________________
७४
ખંભાતનાં જિનાલયો
બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ખારવાડામાં આવેલા શ્રી સીમંધરસ્વામીના જિનાલયના ગભારામાં પાષાણની પાંત્રીસ પ્રતિમાજીઓ, ગભારાની બહાર રંગમંડપમાં પાષાણની સોળ પ્રતિમાજીઓ તથા ઉપર પદ્મપ્રભુજીના ગભારામાં પાષાણની અઠ્ઠાવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે વહીવટ જૈન શાળા કમિટી હસ્તક હતો.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ખારવાડામાં આવેલા શ્રી સીમંધર સ્વામીના જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે પાષાણની કુલ સિત્તેર પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને વહીવટ શેઠ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો. તે સમયે સ્ફટિકની સાત પ્રતિમાઓ તથા ધાતુની ચાર ગુરુમૂર્તિનો ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત આરસના એક જિનેશ્વર પટનો પણ ઉલ્લેખ થયેલો છે. આજે જિનાલયનો વહીવટ જૈન શાળા કમિટી હસ્તક છે.
આ જિનાલય આરસનું બનેલું છે. આશરે વીસ વર્ષ પહેલાં તેનો જીર્ણોદ્ધાર થયેલો છે.
પગથિયાં ચડી મુખ્ય પ્રવેશદ્વારથી રંગમંડપમાં દાખલ થતાં સન્મુખ શ્રી સીમંધર સ્વામીની પ્રતિમાના દર્શન થાય છે. રંગમંડપમાં ડાબી-જમણી બંને બાજુ ગોખની રચના કરવામાં આવી છે. નવ ચોકીવાળો આ રંગમંડપ ઘણો સુંદર લાગે છે. ડાબી બાજુ ઘુમ્મટયુક્ત ગોખની રચનામાં ચૌદ પાષાણની પ્રતિમાજીઓ તથા જમણી બાજુ ઘુમ્મટયુક્ત ગોખની રચનામાં પણ ચૌદ પાષાણની પ્રતિમાજીઓ એમ કુલ અઠ્ઠાવીસ પ્રતિમાજીઓ બિરાજમાન છે. ઉપરાંત પ્રવેશદ્વારની જમણી બાજુ રંગમંડપમાં ચૌમુખજીની પાષાણની પ્રતિમા પણ સમોવસરણ જેવી રચના પર મૂકવામાં આવી છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ ચોમુખજી જમીનમાંથી પ્રગટ થયેલ છે. '
પૂર્વે આશરે વીસ વર્ષ અગાઉ સીમંધર સ્વામીના જિનાલયની ઉપરના માળ પર મૂળનાયક તરીકે શ્રી પદ્મપ્રભુ બિરાજમાન હતા. પરંતુ લાકડાનો ભાગ જીર્ણ થતાં ઉપરના મૂળનાયક શ્રી પદ્મપ્રભુને નીચે રંગમંડપમાં પ્રસ્થાપિત કર્યા.
ત્રણ ગર્ભદ્વારયુક્ત આ જિનાલયના ગર્ભદ્વારની બારસાખ ઘણી આકર્ષક છે. મુખ્ય ગર્ભદ્વાર તથા આજુબાજુના ગર્ભદ્વારમાં નીચે દ્વારપાળ, તેની ઉપર પદ્માસનસ્થ મુદ્રામાં તીર્થકરોનાં શિલ્પોની કાષ્ઠની કોતરણી જોવાલાયક છે. ગર્ભદ્વાર પાસે જ આજુબાજુ ગોખમાં યક્ષ-યક્ષિણીની પાષાણ મૂર્તિ બિરાજેલ છે.
ગભારામાં મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત શ્રી સીમંધરસ્વામીની પ્રતિમાના પબાસન પર એક લેખ છે. તેના પર “સંવત ૧૯૩૩ જેઠ શુકલે.. શનિ... સંપ્રતિ મહારાજ-” એટલું લખાણ વંચાય છે. સં. ૧૯૩૩નો ઉલ્લેખ પ્રતિમાજીની પ્રાચીનતાના સંદર્ભમાં કેટલીક વિસંગતતાઓ ઊભી કરે છે. ઘસાઈ ગયેલા લેખને ફરી વાર લખવામાં સંવતનો આંકડો ભૂલથી લખાયો હશે કે અન્ય કોઈ કારણ હશે તે અંગે વધુ સંશોધન કરવું ખૂબ જ જરૂરી છે. અહીં ગભારામાં પાષાણની ચુંમાળીસ પ્રતિમાજીઓ છે. તે પૈકી બે પ્રતિમાજીઓ કાઉસ્સગ્ગ મુદ્રામાં છે. ઉપરાંત, સ્ફટિકની કુલ છ પ્રતિમાજીઓ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org