________________
ખંભાતનાં જિનાલયો
૬૧
સં. ૧૯૦૦માં તથા સં. ૧૯૪૭માં ખારવાડા વિસ્તારમાં મુનિસુવ્રતસ્વામીનાં બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. પરંતુ સં૧૬૭૩માં, સં૧૭૦૧માં, સં. ૧૯૬૩માં, સં. ૧૯૮૪માં, સં ૨૦૧૦માં અને આજે (સં. ૨૦૫૫માં) ખારવાડા વિસ્તારમાં મુનિસુવ્રત સ્વામીનું એક જ જિનાલય વિદ્યમાન હોવાનું જણાય છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખારવાડામાં મુનિસુવ્રત સ્વામીનું જિનાલય ધાબાબંધી દર્શાવવામાં આવ્યું હતું. જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. પાષાણની એકત્રીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને પગલાંની એક જોડ પણ વિદ્યમાન હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ખારવાડામાં આવેલા મુનિસુવ્રત સ્વામીના જિનાલયમાં પાષાણની છ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે જિનાલયનો વહીવટ શા બુલાખીદાસ નાનચંદ હસ્તક હતો, જેઓ તે સમય બોરપીપળા નજીકની શેરીમાં રહેતા હતા.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ખારવાડાના મુનિસુવ્રત સ્વામીનું જિનાલય ધાબાબંધી દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે પાષાણની છ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને વહીવટ શેઠ બુલાખીદાસ નાનચંદ હસ્તક હતો. જિનાલયના મકાનની સ્થિતિ તે સમયે સારી હતી. આજે આ જિનાલયના વહીવટદાર તરીકે શ્રી કેશવલાલ બુલાખીદાસ નાનચંદ પરિવાર છે જયારે જિનાલયની દેખરેખ શ્રી દિનેશભાઈ મોતીલાલ ઝવેરી તથા શ્રી શશીકાંતભાઈ નટવરલાલ શાહ રાખે છે. તેઓ બંને બોરપીપળામાંની ઝવેરીની ખડકીમાં રહે છે.
| મુનિસુવ્રતસ્વામી અને મહાવીર ચૌમુખજીના જિનાલયના પરિસરમાં ખંભાતનાં જિનાલયોની માહિતીપ્રદ નકશો મૂકવામાં આવ્યો છે. તે ઘણો ઉપયોગી છે. મુનિસુવ્રત સ્વામીના જિનાલયની બહારની દીવાલ કમ્પાઉન્ડ વોલ પર લેમ્પ પોસ્ટ મૂક્યા છે. તે ખૂબ સુંદર લાગે છે. બંને જિનાલયોની વચ્ચોવચ ત્રણ શિખરયુક્ત ગોખ (દેવકુલિકા) છે જેમાં શત્રુંજય પહાડના મોટા પથ્થર મૂકવામાં આવ્યા છે. શત્રુંજય સુધી યાત્રા ન કરી શકનાર ભાવિકો ખૂબ જ ભક્તિભાવપૂર્વક આ પથ્થરની પૂજા કરે છે.
હાલમાં આ જિનાલયમાં જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે. કામ લગભગ પૂરું થવા આવ્યું છે. આખું જિનાલય કાચનું છે. ફરસ સિવાય આજુબાજુની દીવાલો અને છતમાં રંગબેરંગી કાચની મેળવણીથી થયેલું સુંદર કામ જોવા મળે છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૮)
ગભારામાં અશોક વૃક્ષ અને દેવ-દેવીઓની આકૃતિઓનું કાચકામ મનને મોહી લે છે. ગભારાની બહાર રંગમંડપમાં દીવાલોમાં અષ્ટાપદ, પાવાપુરી, શત્રુંજય, આબુ, ચંપાપુરી જેવા પટો કાચકામમાં કરેલા છે. સમેતશિખર, ઈડર અને રાજગૃહીના પટનું કામ ચાલુ છે. મુનિસુવ્રતસ્વામી તથા શાંતિનાથના પૂર્વ ભવોનું આલેખન પણ કાચકામમાં જ છે. ગર્ભદ્વાર પાસે નાગેશ્વર પાર્શ્વનાથ તથા શાંતિનાથ ભગવાનનાં કાચચિત્રો મનમોહક છે. જિનાલય જાણે કે નાની શીશમહલ લાગે છે !
ગભારાને એક દ્વાર છે. ગર્ભગૃહમાં પાષાણની કુલ સાત પ્રતિમાજીઓ બિરાજમાન છે, જે પૈકી એક રાતા અને એક શ્યામ રંગના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org