એક મહિને એમનાં માતા સુરજબાઈ પણ ગુજરી ગયાં.
હઠીભાઈ શેઠ નગરશેઠ હિમાભાઈની પુત્રી રૂખમણી સાથે પરણ્યા હતા. રૂખમણી શેઠાણી આંખે અંધ થયાં. ત્યારબાદ હિમાભાઈ શેઠની બીજી પુત્રી પ્રસન્ન સાથે લગ્ન કર્યા. પ્રસન્નનું મરણ થયું. ત્યારે ઘોઘાના એક વણિકની પુત્રી હરકુંવર સાથે ત્રીજી વારનું લગ્ન કર્યું. આ હરકુંવર શેઠાણી બહુ શુકનિયાળ હતાં. એમના આવ્યા પછી હઠીસિંહની સમૃદ્ધિ ઘણી વધી. શેઠાણી ભણેલાં અને હોશિયાર હતાં,
મંદિર બંધાવવાનું પતિનું સ્વપ્ન શેઠાણી હરકુંવરબાઈએ પૂરું કર્યું. એમણે મંદિરનું અધૂરું કામ પૂરું કરાવ્યું. પ્રતિષ્ઠા કરાવતી વખતે કંકોતરીઓ કાઢી. એમાં દેશભરમાંથી અનેક સંઘો આવ્યા. લગભગ એક લાખ માણસ ભેગું થયું હતું. દિલ્હી દરવાજાથી શાહીબાગના મહેલ સુધી લોકોનો પડાવ થયો હતો. સં. ૧૯૦૩ના મહા વદ અને દિવસે ચૌદ ઘડી અને પાંચ પળે પ્રતિમાની અંજનશલાકા થઈ. અને મહા વદ ૧૧ને દિવસે પ્રતિમા પધરાવવામાં આવી. પ્રતિષ્ઠા થઈ ત્યારે રૂા. ૮ લાખ (આઠ લાખ રૂપિયા)નું ખર્ચ થઈ ચૂક્યું હતું. એ પછી મંદિર પૂરું થયું ત્યારે કુલ બાર લાખનો ખર્ચ થયો હતો. પ્રતિષ્ઠાના ઉત્સવમાં પાંચથી સાત (૫ થી ૭ લાખ) લાખ રૂપિયા ખર્ચાયા હતા.
નોંધ - હઠીસિંહ વિશેનો આ બધો અહેવાલ મુખ્યત્વે રા. મગનલાલ વખતચંદના ઇતિહાસમાંથી લેવામાં આવ્યો છે. રા. મગનલાલ વખતચંદે “અમદાવાદનો ઇતિહાસ ઈ. સ. ૧૮૫૧ અથવા સં૧૯૦૭માં લખ્યો હતો. અને હઠીસિંહનું મૃત્યુ તે ઇતિહાસ લખાયાના માત્ર છ વર્ષ અગાઉ સં. ૧૯૦૧માં થયું હતું. તેથી આ અહેવાલની અધિકૃતતા વિશેષ છે. ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org