________________
રાજનગરનાં જિનાલયો
૨૦૧
કિપૂરચંદ ભણશાળી
(સં. ૧૭૭૦ની આસપાસ) કપૂરચંદ ભણશાળી અમદાવાદના ઓશવાળ જૈન હતા. તે અમદાવાદના ઝવેરીવાડની પાસે આવેલી પાંજરાપોળમાં રહેતા હતા. પાંજરાપોળમાં તેની મોટી હવેલી હતી. જે હવેલીના અવશેષો ઘણા સમય સુધી પડ્યા રહ્યા હતા. તેવા ઉલ્લેખો પણ પ્રાપ્ત થાય છે. એમ કહેવાય છે કે આંટના ધંધામાં તેની અને તે સમયના મદન ગોપાલની વચ્ચે મોટી હરીફાઈ થઈ અને તેમાંથી સંઘર્ષ થયો. તે સંદર્ભમાં એક રાસડો અમદાવાદમાં ગવાતો હતો. તેની પ્રથમ બે પંક્તિ નીચે પ્રમાણે છે –
“હાર્યો હાર્યો મદન ગોપાલ,
જીત્યો જીત્યો કપૂરશાહ ઓશવાલ.” સં. ૧૭૭૦ની આસપાસ તેનો ખૂબ જ પ્રભાવ હતો. દિલ્હીના બાદશાહ ફરૂખશેઅર (સં. ૧૭૭૦ થી ૧૭૭૫)નો માનીતો શ્રેષ્ઠી હતો. સૂબાઓ પણ તેમને માન આપતા હતા. કોઈ વ્યક્તિ તેની વાત ટાળવાનો કે વિરોધ કરવાનો પ્રયત્ન પણ કરી શકતી ન હતી.
કપૂરચંદ ભણશાળીએ પોતાના રાજકીય પ્રભાવથી ધર્મ આરાધનાનાં કાર્યો કર્યાં હતાં અને કરાવ્યાં હતાં. તેણે સં. ૧૭૭૦માં અમદાવાદ, પાટણ અને ખંભાતના એમ ત્રણેય સંઘોના જૈનોને સાથે રાખીને સંઘ કાઢ્યો હતો. તે સંઘમાં શેઠ હિરજી ઝવેરી, (નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશજ) શેઠ રત્ના-સૂરા, શાહ વર્ધમાન, શાહ નિહાલચંદ સોની, શાહ હરખચંદજી વગેરે હતા. ઉપરાંત, સુરતના સંઘવી પ્રેમજી પારેખે સં. ૧૭૭૦ના ચૈત્ર સુદ ૧૦ના રોજ કપૂરચંદ ભણશાળીની સહાયથી સુરતથી એક સંઘ કાઢ્યો હતો. તે સંઘ ભરૂચ, સોજીત્રાના રસ્તે થઈ ધોળકા આવ્યો અને ત્યાં બીજા ત્રણ નાના સંઘો આવી તે સંઘમાં ભળ્યા હતા.
કપૂરચંદ અને એમની બે સ્ત્રીઓનો રાસડો ગવાતો હતો. તે હાલ ફૉર્બસ સભાનાં હસ્તલિખિત પુસ્તકોમાં છે. સં. ૧૭૭૬-૭૭ની આસપાસ અમદાવાદનો વહીવટ અનોપસિંહ ભંડારી નામના માણસના હાથમાં આવ્યો. અનોપસિંહ ભંડારીએ પ્રજા ઉપર ઘણા જુલમો કર્યા. અને ઘણી ક્રૂરતા દાખવી. એમાં સૌથી મુખ્ય તે સમયના અમદાવાદુના મુખ્ય અગ્રેસર વેપારી કપૂરચંદ ભણશાળીનું તેણે ખૂન કરાવ્યું. કપૂરચંદ ભણશાળીનું ખૂન થવાથી તેના વંશજો સુરત જઈ વસ્યા. સુરતમાં શાહ માણેકચંદ રૂપચંદ ભણશાળીની પેઢી પ્રસિદ્ધ હતી. તેના ઘરની આસપાસનો વિભાગ આજે પણ ભણશાળીનો મહોલ્લો કહેવાય છે. ભણશાળી વંશના એક ભાઈએ સમાચાર પત્રો પણ પ્રસિદ્ધ કર્યા હતા, જે ઘણા લોકપ્રિય હતા. આજે પણ તેના વંશજો ક્યાંક ક્યાંક હયાત હોવાનો પૂરો સંભવ છે અને તે અંગે વધુ સંશોધન કરવું જરૂરી છે. ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org