________________
૧૪૬
ખંભાતનાં જિનાલયો
સં૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં દંતારવાડામાં ચાર જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે, જે પૈકી શાંતિનાથજીનાં ત્રણ જિનાલય અને કુંથુનાથજીનું એક જિનાલય દર્શાવવામાં આવેલું છે. શાંતિનાથજીના આ જિનાલયમાં તે સમયે પાષાણની પાંચ પ્રતિમાજીઓ અને ધાતુની વીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયની સ્થાપનાના સંદર્ભમાં સં. ૧૯૨૮ મુજબનો ઉલ્લેખ આવે છે. પરંતુ સંભવ છે તે સમયે જીર્ણોદ્ધાર થયો હોય. સં. ૧૯૬૩માં જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં શાંતિનાથજીનું જિનાલય ઊંડી પોળ વિસ્તારમાં જ દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પણ આ જિનાલયમાં પાષાણની પાંચ અને ધાતુની વીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. ઉપરાંત પૃ. ૫૧ ઉપર નીચે મુજબની નોંધ આવે છે:
આ લતાનું નામ ઊંડી પોળ છે. અત્રે શાંતિનાથનું દેહરું અટૂલા મુસાફર જેવું શોભી રહ્યું છે. દેખરેખ શા દીપચંદ ફૂલચંદવાળા રાખતા પણ સાંભળવા મુજબ હાલ તેમના જ કુટુંબી શા ઠાકરશી હીરાચંદ રાખે છે.”
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ઊંડી પોળમાં આવેલું શાંતિનાથજીનું જિનાલય ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની સાત પ્રતિમાજીઓ અને ધાતુની એકવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલય બંધાવનાર તરીકે શેઠ માણેકલાલ હરખચંદનું નામ જોડાયેલું હતું. સંભવ છે કે તેઓએ આ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય અથવા તો લાંબા સમય માટે વહીવટ કર્યો હોય. તે સમયે વહીવટ શેઠ કસ્તુરભાઈ અમીચંદ હસ્તક હતો અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. હાલ જિનાલયનો વહીવટ શા બાબુભાઈ કસ્તુરચંદ કરે છે. તેઓ ઊંડી પોળમાં જ રહે છે.
જિનાલયનો છેલ્લો જીર્ણોદ્ધાર સં. ૨૦૫૦માં થયેલો છે.
આ જિનાલય તદ્દન સાદું છે. રંગમંડપમાં વાજિંત્ર વગાડતી તથા નર્તન કરતી સ્ત્રીઓનાં શિલ્પો છે. સમેતશિખરજી તથા શત્રુંજય તીર્થના પટ ફ્રેમમાં મઢેલા છે. અહીં આરસના એક યક્ષ તથા વીરની પ્રતિમા છે.
ત્રણેય ગર્ભદ્વારની બારસાખ ઉપરની દીવાલમાં સુંદર ચિત્રકામ છે. મુખ્ય ગર્ભદ્વારની ઉપર ચૌદ સ્વપ્નો તથા આજુબાજુના ગર્ભદ્વાર પર અષ્ટમંગલની રચનાવાળું ચિત્રકામ છે. ગર્ભદ્વાર પાસે દ્વારપાલનાં શિલ્પો છે.
મૂળનાયક શ્રી શાંતિનાથજીની અષ્ટ પ્રાતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમા નયનરમ્ય છે. અહીં ગભારામાં પાષાણની સાત પ્રતિમાજીઓ બિરાજમાન છે. તે પૈકી બે પ્રતિમાજીઓ શ્યામરંગી છે. તેઓના પરિકર ખંડિત છે. મૂળનાયકની જમણી બાજુના ગર્ભદ્વારે સંભવનાથજી તથા ડાબી બાજુના ગર્ભદ્વારની સન્મુખ કુંથુનાથજી બિરાજે છે. કુંથુનાથજીની પ્રતિમા પર સં. ૧૬૭૨નો લેખ છે. મૂળનાયકની બાજુમાં આવેલી સુમતિનાથજીની પ્રતિમા પર સં ૧૬૬૨નો લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org