________________
ખંભાતનાં જિનાલયો
૨૨૩
સં. ૧૬૭૩માં આ વિસ્તારમાં શાંતિનાથજી અને સુમતિનાથજીનાં જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૭૦૧માં શાંતિનાથજી અને સુમતિનાથજીનાં જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૦૦માં તથા સં. ૧૯૪૭માં સુમતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે પરંતુ શાંતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ થયો નથી. સં. ૧૯૬૩માં તથા સં. ૧૯૮૪માં શાંતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ છે પરંતુ સુમતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ થયો નથી. સં. ૨૦૧૦માં સુમતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે પરંતુ શાંતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ થયેલો નથી. આજે સુમતિનાથજીનું જિનાલય વિદ્યમાન છે પરંતુ શાંતિનાથજીનું જિનાલય નથી. સુમતિનાથજીના જિનાલયમાં જ ગભારામાં શાંતિનાથજીની પ્રતિમા બિરાજમાન છે.
મૂળનાયક શ્રી સુમતિનાથજીની પ્રતિમાજી પરનો લેખ ઘસાઈ ગયો છે એટલે વાંચી શકાતો નથી. શાંતિનાથજીની પ્રતિમાજી પર લેપ થયેલો છે એટલે લેખ હોય તો પણ જોઈ શકાતો નથી.
આમ શાંતિનાથજી અને સુમતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ જુદા-જુદા સમયે થયેલો છે.
સં. ૧૯૦૦ આસપાસ શેઠ મોતીશાએ આ જિનાલયનો નવેસરથી જીર્ણોદ્ધાર કરાવ્યો હોય તેવી સંભાવના વિશેષ લાગે છે અને તે સમયે આ બંને જિનાલયો એક થઈ ગયા હોય. જો કે આ અંગે વિશેષ સંશોધન કરવાની ખૂબ જરૂર છે અને વિશેષ સંશોધનથી આ બંને જિનાલયો અંગે વધુ માહિતી પ્રકાશમાં આવવાનો પૂરો સંભવ છે.
જિનાલયનો રંગમંડપ કાષ્ઠની કોતરણીવાળો છે. રંગમંડપની છતમાં રાજમહેલ જેવા ઝરૂખાઓ છે અને અષ્ટમંગલની રચના છે, જે તેના પ્રાચીન કલા-વૈભવનો ખ્યાલ આપે છે.
ગભારામાં પાષાણની છ પ્રતિમાજીઓ બિરાજમાન છે, જે પૈકી એક કાઉસ્સગ્ગ મુદ્રાવાળી શ્યામ વર્ણની પ્રતિમાજી છે. મૂળનાયકની પ્રતિમાના પબાસન પર “સુમતિ' શબ્દ વંચાય છે. અહીં જમણે ગભારે સંભવનાથજી અને ડાબા ગભારે શાંતિનાથજી બિરાજમાન છે સંભવનાથજીની પ્રતિમા ઉપર મૂર્તિલેખ છે જેમાં “સં. ૧૩૦૨' – એ મુજબનું લખાણ વંચાય છે. સુમતિનાથજીની જમણી બાજુ આદેશ્વરની પ્રતિમાજી બિરાજમાન છે. એ પ્રતિમાજીને ખભે કેશ છે તે એની વિશિષ્ટતા છે. આવી કેશવાળી અન્ય પ્રતિમા માંડવીની પોળના આદેશ્વરના જિનાલયના મૂળનાયકની પણ છે. અહીં ગભારામાં ભીંતે જડેલા આરસના એક ટુકડામાં આંખની કીકી જેટલા નાના પ્રતિમાજી છે.
જિનાલયમાં એક પ્રાચીન ઘંટ પણ છે જેના ઉપર સં. ૧૫૯૯ નો લેખ છે, જે નીચે મુજબ છે :
“સં. ૧૫૯૯ વર્ષે વૈશાખ સુદી ૧ દિને શ્રી બૃહદ્ ખરતરગચ્છ શ્રી જિનચંદ્રસૂરિ પટ્ટે શ્રી જિનશીલસૂરિ વિજયે શ્રી પટ્ટને શ્રી શાંતિનાથ ચૈત્યે દેવદ્રવ્યણ શ્રી સંઘ... પ્રેષિતા ...”
આ જિનાલયની અન્ય એક આગવી વિશેષતા તે મૂળનાયકનું પબાસન છે. પબાસન પર કમળની પાંદડીઓ છે જેને કારણે પ્રભુજી જાણે કમળ પર બિરાજમાન હોય તેવું લાગે છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૭૩ પહેલાનું તો છે જ. આથી વિશેષ પ્રાચીનતા નક્કી કરવા માટે અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org