________________
૨૦૨
રાજનગરનાં જિનાલયો
શેઠ હઠીસિંહ કેસરીસિંહ
(સં. ૧૮૮૦ થી ૧૯૦૧) શેઠ હઠીસિંહ, કેસરીસિંહનો જન્મ સં. ૧૮૫રમાં થયો હતો. તેઓ ખૂબ જ ઉદાર, ” વિચારવંત અને ગરીબોનું રક્ષણ કરનાર મહાપુરુષ થઈ ગયા. એમના પિતા કેસરીસિંહ રેશમ અને કરમજનો ધંધો કરતા હતા. એ હઠીસિંહને નાના મૂકીને ગુજરી ગયા. એટલે મજિયારી પેઢીનો વહીવટ એમના કાકાના દીકરા મહોકમભાઈ ચલાવતા. એ વખતે તેમની પૂંજી ત્રીસચાળીસ હજારની ગણાતી. મહોકમભાઈ અને તે સમયના મુંબઈના મોતીશા શેઠે ધંધામાં એકબીજાને સહકાર આપવા માંડ્યો. અને તેથી ધંધામાં મહોકમભાઈની પેઢીની પૂંજી વધીને ચારપાંચ લાખની થઈ. એવામાં મહોકમભાઈ મરણ પામ્યા. અને બધી દુકાનોના વહીવટનો ભાર હઠીસિંહના માથે પડ્યો. હઠીસિંહે પણ વેપાર સારી રીતે ખેડવા માંડ્યો.
એ જમાનામાં નગરશેઠનો પ્રભાવ આડકતરી રીતે કેવો પડે છે તેનો એક સુંદર પ્રસંગ હઠીસિંહના જીવન દ્વારા મળે છે. બન્યું હતું એવું કે હઠીસિંહને અને મુંબઈના શેઠ મોતીશાને કાંઈ નજીવી બાબતમાં ગેરસમજ થવાને કારણે સંબંધ બગડ્યો. વેપારમાં પરસ્પર ઝઘડો થયો. એ ઝઘડાની પતાવટ કરવા હઠીસિંહના માતુશ્રી સુરજબાઈ મુંબઈ ગયાં. પરંતુ, ઝઘડાની પતાવટ ન થઈ. અને સુરજબાઈ દસ દિવસ મુંબઈ રહી અમદાવાદ પાછા આવ્યાં. અને હઠીસિંહને મુંબઈ જવા માટે કહ્યું. હઠીસિંહને આ બનાવથી ઘણી શરમ લાગી હતી. તેથી તેમણે જવાની ના પાડી. છેવટે, હઠીસિંહના સસરા નગરશેઠ હિમાભાઈએ તેમને સમજાવ્યા અને મુંબઈ જવા માટે તૈયાર કર્યા. ઉપરાંત, હિમાભાઈ શેઠે પોતાના ભાઈ સુરજમલ અને ભત્રીજા ફત્તેભાઈને પણ સાથે મોકલ્યા. સં. ૧૮૮૦માં તે સૌ મુંબઈ જવા માટે વહાણમાં ઊપડ્યા.
અમદાવાદના કલેકટરે મુંબઈ ગવર્નરને લખ્યું કે અમદાવાદના નગરશેઠ ત્યાં આવે છે. ગવર્નરે મોતીશા શેઠને અમદાવાદના નગરશેઠ આવે એટલે ખબર આપવાનું કહેવડાવ્યું. જ્યારે, હઠીસિંહ, સુરજમલ શેઠ વગેરે વહાણમાંથી ઊતર્યા ત્યારે મોતીશા શેઠ લેવા ગયા. ગવર્નરે એમને લેવા વાજાં વગેરે સામું મોકલ્યું. અને પોતે એમને ઘેર સામા મળવા આવીને ઘણું માન આપ્યું. હઠીસિંહે મોતીશા સાથે પોતાનો બધો વાંધો પતવી દીધો. અને હિસાબ ચૂકતે કરી દીધા.
એ પછી હઠીસિંહે અમદાવાદ આવીને ભારે વેપાર કરવા માંડ્યો. અને એમાં ફાવતા પણ ગયા. ધંધામાં એમને સારી કમાણી થવા માંડી. અને કોઈ કોઈ વર્ષે તો પાંચ-સાત કે દસ લાખ સુધી નફો તારવતા.
ગરીબોના તેઓ બેલી હતા. કહે છે કે એમને ત્યાં કોઈ માંદો કે કોઈ દુઃખી જતો તો તે ખાલી હાથે પાછો ફરતો નહીં. તેઓ દાન આપવામાં વર્ણ કે જાતનો ભેદ રાખતા ન હતા. રૂપિયા એકથી હજાર સુધીની રકમ પણ વખત આવે દાનમાં આપી દેતા. એમની ઉદારતાને કારણે મરણ પછી પણ ઘણા ગરીબ લોકો એમને સંભારતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org