SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ રાજનગરનાં જિનાલયો માન્યતા ખોટી પડવા માંડી અને ગુજરાતના કારીગરોનું શિલ્પવિધાન અને સ્થાપત્ય-કૌશલ મરી પરવાર્યું ન હતું તેની સ્પષ્ટ પ્રતીતિ હઠીસિંહનાં દહેરાના શિલ્પસ્થાપત્યે સૌને કરાવી. જાણે કે અંધકારનો યુગ પૂર્ણ થયો અને ગુજરાતની જૈન સંસ્કૃતિની અસ્મિતા જૈન મંદિરોનાં શિલ્પસ્થાપત્ય દ્વારા ઉદિત થઈને સર્વત્ર ઉજાસ રેલાવવા લાગી. સં. ૧૯૦૩માં હઠીસિંહના દહેરાની પ્રતિષ્ઠાના સમયે અંજનશલાકા થયેલી ઘણી પ્રતિમાઓ ત્યારબાદ રાજનગરના વિવિધ જૈન દેરાસરોમાં પ્રતિષ્ઠિત થવા લાગી. તદુપરાંત, કેટલીક ધાતુની પ્રતિમાઓ ઘર દેરાસરોમાં પણ બિરાજમાન થઈ. તે સમય દરમ્યાન અને ત્યારબાદ જે જૈનમંદિરોનું નિર્માણ થયું તે સ્થાપત્ય અને શિલ્પ-કલા વિધાનની દષ્ટિએ બેનમૂન થવા માંડ્યું. નગીના પોળનું આદિનાથજીનું દેરાસર, પતાસા પોળનું વાસુપૂજ્યજીનું દેરાસર, દોશીવાડાની પોળનું અષ્ટાપદજીનું દેરાસર, ટંકશાળમાં આવેલું શ્રેયાંસનાથનું દેરાસર, ખાડિયા ચાર રસ્તા પાસે મુખ્ય માર્ગ ઉપર આવેલું સંભવનાથજીનું દેરાસર, ગુસાપારેખની પોળનું ધર્મનાથજીનું દેરાસર વગેરે દેરાસરોનું નિર્માણ કાર્ય તથા ઘણાં પ્રાચીન દેરાસરોના જીર્ણોદ્ધારનાં કાર્યો પૂર જોશમાં આરંભાયાં. આમ, રાજનગરનાં જૈન મંદિરોમાં ટાંકણાંનું સુમધુર સંગીત ફરી ગુંજવા માંડ્યું. - હઠીસિંહના દેરાસરના નિર્માણ કાર્ય ઉપરાંત પણ હરકુંવર શેઠાણીએ ધર્મ, કેળવણી, આરોગ્ય તથા સમાજહિતના ક્ષેત્રે અનેક કાર્યો કરીને સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં એક આદર્શ સ્ત્રીરત્ન તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું. એ જમાનામાં તેમણે લાખો રૂપિયાનો ખર્ચ કરીને અનેક દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વળી સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો હતો એટલું જ નહિ તે સમયે ઠેઠ સમેતશિખરજીનો સંઘ પણ કાઢ્યો હતો. | ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ સ્થાપેલી કન્યાશાળા માટે શેઠાણી હરકુંવર બાઈએ ઘણી મોટી રકમ સખાવતમાં આપી હતી. તેમનાં આવાં શુભ કાર્યો માટે નામદાર મુંબઈ સરકારે તેઓને શાબાશી આપી હતી અને “નેક નામદાર સખાવતી બહાદુર' એવો માનભર્યો અને મોટો ઇલ્કાબ નવાજેશ કર્યો હતો. તેમણે ટંકશાળમાં દેરાસર બંધાવ્યું હતું. ઉપરાંત, પતાસાની પોળના શ્રેયાંસનાથના દેરાસરનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. હવે રાજનગર ગુજરાતનું શૈક્ષણિક ધામ બનવાની દિશામાં પ્રગતિ કરવા લાગ્યું. - શેઠ હઠીસિંગ અને શેઠ હિમાભાઈના સમય દરમ્યાન જ શેઠ મગનભાઈ કરમચંદે શાસન પ્રભાવનામાં પોતાનો બહુમૂલ્ય ફાળો આપ્યો. સં. ૧૮૯૯માં માત્ર ૨૦ વર્ષની ઉંમરે એમણે શેઠ હઠીસિંહ અને શેઠ હિમાભાઈ સાથે મળીને પંચતીર્થીનો સંઘ કાઢ્યો હતો. તેમણે સ્ત્રી કેળવણીને અગ્રિમતા આપી અને સં૧૯૦૭માં (ઈ. સ. ૧૮૫૦-૫૧માં) તે સમયે રૂ૨૦,૦૦૦) આપી કન્યાશાળા શરૂ કરાવી. અમદાવાદની આ સૌ પ્રથમ કન્યાશાળા હતી. કન્યાશાળા શરૂ કરવી એ કામ એ જમાનામાં ભારે હિંમતનું અને સુધારાનું ગણાતું. શેઠ મગનભાઈએ એ કાર્ય માત્ર ૨૭ વર્ષની ઉંમરે શરૂ કર્યું. ધન્ય છે એ યૌવનને ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy