________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૩૧૧
આ બન્ને સ્થાનોની સત્તાની જેમ દેશોપશમના પણ વારંવાર થતી હોવાથી બન્ને સ્થાનો સાદિ અને અધવ એમ બે પ્રકારે
ગોત્રકર્મના બે અને એક પ્રકૃત્યાત્મક બે સત્તાસ્થાનો છે. ત્યાં તેઉકાય અને વાયુકાયમાં ઉચ્ચગોત્રની ઉદ્વલના કર્યા પછી અન્ય ભવમાં જઇ જ્યાં સુધી ઉચ્ચગોત્ર ન બાંધે ત્યાં સુધી એકની અને ઉચ્ચગોત્રની ઉદૂવલના ન કરી હોય અગર કર્યા પછી પણ અન્ય ભવમાં પુનઃ ઉચ્ચગોત્ર બાંધેલ હોય તેવા જીવોને બે પ્રકૃતિની સત્તા હોય છે. તથા તે બન્ને સત્તાસ્થાનો સાદિ-સાંત હોય છે. અને દેશોપશમનામાં પણ આવે છે. માટે આ બન્ને સ્થાનોની દેશોપશમના પણ સાદિ અને સાંત એમ બે પ્રકારે હોય છે. જો કે ચૌદમાના ચરમ સમયે કેવલ ઉચ્ચગોત્રરૂપે એક પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે, પરંતુ તેની દેશોપશમના થતી નથી.
મોહનીયકર્મમાં ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, અને ૨૮ એમ પ્રકૃતિ દેશોપશમનાના છ સ્થાનો છે.
ત્યાં અનાદિ મિથ્યાદૃષ્ટિને અથવા સમ્યકત્વથી પડી મિથ્યાત્વ ગુણસ્થાનકે આવેલા જીવને સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉદ્ગલના કર્યા બાદ છવ્વીસની સત્તા હોય છે. આ સત્તાસ્થાન સાદ્યાદિ ચાર પ્રકારે હોવાથી છવ્વીસ પ્રકૃત્યાત્મક સ્થાનની દેશોપશમના પણ ચાર પ્રકારે થાય છે.
૨૮ની સત્તાવાળાને અઠ્ઠાવીસની તેમજ સમ્યકત્વમોહનીયની ઉદૂવલના કરેલ ૨૭ની સત્તાવાળાને ર૭ની અને પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વની સર્વોપશમના કરવા માટે જ્યારે ત્રણ કરણ કરે છે ત્યારે અપૂર્વકરણના ચરમ સમયે મિથ્યાત્વની દેશોપશમનાનો વિચ્છેદ થવાથી અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી ૨૬ની સત્તા હોવા છતાં મિથ્યાત્વ વિના ૨૫ની દેશોપશમના થાય છે.
તેમજ ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીમાં અનંતાનુબંધિની ક્ષપણા અથવા ઉપશમના કરવા માટે ત્રણ કરણ કરે ત્યારે અનિવૃતિકરણના પ્રથમ સમયથી અનંતાનુબંધિની દેશોપશમના થતી નથી, માટે અનંતાનુબંધિ વિના ૨૪ની દેશોપશમના થાય છે. અને દર્શનત્રિકની ક્ષપણા તથા ઉપશમના કરનારને પોતાના અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી આ ત્રણેની દેશોપશમના થતી નથી. માટે ૨૪ અથવા ૨૮ની સત્તા હોવા છતાં દર્શનત્રિક અથવા અનંતાનુબંધિ અને દર્શનત્રિક વિના શેષ ૨૧ પ્રકૃતિઓની દેશોપશમના થાય છે. તેમજ ૨૧ની સત્તાવાળા ક્ષાયિક સમ્યકત્વીને પણ ૨૧ની દેશોપશમના થાય છે. અહીં ૨૬ સિવાયના પાંચે સ્થાનોની દેશોપશમના અમુક ટાઇમે જ થતી હોવાથી સાદિ અને સાત એમ બે જ પ્રકારે હોય છે.
૨૩ અને ૨૨નું સત્તાસ્થાન દર્શનત્રિકની ક્ષપણા કરવા માટે ત્રણ કરણમાંના ત્રીજા અનિવૃત્તિકરણમાં પ્રવેશ કર્યા પછી જ પ્રાપ્ત થાય છે. માટે આ બે સત્તાસ્થાનો દશોપશમનામાં આવતા નથી. તેમજ ૧૩ વિગેરે મોહનીયના શેષ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં આઠમા ગુણસ્થાનક પછી જ આવે છે....માટે તે સ્થાનો પણ દેશોપશમનામાં આવતાં નથી.
નામકર્મના ૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫, ૯૩, ૯૦, ૮૯, ૮૪, ૮૩, ૮૨, ૯ અને ૮ એમ બાર સત્તાસ્થાનો હોવા છતાં ૯૦, ૮૯, ૮૩, ૯, અને ૮ પ્રકૃત્યાત્મક પાંચ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં આઠમા ગુણસ્થાનક પછી જ હોય છે. માટે આ પાંચ સ્થાનો દેશોપશમનામાં આવતાં નથી. પરંતુ તે સિવાયના શેષ ૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫, ૯૩, ૮૪, અને ૮૨ આ સાતે સત્તાસ્થાનો યથાસંભવ અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી હોય છે, અને તે સાદિ-સાંત હોય છે.માટે આ સાતે સ્થાનોની દેશોપશમના થાય છે, અને તે પણ સાદિ સાંત હોય છે.
(૨) સ્થિતિ દેશોપશમના - આ દેશોપશમના મૂળ અને ઉત્તર કર્મપ્રકૃતિઓ આશ્રયી બે પ્રકારે અને તે દરેક ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ પુનઃ બબ્બે પ્રકારે છે.
ત્યાં મૂળ અને ઉત્તર સઘળી પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોપશમના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણે હોય છે. એટલે જે જે જીવો જે જે મૂળ અને ઉત્તરપ્રકૃતિઓનો જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ કરે છે તેટલી જ તે તે જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિની દેશોપશમના પણ હોય છે. અને તે જ જીવો તેના સ્વામી પણ છે. સાધાદિભંગ પણ જે પ્રમાણે સ્થિતિસંક્રમમાં બતાવેલ છે, તે જ પ્રમાણે દેશોપશમનામાં પણ હોય છે.
જઘન્ય સ્થિતિ દેશોપશમના પણ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિમાં વર્તમાન એકેન્દ્રિય જીવો કરે છે. માટે તેજ જીવો તેના સ્વામી છે. કારણ કે અન્ય જીવો કરતાં એકેન્દ્રિય જીવોને સ્થિતિસત્તા ઓછી હોય છે. અને તેઓ પણ દેશોપશમના કરી શકે છે. તેમજ એકેન્દ્રિયમાંથી આવેલ જઘન્ય સ્થિતિસત્તાવાળા બેઇન્દ્રિયાદિ જીવો પણ બંધાવલિકા સુધી તે તે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ દેશોપશમનાના સ્વામી હોઇ શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org