________________
૨૧૦
સુરતનાં જિનાલયો
ગામ - ખોલવડ, તાલુકો - કામરેજ ૮. શ્રી શીતલનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૨૭ આસપાસ) કામરેજ તાલુકાથી ૩ કિ. મી.ના અંતરે આવેલ ખોલવડ ગામમાં હાલ ત્રણ જૈન કુટુંબો વસે છે. અહીં શ્રી ગુલાબચંદ દેવચંદ શાહ પરિવારનું ઘરદેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી શીતલનાથ છે. આશરે ૩૦ વર્ષ પૂર્વે – સં. ૨૦૨૭ આસપાસ પ્રતિષ્ઠા થયેલ છે.
પ” ઊંચી મૂળનાયક શ્રી શીતલનાથની ધાતુચોવીસી સહિત કુલ પાંચ ધાતુપ્રતિમા છે જે અમદાવાદથી અત્રે લાવેલ છે. વર્ષગાંઠ – જેઠ વદ પાંચમના દિવસે જમણવાર થાય છે. વહીવટ શ્રી ગુલાબચંદ દેવચંદ શાહ, શ્રી પ્રદીપકુમાર ગુલાબચંદ શાહ તથા શ્રી સુરેશચંદ્ર મોતીચંદ શાહ હસ્તક છે.
ગામ - નવાગામ, તાલુકો - કામરેજ ૯. શ્રી સીમંધરસ્વામી (મહાવિદેહ તીર્થધામ) (સં. ૨૦૪૯) કામરેજ તાલુકા મથકથી – કામરેજ ચાર રસ્તાથી ૧ કિ. મી.ના અંતરે નવાગામ નામે ગામ છે. હાલ અહીં કોઈ જૈન કુટુંબ વસતું નથી. ગામની હદમાં આવતાં નેશનલ હાઈવે નં. ૮ પર શ્રી મહાવિદેહ તીર્થધામ તરીકે પ્રચલિત શ્રી સીમંધરસ્વામીનું ભવ્ય, વિશાળ, નયનરમ્ય શિખરબંધી જિનાલય આવેલું છે. તેની જમણી બાજુ શ્રી કૃષ્ણનું મંદિર અને ડાબી બાજુ શિવમંદિર છે. જુદા જુદા ધર્મના પ્રાસાદો એક જ સંકુલમાં છે. અહીં ઑફિસ, ધર્મશાળા, પરબ, ભોજનશાળા, અતિથિગૃહ તથા આંબાવાડિયું છે.
શૃંગારચોકમાં ઊંચા મોટા સ્થંભો અને કાઠના ઊંચા પ્રવેશદ્વાર છે. રંગમંડપમાં છ આરસપ્રતિમા તથા પદ્માવતીદેવી, ચક્રેશ્વરદેવી, પંચાગુલી યક્ષિણી તથા ચંદાયણદેવની આરસમૂર્તિઓના ગોખ છે.
એક ગર્ભદ્વાર છે. ૧૪૫” ઊંચી મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની ભવ્ય પ્રતિમા છે જે મહેસાણા હાઈવે પર આવેલા જિનાલયમાં બિરાજમાન શ્રી સીમંધરસ્વામીની પ્રતિમાનું સ્મરણ કરાવે છે. મૂર્તિલેખ નથી. કુલ પાંચ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે.
જિનાલયની પ્રતિષ્ઠા સં૨૦૪૯ના માગશર સુદ છઠને તા. ૩૦-૧૧-૯૩ના રોજ થયેલ છે. વર્ષગાંઠ નિમિત્તે જમણવાર થાય છે તથા ધજા ચડે છે. વહીવટ જયસચ્ચિદાનંદ સંઘના ટ્રસ્ટીઓ – શ્રી દેવચંદભાઈ પરભુભાઈ પટેલ, શ્રી રમેશભાઈ કે. પટેલ, શ્રી પ્રકાશભાઈ આર. જૈન તથા શ્રી ગોવિંદભાઈ કે. શાહ હસ્તક છે.
જિનાલયનો સમય સં૨૦૪૯નો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org