________________
રાજનગરનાં જિનાલયો
૧૦૧
કલ્યાણસાગર, શ્રી નેમસાગર વગેરે ગુરુઓનાં પગલાં છે. સુપાર્શ્વનાથના દેરાસરની ઉપર બંને બાજુ ચોઘડિયાં વગાડવા માટેની બે ઓરડીઓ આજે પણ મોજૂદ છે.
આજે આ દેરાસરની સમગ્ર રચના જોઈએ તો તેમાં ત્રણ કે ચાર દેરાસરો સંયુક્ત બન્યાં હોય તેવું સ્પષ્ટ જણાય છે. ધર્મનાથ ભગવાનના દેરાસરના level કરતાં મહાવીર સ્વામી ભગવાનના દેરાસરનું level નીચું છે. આ બંને દેરાસરનાં બારણાં ચોકમાં પડે છે. ચોકમાં સંભવનાથના દેરાસરના ઘુમ્મટો છે તેથી તે દેરાસર પણ અલગ હોવું જોઈએ. ચોથું દેરાસર સુપાર્શ્વનાથનું અને ભોંયરાનું શાંતિનાથનું દેરાસર અલગ પડી જાય છે કારણ કે તેનું level આ બધાં દેરાસરો કરતાં ઘણું ઊંચું છે. અને આ દેરાસરનો દરવાજો સીધો પોળમાં ચોકની બહાર પડે છે. આજે એ દેરાસરમાં બે રીતે જઈ શકાય છે : ૧. દેરાસરની અંદરથી - મહાવીરસ્વામીના ગભારામાંથી, ૨. પોળમાં પડતા દરવાજામાંથી.
સંભવનાથનું ભોંયરું સાવ અલગ જ છે. શાંતિનાથના ભોંયરામાંથી થોડાં પગથિયાં ઊતરીને ત્યાં જઈ શકાય છે. અને આપણે આગળ જોયું તેમ શાંતિનાથના ભોંયરામાં સામેની આરસની દીવાલે અસલ દરવાજો હોય તેવો આપણે તર્ક કર્યો છે. આ બંને ભોયરાં અલગ અલગ સમયે બન્યાં હોય તે શકય છે. વળી, લગભગ બધા જ ગભારામાં આપણે જે જુદી-જુદી શિલ્પકૃતિઓ ભીંતે ચોંટાડી હોવાની વાત કરી છે તે શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર તૂટ્યું તેમાંથી બચેલી આકૃતિઓ હોય અને અહીં લાવવામાં આવી હોય એ શક્ય છે. કારણ કે ચાર પ્રતિમાજી તો તેઓ બચાવીને લઈ આવ્યા હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. શિલ્પના આવા સુંદર નમૂના પણ સાથે સાથે એ લઈ આવ્યા હોય. આ તર્ક કરવાનું કારણ અહીં પ્રતિષ્ઠિત મૂર્તિ પર સં૧૬૫૯, સં. ૧૬૬૨, સં. ૧૬૮૨ જેવી સાલો પ્રાપ્ત થાય છે તે શાંતિદાસ ઝવેરીના સમયની જ છે. (આ મૂર્તિલેખો પરથી સંભવનાથજીનું દેરાસર સં૧૬૬૨ પહેલાંનું હોવાનો વિશેષ સંભવ છે.) વળી અહીં કેટલીક મૂર્તિઓ અને તેનાં કોતરણીયુક્ત પરિકરો પણ અલગ છે. જેમકે, સંભવનાથજીના ભોંયરામાં શીતલનાથજીના ગોખમાં જે પરિકર છે તે ફેણયુક્ત છે ! એની સામે સુપાર્શ્વનાથનું પરિકર પણ ફેણયુક્ત છે ! વળી, ઉપરના સુપાર્શ્વનાથના ગભારામાં મૂળનાયકના પ્રતિમાજી સુપાર્શ્વનાથ આરસના છે પણ તેનું પરિકર ધાતુનું છે ! આથી તૂટેલા દેરાસરનાં બેનમૂન શિલ્પો બચાવી અહીં લાવી અને સચવાય તે માટે જડી દેવાયાં હોય !
' ટૂંકમાં, આ સમગ્ર દેરાસર કોઈ એક સમયે નહીં પણ વિવિધ સમયે વિવિધ તબક્કામાં વિકસ્યું છે અને તેમાં થયેલા જીર્ણોદ્ધાર સમયે અનેકવિધ ફેરફારો થયા હોય તેમ લાગે છે. આમ છતાં, સંભવનાથના દેરાસરનો સમય તેના મૂર્તિલેખોને કારણે સં૧૬૬૨ પહેલાનું હોવાનો જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org