________________
ખંભાતનાં જિનાલયો
૧૮૫
શીતલનાથજીના જિનાલયમાં પાષાણની ઓગણીસ પ્રતિમાજીઓ અને સ્ફટિકના બે પ્રતિમાજીઓ બિરાજમાન હતા. પૃ૦ પ૩ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ આવે છે :
“બજારના માર્ગે ચિતારી ઢાળે સીધા આગળ વધતાં કુમારવાડો ડાબા હાથ પર આવે છે. તેમાં દાખલ થઈ શ્રી શીતલ જિનને જુહારવા. તેનો વહીવટ મોહનભાઈ પોપટચંદ હસ્તક છે જેઓ એ પોળમાં જ રહે છે.”
- સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં શીતલનાથજીનું જિનાલય મોટો કુંભારવાડો વિસ્તારમાં શિખરબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે અને તે સમયે પાષાણની વીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલયનો વહીવટ વરચંદ ગાંડાલાલ હસ્તક હતો અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. તે ઉપરાંત સ્ફટિકના એક પ્રતિમાજીનો ઉલ્લેખ તે સમયે થયેલો છે. હાલ જિનાલયનો વહીવટ શ્રી જગદીશભાઈ ભીખાભાઈ ઘીયા તથા ગુણવંતભાઈ ભીખાભાઈ ઘીયા હસ્તક છે જેઓ કુંભારવાડામાં જ રહે છે.
મૂળનાયક શ્રી શીતલનાથજીની પ્રતિમા પર ઈલાહી સંવત ૪૫નો મૂર્તિ લેખ છે. વિક્રમ સંવતનું લખાણ પ્રતિમાજીના લેપની અંદર હોવાથી વાંચી શકાતું નથી. “હીર વિજયસૂરિ પટ્ટાલંકાર” એટલું લખાણ વંચાય છે. એ સિવાયનું લખાણ વાંચી શકાતું નથી. મૂળનાયક પ્રતિમાના પરિકરમાંના કાઉસ્સગ્નની નીચે લેખ છે. તેમાં સં. ૧૬૭૩ વાંચી શકાય છે. જમણે ગભારે બિરાજમાન અજિતનાથજીની પ્રતિમા પર ઈલાહી સંવ ૪૮નો લેખ છે. ડાબે ગભારે સંભવનાથજીની પ્રતિમા બિરાજમાન છે.
જિનાલયમાં પ્રવેશતાં લંબચોરસ કંપાઉંડ આવે છે. સામે જ રંગમંડપમાં પ્રવેશવાનો દ્વારા છે. તે પહેલાં પગથિયાવાળો ઓટલો આવે છે. પ્રવેશદ્વારની ડાબી બાજુ એક જાળીવાળી બારી છે. આ બારી ગભારામાં પડે છે. ત્યાંથી પ્રતિમાજીઓના દર્શન કરી શકાય છે.
રંગમંડપના થાંભલા ઉપર તથા ગર્ભદ્વારોની બારસાખ ઉપર અનુક્રમે મોટી તથા નાની કાષ્ઠની રંગીન પૂતળીઓનાં શિલ્પો ગોઠવવામાં આવેલ છે. થાંભલાઓની વચ્ચે કમાન આકાર પર સુંદર ચિત્રકામ થયેલું છે. રંગમંડપમાં ગર્ભદ્વાર પાસેની દીવાલોમાં સામસામે ગોખમાં આરસની બે નાની પ્રતિમાઓ છે. ડાબી બાજુએ બે દેવીઓની નાની મૂર્તિઓ ગોખમાં બિરાજમાન છે.
ટૂંકમાં આ જિનાલય સં૧૬૭૩ પહેલાના સમયનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org